Tuesday, March 29, 2016

રાષ્ટ્રીય કાર્યકારિણી ભાજપની કે મોદી સરકારની !

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક પાર્ટીથી વધારે મોદી સરકારની બેઠક હોય એવું નજરે પડ્યું. તેમાં મોદી જ છવાયેલા રહ્યા. નેતાઓમાં તેમની પ્રશંસાની રીતસરની હરિફાઈ લાગેલી રહી. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ રાજકીય પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદી ગરીબોના મસીહાછે, ભારત માટે ભગવાનની ભેટ છે. ખૂદ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ભાજપના કાર્યકરોએ વિપક્ષ દ્વારા ઉઠાવાઈ રહેલા વ્યર્થ મુદ્દાઓમાં ફસાયા વગર પાર્ટીના હિતમાં આગળ વધતાં રહેવું જોઈએ. એટલે કે સરકારના કાર્યોનો પ્રચાર કરવો, લોકો સુધી સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવી.
ભાજપની આ સ્થિતિ સિત્તેરના દાયકામાં કોંગ્રેસ પાર્ટીની યાદ અપાવે છે, જ્યારે બધું એક જ વ્યક્તિની ઈર્દ-ગિર્દ ફરી રહ્યા હતા. કાર્યકરો અને નાના-મોટા નેતા ઈન્દિરા ગાંધીના વખાણ કરીને પાર્ટીમાં પોતાની હેસિયત બનાવવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે જનસંઘ અને જનતા પાર્ટીના નેતા આ વાત માટે કોંગ્રેસની ટિકા અને નિંદા કરતાં હતા. આજે પણ ભાજપ ભારે જોર-શોરથી કોંગ્રેસને દરબારીઓની પાર્ટી ગણાવે છે, પણ પોતાના હાલ પર વિચારવાની ફૂરસદ તેમના નેતાઓ પાસે નથી. હાલત એ છે કે પાર્ટી સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને નાના-નાના પદો પર નિમણૂંકો પણ વડાપ્રધાનની મરજીથી જ થઈ છે, અથવા થઈ રહી છે. કોઈ અન્ય સમય હોત તો ભાજપની આ દૂર્દશા પર પાનાંના પાનાં ભરી દેવામાં આવ્યા હોત, પરંતુ દેશની મુખ્યધારાની એક પણ પાર્ટી એવી નથી, જેની સ્થિતિ તેનાથી કંઈક અલગ હોય.
ભારતીય રાજકારણની આ નિયતિ જ બની ચૂકી છે કે રાજ્ય હોય કે કેન્દ્ર, પાર્ટીઓ હવે અહીંથી સત્તાથી જ ચલાવે છે. પહેલા રાજકીય પક્ષોની તાકાત એક નિશ્ચિત વિચારના આધાર ઉપર સંગઠિત પાર્ટી સભ્ય રહેતા હતા. તેમને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે પાર્ટી સત્તામાં છે કે નહિ. પણ હવે સત્તાથી દૂર હોવાથી જ લાગે છે, જેમ કે પાર્ટી નહિ કોઈ ફૂગ્ગો હોય, અચાનક તેની હવા નીકળી ગઈ હોય. એક-બે મોટા નેતાઓ ટીવી પર નિવેદન આપતાં દેખાય છે, જમીની સ્તર પર કોઈ નામ પણ નથી દેખાતું. હાલમાં કોંગ્રેસની સાથે એવું થઈ રહ્યું છે પરંતુ ત્રણ વર્ષ પહેલાં, જ્યારે ભાજપ સત્તાથી દૂર હતી, ત્યારે તે પણ કોઈ કકળાટિયા, દેવાળીયા સંયુક્ત પરિવાર જેવો નજરે પડતો હતો. રાજ્યસ્તર પર જોઈએ તો બસપાને સત્તાથી બહાર થવાથી લાગે છે કે તે ખતમ થઈ ગઈ, પણ સત્તા નજીક આવતાં જ તેનો ઝંડો ઉઠાવીને એક ભીડ જોવા મળે છે.
બીજું, આ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. એટલે બે દિવસ ચાલેલી આ બેઠકમાં ચૂંટણીની ચિંતા પણ છવાયેલી રહી. આમ તો આ પાંચ રાજ્યોમાં આસામને બાદ કરતાં તમામ જગ્યાઓ પર ભાજપ હજુ પણ હાંસિયાની જ પાર્ટી છે, એટલે તેને વધારે પામવાનું કે ગુમાવવાનું નહિ હોય. પણ જોકે, દક્ષિણમાં મોટાભાગની જગ્યા અને પૂર્વોત્તરમાં તેમની હાજરી હંમેશા ઓછી રહી છે, અને હવે તે પોતાના ભૌગોલિક વિસ્તાર માટે ખૂબ જ બેચેન છે, એટલે આ પાંચ રાજ્યોની ચૂંટણી તેના માટે ખૂબ જ મહત્વની બની ગઈ છે. જેએનયુ વિવાદ બાદ થયેલી આ બેઠકમાં રાષ્ટ્રવાદ પણ એક મૂખ્ય વિષય રહ્યો.
પાર્ટી અધ્યક્ષ અમિત શાહના ઉદ્‌ઘાટન ભાષણથી લઈને વડાપ્રધાનના સમાપન ભાષણ સુધી, પાર્ટીના તમામ નેતાઓના ભાષણોમાં રાષ્ટ્રવાદના મુદ્દાને વધુ જોર-શોરથી ઉઠાવવાનો સંકેત મળ્યો. હકીકતમાં, જેએનયુ પ્રકરણમાં આરોપીઓને જામીન મળ્યા અને તપાસમાં એ તથ્ય બહાર આવ્યા બાદ કે વાંધાજનક સૂત્રોચ્ચાર કેટલાંક બહારના લોકોએ કર્યા હતા, વિવાદ ઠંડો પડી રહ્યો હતો. પરંતુ ઓવૈસીના એક નિવેદન માહોલને પાછો ગરમ કરી દીધો અને મુદ્દાને ફરી તૂલ આપી દીધી. એક ભાવનાત્મક મુદ્દાને વટાવી ખાવાની તક ભાજપે કેમ છોડવી જોઈએ? પણ રાષ્ટ્રવાદને માત્ર પ્રતીકવાદ બનાવી દેવાના પ્રયાસને કારણે બૌદ્ધિકોના એક ખાસ વર્ગમાં ભાજપને આલોચના પણ ઉઠાવવી પડી છે.
શરૂઆતમાં પાર્ટીને તેની જરીક પણ પરવા નહોતી, પણ હવે લાગે છે કે તેને તેની થોડી-ઘણી ચિંતા સતાવી રહી છે. એટલે, વડાપ્રધાન સહિત પાર્ટીના ઘણાં નેતાઓને એ કહેવાની જરૂરિયાત લાગી કે રાષ્ટ્રવાદ અને લોકશાહીનું સહ-અસ્તિત્વ હોઈ શકે છે. આ વિડંબણા છે ખે જે સમયે પાર્ટી જોર-શોરથી રાષ્ટ્રવાદનો રાગ આલાપી રહી છે, પંજાબ તથા હરિયાણાના ઝઘડાને સુલઝાવવામાં તેમને પરસેવો પડી રહ્યો છે, જ્યારે તે કેન્દ્રમાં પણ સત્તામાં છે અને આ બંને રાજ્યોમાં પણ.
પાર્ટીની એક ચિંતા એ પણ નજરે પડી કે દલિતોમાં તેમની પકડ કેવી રીતે વધે. લોકસભા ચૂંટણીમાં રામદાસ અઠાવલે, રામવિલાસ પાસવાન અને ઉદિત રાજ જેવા ચહેરાઓએ પાર્ટીની એક પરંપરાગત અછત પૂરી કરી હતી. પરંતુ દલિતોની વચ્ચે આધાર વધારવાના ભાજપના પ્રયાસોને હાલમાં રોહિત વેમુલા પ્રકરણથી મોટો ઝાટકો લાગ્યો છે. આ નુકશાનની ભરપાઈમાં તે લાગી ગઈ છે, જેનો સંકેત સોમવારે વડાપ્રધાનના હાથે આંબેડકર નેશનલ મેમોરિયલના શિલાન્યાસમાં જોવામાં આવ્યો. પણ શું આ પ્રકારના પ્રતીકાત્મક કામ પર્યાપ્ત હશે?
વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના પ્રથમ બે વર્ષમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની છ બેઠકો યોજાઈ હતી, જ્યારે મોદીના બે વર્ષના કાર્યકાળમાં માત્ર ત્રણ બેઠક જ થઈ છે. શું તેનો અર્થ એ છે કે ત્યારની સરખામણીમાં પાર્ટીમાં અંદર અંદરના સંવાદ ઓછા થયા છે? એવું થયું હોય કે નહિ, નેતાઓ અને મંત્રીઓના બિન-જરૂરી અને ઘણી વાર વાંધાજનક નિવેદનોની જરૂરિયાત વધી છે. તેનાથી સરકારની છબિ પર નકારાત્મક અસર પડે છે. ભાજપને મળેલી ઐતિહાસિક જીતની પાછળ પાર્ટી અને મોદી સાથે બાંધેલી આશાઓ હતી. એટલા માટે મોદીએ એ પૂનરોચ્ચાર જરૂરી સમજ્યો કે તેમની સરકારનો એજેન્ડા વિકાસ અને માત્ર વિકાસ જ છે. અને કાર્યકરોને અપીલ કરી કે તેઓ હંમેશા તેને યાદ રાખે. પણ શું વ્યવહારમાં એવું થાય છે? જ્યારે કોઈ વરિષ્ઠ લોકો ખુદ ધ્યાન ખેંચનારી વાતોમાં લાગી જાય છે, તો કાર્યકરો પાસેથી શું આશા રાખી શકાય!
સવાલ એ છે કે જો ભારતીય રાજકારણ માત્ર પૈસા અને પાવરનો ખેલ બની ગયું છે તો કમજોર લોકો પોતાની મુશ્કેલીઓના ઉકેલ માટે કોની પાસે જશે? નીત નવા સપનાં જોતા ભાજપે આ વાત પહેલાં વિચારવી જોઈએ.
-અભિજિત
29-03-2016

Monday, March 28, 2016

ગુજરાતના શિક્ષણના ઢોલની પોલ !


ગુજરાતના વિકાસનું ઢોલ પીટી પીટીને હંમેશા એવો રાગ આલાપવામાં આવે છે કે અન્ય રાજ્યોએ તેને પોતાનું રોલ મોડેલ સ્ટેટ બનાવવું જોઈએ. સ્વયં વડાપ્રધાન દેશ-વિદેશના વિભિન્ન મંચો પરથી ગુજરતના વિકાસનો પોતાના નાટકીયભાવૂક અંદાજમાં ગુણગાન ગાતા રહે છે. પરંતુ શિક્ષણના મામલે તેમના ગૃહ રાજ્યના વિકાસની પોલ ખુદ ગુજરાતની સરકારે પોલ ખોલી નાંખી છે. તેણે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં તેર હજારથી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે. આ સ્વીકૃતિ રાજ્યમાં શિક્ષકોના અભાવમાં શિક્ષણના સ્તરમાં આવેલા ઘટાડાના કોંગ્રેસના આરોપોના જવાબમાં સામે આવી છે. આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષકમાંથી રાજકારણી બનેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આ મુદ્દે ચૂપકીદી સેવી રહ્યા છે.
તેના મુજબ ગુજરાતની શાળાઓમાં માત્ર એક લાખ સડસઠ હજાર ચારસો એકસઠ પ્રાથમિક શિક્ષક છે જ્યારે તેમના માટે સ્વીકૃત જગ્યાઓની સંખ્યા એક લાખ એંસી હજાર છસ્સો એક છે. અર્થાત પ્રાથમિક શિક્ષકોની તેર હજાર એકસો ચાલીસ જગ્યાઓ ખાલી છે. એક સાધન સંપન્ન રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂંક ન થવી એ ભારે ચિંતાનો વિષય છે. આ શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વિધાનસભા અને તેની બહાર ઘણી વાર ઉઠ્યો, પણ સરકારના બહેરા કાનો પર તે પહોંચતી નથી. ગયા દિવસોમાં રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે સરકાર પ્રાથમિક શિક્ષકોની નિમણૂંક એટલા માટે નથી કરી શકતી કેમ કે તેમને યોગ્ય શિક્ષકનથી મળતાં.
જો એવું છે તો આ ખૂબ જ અફસોસજનક અને દુઃખદ છે અને તે રાજ્યમાં શિક્ષક-પ્રશિક્ષણની દયનીય સ્થિતિ તરફ ઈશારો કરે છે. એક તરફ તમામ રાજ્યોમાં બેરોજગારોમાં સૌથી વધુ સંખ્યા પ્રશિક્ષિત શિક્ષકોની છે ત્યાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ માટે યોગ્ય શિક્ષક ન મળી શકવું એ પહેલી સીડી પર જ વર્તમાન શિક્ષણની દરિદ્રતાની તરફ ઈશારો કરે છે જેને ઝડપથી દૂર કરવાની જરૂરિયાત છે.
આ દરિદ્રતા દેશમાં એક એપ્રિલ ૨૦૧૦થી લાગૂ શિક્ષણના અધિકારમાં પણ પલિતો ચાંપી રહી છે. ઉલ્લેખનીય છે કે મૌલિક અધિકારની સમકક્ષ આ અધિકાર અન્વયે છથી ચૌદ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરાઈ છે. તેમાં મફતઅને ફરજિયાતની પરિભાષા કરતાં સરકાર માટે આ શિક્ષણ પૂરું પાડવાની ફરજ પણ માનવામાં આવે છે. પરંતુ તેના પર અમલની દેશવ્યાપી હકીકત આ ફરજનું મોં ચિડાવી રહી છે.
લગભગ તમામ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટના મામલામાં એકબીજાથી બાજી મારતા નજરે આવી રહ્યા છે. શિક્ષણ અધિકાર અધિનિયમના નિષ્ણાતો મુજબ વિદ્યાલયોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સરેરાશ એક સામે ત્રીસ હોવી જોઈએ પણ ઘણાં રાજ્યોમાં તે એક સામે બસ્સોથી પણ વધારે જોવામાં આવી છે. પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે કેટલાંક રાજ્યોમાં શિક્ષણ મિત્ર, શિક્ષણ કર્મચારી, શિક્ષણ સેવક વગેરે નામોથી અગિયાર મહિનાના કરાર પર ઉપશિક્ષકો (પેરા ટીચર્સ)ની નિમણૂંક કરાઈ પરંતુ તેનાથી પણ સમસ્યાનું સમાધાન નથી થઈ શક્યું. શિક્ષક મિત્રોની શૈક્ષણિક અયોગ્યતા, પ્રશિક્ષણની ઘટ અને નિમણૂંકમાં ભ્રષ્ટાચારનું કારણ પણ આ પ્રકારની ભરતીઓ વિવાદમાં રહી છે. અસ્થાયી શિક્ષકોની નિમણૂંકની સમસ્યાનું સ્થાયી સમાધાન સમજવાની ભૂલ સ્થિતિને વધુ વિકરાળ બનાવી રહી છે. પ્રાથમિક શિક્ષણ જ નવા ફાલના ભવિષ્ય માટે મૂળનું કામ કરે છે. જો આ મૂળ જ કમજોર હશે તો કલ્પના કરી શકાય છે કે આપણે કેવું ભારત બનાવી રહ્યા છીએ!
-અભિજિત
28-03-2016

Monday, March 21, 2016

પહેરવેશની સાથે વિચારોમાં પણ પરિવર્તનની જરૂર


તો શું પોતાના વિચાર અને તેની ધારાને લઈને સંવેદનશીલ રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો હવે ચહેરો બદલાવા જઈ રહ્યો છે...! ગણવેશમાંથી ચડ્ડીને બદલીને ફૂલ પેન્ટ કરીને નિર્ણયને આરએસએસની સફરમાં એક મોટાં પરિવર્તનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. એક ખાસ ઓળખમાં ઘડાઈ જવા અને એક સ્થિર વિચાર પ્રતિ પ્રતિબદ્ધ હોવાના કારણથી પરિવર્તનની આ જાહેરાત ઘણી મહત્વની છે. પરંતુ ઈતિહાસ ઘણી વાર પરિવર્તનના ચહેરાને લઈને આપણને આગાહ કરતો રહે છે...!
પણ જ્યાં સુધી સંઘનો સવાલ છે, ત્યાં પરિવર્તનની આહટ સંભળાવા લાગી છે. હજુ શરૂઆત થઈ છે તો સંભવ છે કે ઝડપથી તેના પર આગળ પ્રગતિ થાય અને આ વેશભૂષાથી આગળ વધારીને તેના ચિંતન અને દર્શન સુધી પહોંચી જાય! એવું હોય તો આ દેશના લગભગ નેવુ વર્ષ જૂના અને પૂરાતનપંથીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે ચોક્કસપણે ક્રાંતિકારી હશે. મશહૂર ચીની કહેવત- એકસો માઈલની સફર પણ પહેલા પગલે જ શરૂ થાય છે’, ચરિતાર્થ થાય અને સંઘ કટ્ટરતા અને રૂઢિચૂસ્તતાના બંધનને પણ એ રીતે સાઈડ પર કરી નવા સ્વરૂપમાં રજૂ થાય. આખરે આ દેશના સો કરોડથી વધારે લોકોની આશાઓ અને આકાંક્ષાઓ આમ જ આપણા સંગઠનો સાથે જોડાયેલી હોય છે. સંઘની સાથે ખાસ વાત એ છે કે ન માત્ર તેના સમર્થકો, પણ હાલના દિવસોમાં તેમના કટ્ટર વિરોધીઓને પણ તેનામાં પરિવર્તનની અપેક્ષા દેખાઈ ગઈ છે. આશા એ છે કે પરિવર્તનની આ આહટ નિકરનું પાટલૂન બનવાથી ક્યાંક આગળ વધીને તેની માન્યતાઓ અને તેની સ્વીકાર્યતા ઉપર પણ પહેલાં લચીલું કરવામાં મદદરૂપ થશે.
સંઘના સ્વયંસેવકોના પહેરવેશમાં પરિવર્તનની જાહેરાત કરતા સહ-સંઘ કાર્યવાહક ભૈય્યાજી જોશીનું આ નિવેદન મહત્વપૂર્ણ છે કે સંઘને સમયની સાથે ચાલવામાં વિશ્વાસ છે. પણ મુદ્દો એ છે કે આ વિશ્વાસ હવે આગળ વધે. બ્રિટિશ શાસનકાળમાં સમયની જરૂરિયાતમુજબ હિન્દુ ધર્મની સુરક્ષા અને લોકોની એક સંગઠિત તાકાતના રૂપમાં ઊભા કરવાની જરૂરિયાત આજે યોગ્ય નથી. એક ગુલામ દેશમાં સંગઠિત થવાની જરૂરિયાત અલગ છે, તે ક્રાંતિ માટે કે વિરોધ કરવા માટે થઈ શકે છે. પણ એક આઝાદ દેશમાં આવા રાષ્ટ્રવ્યાપી સંગઠન પાસેથી અપેક્ષાઓ અલગ છે. અહીં સંગઠનની તાકાદ દેશના વિકાસ, પ્રગતિ તથા સમાજના કલ્યાણ માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. સમજવાની જરૂરિયાત મહત્વની છે કે આ દેશ હવે એક સંવિધાનની અવધારણાને અનુરૂપ ચાલે છે, જે સંવિધાન સર્વસંમત અને સર્વોપરી છે. એવામાં તેમની માન્યતાઓનો સ્વીકાર કરી તેમનું અનુકરણ કરવા માટે દરેક ભારતીય બાધ્ય છે.
આ જ સંવિધાનો હવાલો આપતાં ભારત માતાની જયનો સૂત્રોચ્ચાર ન કરનારા એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ કહે છે કે સંવિધાનમાં નથી લખ્યું કે તે ભારત માતાની જયનો નારો લગાવે. સ્પષ્ટ છે કે તેમનું કહેવું છે કે લખ્યું હોત તો તે આ નારો લગાવી દેત. ઓવૈસીનો આ તર્ક કેટલો નબળો છે, તેનો જવાબ તો જાવેદ અખ્તરે આપી જ દીધો કે સંવિધાન તો તમને શેરવાની પહેરવાનું પણ નથી કહેતું. હેડલાઈનમાં ચમકવા માટે ઓવૈસીએ આવો વાણીવિલાસ કર્યો હોય એ કોઈ નવી વાત નથી. તે એક શ્વાસમાં ભારત માતાની જયન કહેવા માટે સંઘના પ્રમુખ મોહન ભાગવતને લલકારે છે તો બીજા શ્વાસમાં (જ્યારે આ મુદ્દો બની જાય અને તેનું ખોખલાપણું જાહેર થઈ જાય) તેઓ જય હિન્દનો નારો પણ બૂલંદ કરી દે છે.
બેશક વાત સંવિધાનની છે જેની પ્રસ્તાવનામાં જ દેશને એક ધર્મનિરપેક્ષ દેશ જાહેર કરવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે એવામાં એક હિન્દુ દેશની પરિકલ્પના પર જ પૂનર્વિચારની જરૂરિયાત છે. જો લાંબા સમયથી અહીં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત માન્ય રહ્યો, તો હવે તે એક એવો બગીચો કેમ ન હોય, જ્યાં તમામ પ્રકારના ફૂલો ખીલતા હોય. સાચું છે કે જે બાગમાં તમામ પ્રકારના પુષ્પ હોય ત્યાં કેટલાંક કાંટા પણ હશે જ. પરંતુ એ પણ જોવામાં આવ્યું છે કે પુષ્પોને ખીલવા માટે કાંટાનું યોગદાન પણ ઓછું નથી.
અંતે ફૂલોનું મહત્વ પણ છે તો કાંટાના મુકાબલે નક્કી કરાય છે. એક ધર્મનિરપેક્ષ દેશમાં તમામ ધર્મ પોતાની માન્યતાઓ અનુસાર ચાલે અને પોતાની અંદરની વિષમતાઓને પોતાની રીતે હલ કરી દે તો વાંધો શું છે? આખરે શિંગણાપુર મંદિર અને હાજી અલીની દરગાહ બંનેમાં મહિલાઓનાના પ્રવેશ પર પ્રતિબંધ છે અને બંનેની આ વ્યવસ્થાની આ ધર્મોની મહિલાઓએ પડકારી છે. તે પોતાની રીતે હલ કરે તો તેમાં વાંધો શું છે? હોવું એ જોઈએ કે તમામ ધર્મ પોતાની રીતે પોતાની અંદરની સમસ્યાઓ સામે ઝઝૂમે, તેનું કોઈ આદર્શ નિવારણ લાવે અને એક-બીજાને માન્યતા આપે. ત્યારે એક ધર્મનિરપેક્ષ દેશની જમીન વધુ મજબૂત થશે.
સ્વાભાવિક છે, સંઘના પહેરવેશમાં પરિવર્તનના સમાચાર આવવાની સાથે જ ટિકાકારોના નિવેદનોના પૂર આવવા લાગ્યા કે પહેરવેશ બદલવાથી શું થશે, વિચાર તો એ જ છે. જરૂરિયાત વિચારો બદલવાની છે. આપણું એ માનવું છે કે વિચારમાં ક્યારેય ક્યાંકને ક્યાંક પરિવર્તન આવશે, ત્યારે જ પહેરવેશમાં પરિવર્તન આવ્યું છે. જરૂરિયાત હવે આ બદલાયેલા વિચારને વધુ વિસ્તરણ કરવાની છે, જે આજે દેશ-દુનિયાની પરિસ્થિતિને જોવાનું અસંભવ નથી લાગતું. હકીકતમાં, સંઘ અને વિચારનો સવાલ ઉઠે છે કદાચ એટલા માટે કે સંઘની અંદર ઘણીવાર વિચારમાં પરિવર્તન જોવામાં આવે છે, પણ તે લાંબાગાળાનું નથી હોતું. એ વિડંબણા છે. પોતાના ગઠનથી અત્યારસુધી આ સંગઠન ઉપર ત્રણવાર પ્રતિબંધનો સામનો કરી ચૂક્યું છે.
પહેલાં ૧૯૪૮માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા બાદ, પછી ૧૯૭૫માં કટોકટી દરમિયાન અને પછી ૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ. જોકે, આ તમામ પ્રતિબંધ બાદમાં હટાવી લેવાયા. સ્પષ્ટ છે કે કોઈ પણ શાસને સંઘને દેશ માટે ખતરારૂપ નથી માન્યો કે તેના ઉપર કે તેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જારી રહે. એવામાં એ વધારે જરૂરી છે કે સંઘ પોતાની સાર્થકતા અને પ્રાસંગિકતાને બચાવવા માટે પોતાના વિચારોમાં પહેરવેશની તર્જ પર જ સમયની જરૂરિયાત મુજબ પરિવર્તન કરે.
એ ધ્યાન રાખવાની જરૂર છે કે મોદી સરકારના ગઠનમાં સંઘના સ્વયંસેવકોની ભૂમિકા મહત્વની રહી છે. અને સંઘ માટે આ એક ગૌરવશાળી ઉપલબ્ધિ રહી કે સંગઠનના એક પ્રતિબદ્ધ સ્વયંસેવકે દેશની કમાન સંભાળી. જોત જોતામાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ સંઘના સ્વયંસેવકો દેવેન્દ્ર ફડણવીસ અને મનોહર લાલ ખટ્ટર સત્તારૂઢ થયાં.
આઝાદી બાદ આ પહેલી તક હતી કે સંઘનો પરચમ આટલાં ઊંચા શિખર પર લહેરાયો. સંઘ જે વૈભવશાળી રાષ્ટ્રની પરિકલ્પના કરીને તેના ગઠનને સમર્પિત છે તે તેની એક મોટી ઉપલબ્ધિ છે. પણ પોતાના વિચારને કટ્ટરતાની પાસે ગિરવે રાખવાના કારણે સંઘ તેને લાંબાગાળાનું બનાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે. પરિણામસ્વરૂપ, ભાજપને દિલ્હી અને બિહારના પરાજયથી બેબાકળા થવું પડ્યું. એટલે જમીની ચૂંટણી મોરચા પર સંઘને એટલી સફળતા ન સાંપડી, જેટલી લોકસભા ચૂંટણીમાં મળી હતી. હવે આગળની વિધાનસભા ચૂંટણીઓમાં પહેલાં પાંચ પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરલ અને પુડ્ડુચેરી છે. જેમાં આસામ સિવાય ક્યાંય આશા નથી. અને આગળના બે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે. તો આખરે શું છે સંઘની ભૂમિકા...!
હકીકતમાં, સંઘને રાજકારણથી અલગ કરીને જોવાનું એટલું પણ સરળ નથી. જે પોતાના હાથમાં રિમોટ રાખીને તેનાથી પોતાના રાજકારણને નિયંત્રિત કરે તો પણ રાજકીય જ કહેવાશે.
ટેકનીકલ રૂપથી તે ભલે મહજ સાંસ્કૃતિક સંગઠન હોવાનો દાવો કરે. તે કોનાથી છૂપું છે કે આખરે દેશની સરકાર જ સંઘના દિશા-સૂચનથી ચાલી રહી છે. પણ સંઘના પરંપરાગત વિચારની કસોટી પર જોઈએ તો દેશ સંઘની અવધારણાથી ખૂબ જ દૂર છે. એટલે આ સમયનો તકાજો સમજીને સંઘે પણ પોતાના વિચારમાં સમગ્રતા લાવે. એ ભૂલવું ન જોઈએ કે જો આ દેશમાં ભારત માતાની જયનો નારો લગાવની જૂઠના નાયકત્વના દાવેદાર અસદુદ્દીન ઓવૈસી છે તો આ દેશમાં જાવેત અખ્તર પણ છે જે ભારત માતાની જયનો નારો બુલંદ કરે છે. સંઘે પોતાના વિચારોના દાયરામાં તેમને સ્થાન આપવું જોઈએ. તે પણ મહત્વપૂર્ણ છે. ત્યારે એવું થશે કે આવી તાકાતો અલગ-થલગ હશે જે દેશમાં રહીને પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામ ઉપર અને પોતાના કેટલાંક વ્યક્તિગત સ્વાર્થ પર અને રાજકીય પ્રેરિત સૂત્રોચ્ચાર કરશે, જેમનો હેતુ વાહવાહી બટોરવા સિવાય કશું જ નથી.
સંઘ હિન્દુ સંસ્કૃતિની સુરક્ષા અને તેના સંરક્ષણ માટે કામ કરે તો તેનાથી કદાચ કોઈને વાંધો ન હોય. અંતે તમામ ધર્મની પોતાની સંસ્કૃતિની સુરક્ષા, વિસ્તાર, વિશ્વાસ અને સંરક્ષણનો અધિકાર છે. પરંતુ દેશના સંવિધાન અને તેની વ્યવસ્થાની રૂહમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાનો ખ્યાલ એક અતિશયોક્તિભર્યો વિષય છે અને એ કહવાનું ન હોય કે તેના પર પૂનર્વિચાર કરવાની જરૂરિયાત છે. સંઘ સ્પષ્ટતઃ ન પણ કહે, પરંતુ તેમના વિચારક અને પ્રચારક હજુ આભાસ આપે છે કે તેમના તમામ પ્રયાસ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના તરફ છે. આ જ જો સંઘ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના સિદ્ધાંતને માનીને પોતાના દરવાજા તમામ લોકો માટે ખૂલ્લાં કરીને સમગ્ર સમાજને સાથે લઈને એક આદર્શ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા તરફ આગળ હશે તો તમામ તેમની સાથે કતારબદ્ધ નજરે પડશે.
કટ્ટરવાદી વિચારધારાને કારણે સંઘના સામાજિક કાર્ય પણ ગૌણ થઈ જાય છે અને તેમની વિરોધી તાકાતોનું સમગ્ર ધ્યાન તેમની કટ્ટરતા તરફ કેન્દ્રિત થઈ જાય છે. દેશમાં એવાં ઘણાં મોકા આવ્યા ચે જ્યારે સંઘે પોતાની સામાજિક ભૂમિકાને મોટા સ્વરૂપમાં રજૂ કર્યું. એવામાં જ્યારે વિચારમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે તો તેને આગળ વધારવામાં વાંધો શું છે? એ સર્વવિદિત તથ્ય છે કે તમે બીજાના સન્માન ત્યારે જ હક્કદાર બનો જો તમે તેમનું પણ સન્માન કરશો. દેશમાં જો પોતાના વિચારની વિપરિત કોઈ ઉગ્ર પ્રતિક્રિયા થાય પણ છે તો તેને તેનાથી પણ તીવ્ર ઉગ્રતાથી જવાબ દેવાની જરૂરિયાત શું છે! તેને તમે પોતાના તર્કોથી પણ પરાસ્ત કરી શકો છો.
ખાસ વાત તો એ છે કે સંઘ જે કરી શકે છે તે તેના ઈશારે નાચનારી ભારતીય જનતા પાર્ટી નથી કરી શકતી. ભાજપ એ કરી શકે છે કે કાળાં નાણાં પર પોતાનું વલણ બદલી નાંખે અથવા રામ મંદિર પર પીઠ બતાવી દે અને તેમને ચૂંટણી જંગનો દરજ્જો આપી દે, પછી તે ભલે પાર્ટીના સર્વશક્તિમાન અધ્યક્ષ અમિત શાહના મોંઢેથી નીકળેલા શબ્દો જ કેમ ના હોય. પણ સંઘ એવું નથી કરી શકતું. એ કારણ છે કે અનામત અંગે સંઘે પોતાનું વલણ કાયમ રાખ્યું. ભલે તેનું નુકશાન બિહારની શરમજનક હારના સ્વરૂપમાં ચૂકવવું પડ્યું હોય. સંપન્ન વર્ગને અનામત છોડવી પડશે, આ તર્ક કાયમ રહ્યો. આ અપેક્ષા સંઘ પાસેથી જ કરી શકાય છે, નહિ કે ચૂંટણી ગણિત બેસાડતી ભારતીય જનતા પાર્ટી પાસે. પણ જો સંઘના વિચારની સીધી અસર ભાજપના રાજકારણ અને તેના ચૂંટણી ગણિત પર પડશે તો સવાલ ઉઠશે.
સંઘ માટે સમાજ અને દેશના નિર્માણમાં પોતાની મહત્વની ભૂમિકાની દિશામાં આ દૂર્લભ તક છે. ઝડપથી પોતાની લોકપ્રિયતા ગૂમાવી રહેલી ભાજપ સરકાર પાસે તેની અપેક્ષા ઓછી છે. એ હેરાનગીની વાત છે કે સંભવિત ચૂંટણી નુકશાન પણ પાર્ટીને ડરાવી નથી રહી અને તેના મંત્રીઓ અને અન્ય નેતાઓનો વાણીવિલાસ વધી રહ્યો છે. જે ઓછો પણ કેમ થાય, જ્યારે ખુદ શાહ કહે છે, ‘જો ભૂલથી ભાજપનો પરાજય થયો તો પરિણામ બિહારમાં આવશે અને ફટાકડાં પાકિસ્તાનમાં ફૂટશે.
વિરોધાભાસ તો ત્યાં છે કે એક બાજુ જ્યાં શાહ એવું બોલે છે અને તેમના વરિષ્ઠ નેતાઓ તમામ કૂટનીતિક શિષ્ટાચારને કોરાણે મૂકીને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ગળામાં હાથ નાંખવા લાહોર ઉતરી જાય છે. તો સવાલ છે કે એક સ્વયંસેવક કરી ચૂકેલા નરેન્દ્ર મોદીનો આ વ્યવહાર પણ સંઘના બદલાઈ રહેલા વિચારની સાથે કોઈ પ્રકારનો સંબંધ તો રાખે છે...!
હકીકતમાં, પરિવર્તનનું મહત્વ ત્યારે છે જ્યારે બુનિયાદી અને મજબૂત જમીન પર ઊભા હોઈએ. સંઘની પ્રવૃત્તિઓથી એવું જરૂર લાગે છે કે લાંબા સમયથી વિચારના મોરચા પર જામેલો બરફ હવે પીગળી રહ્યો છે. પણ જો આ પરિવર્તન માત્ર પહેરવેશ સુધી જ સિમિત રહ્યું તો એટલું નક્કી છે કે સંઘ ફરી એકવાર પોતાના પૂરાતન વિચારોની ચાર દિવાલોમાં કેદ થઈ જશે.
સંઘને લાગે છે કે તેનો દાયરો અને સ્વીકાર્યતા વધુ ફેલાય, તો તેને બુનિયાદી અને મજબૂત પરિવર્તનો માટે પણ સાહસ કરવું પડશે. ખાસ કરીને ત્યારે જ્યારે સંઘ પોતાને રાજકીય નહિ, સાંસ્કૃતિક સંગઠન કહે છે તો તે સમાજ અને તેના માળખામાં સંબંધોના સમીકરણ અને બરાબરીના સિદ્ધાંતો પર પોતાની વાસ્તવિક વિચાર સ્પષ્ટ કરવા પડશે. 
એવું ન થઈ શકે કે મોહન ભાગવત કહે કે મહિલાઓએ રસોડામાં કામ કરવું જોઈએ... કે પછી તે સામાજિક સ્વરૂપથી વંચિત જાતિઓ માટે અનામતની વ્યવસ્થા પર સમીક્ષાની માંગણના સંકેત સાથે અનામત ખતમ કરવાની વકાલત કરે અને સંઘના ચહેરામાં પરિવર્તનની વાત કરવામાં આવે...! સમાજમાં સ્ત્રી અને દલિત-વંચિત જાતિઓની બરાબરીના અધિકારોની લડાઈ જો ખૂદને એક સાંસ્કૃતિક કહેનારું સંગઠન લડે છે, ત્યારે જઈને પરિવર્તનને લઈને તેમની પ્રતિબદ્ધતા પર વિશ્વાસ ઊભો થશે. નહિ તો તાત્કાલિક ગોબાવાળા ચહેરામાં કોઈ સ્થાયી પરિવર્તન નહિ લાવી શકાય...! 
-અભિજિત 
21-03-2016