Monday, March 30, 2020

અમે પત્રકારો...


અભિની અભેરાઈમાંથી

ટાઢ, તડકો અને વરસાદ ન જુએ એ સાચ્ચો પત્રકાર. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા આ પત્રકારો પોતાની જાત જિંદગીભર ઘસી નાંખે છે અને એ પણ પોતાના માટે નહિ પરંતુ સુદ્રઢ સમાજના ઘડતર માટે. દુનિયાની ચોથી જાગીર કહેવાતા પત્રકારો પોતાના જીવના જોખમે પણ સમાજને સાચ્ચો રાહ હંમેશા ચીંધતા હોય છે. પત્રકારો એક સેતુ, નેટવર્ક બનીને પ્રજાનો અવાજ સરકાર સુધી અને સરકારની સારી ખરાબ વાતો પ્રજા સુધી પહોંચાડતી હોય છે. પરંતુ, કેટલીક વખત આ પત્રકારોને પ્રજા એટલે કે કેટલાંક રાજકીય પક્ષોના હાથા બની ગયેલા લોકો આ પત્રકારોને કોઈ પક્ષના પીઠ્ઠુ બની ગયાના લેબલ લગાવીને બદનામ કરે છે. તેમ છતાં પણ આ કર્મનિષ્ઠ પત્રકારો પોતાની કલમની તાકાત ઉપર આવા લોકોની સાથે પણ સારો વર્તાવ કરતાં હોય છે. જોકે, જે તે પક્ષના લોકો આવા પત્રકારો સાથે ખરાબ વર્તાવ જ કરતાં હોય છે. તેમ છતાં પણ પત્રકારો હસતા મોંઢે બધું સહન કરીને પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાતના પત્રકારોની વાત કરીએ તો વર્ષોથી ગુજરાતમાં કંઈકને કંઈક કુદરતી આપત્તિઓ આવી છે. અને આ આપત્તિઓમાં પણ ગુજરાતના પત્રકારોએ પોતાની ભૂમિકા એક સૈનિકની માફક નિભાવી જ છે. પછી તે ભલેને મચ્છુ ડેમની હોનારત હોય, વર્ષ 2001માં આવેલો વિનાશકારી ભૂકંપ હોય, દુષ્કાળ હોય કે પછી અતિવૃષ્ટિ અને છેલ્લાં બે ત્રણ વર્ષથી આવેલા વિવિધ પ્રકારના વાવાઝોડાં હોય. તમામ કુદરતી આપત્તિઓમાં પ્રજાના સાચ્ચા સેવક બનીને આ પત્રકારોએ પોતાની કામગીરી બજાવી છે. આ પ્રકારની કુદરતી હોનારતોમાં સરકારો દ્વારા અસરગ્રસ્તો માટે હંમેશા વિવિધ આર્થિક પેકેજની જાહેરાતો થાય છે. અને આ જાહેરાતોને પહેલાં માત્ર અખબારો હતા તો એ સમયે પોતાની કલમ દ્વારા લખીને અખબારોમાં પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ન્યૂઝ ચેનલો આવી છે ત્યારથી અખબારોના પત્રકારો લખીને અને ન્યૂઝ ચેનલના પત્રકારો કેમેરા સામે આવીને બોલીને રજૂ કરે છે. પરંતુ, શું ક્યારેય આ સરકારોએ પત્રકારો માટે કોઈ યોજના બનાવી છે ખરી? આવો સવાલ છેલ્લાં કેટલાંય વર્ષોથી મારા મનમાં ઘૂમરાયા કરે છે. પરંતુ ત્રીસ વર્ષની પત્રકારત્વની કારકિર્દીમાં ક્યારેય પત્રકારો માટે કોઈ વિશેષ યોજના કોઈપણ સરકારો દ્વારા જાહેર નથી કરાઈ અને કરાઈ હશે તો તે માત્રને માત્ર સરકાર માન્ય પત્રકારો માટે જ કરાઈ હશે. (આ લખું છું એમાં કોઈ પત્રકારોની ટિકા ટિપ્પણી નથી કરતો કે વિરોધ પણ નથી કરતો.) પરંતુ, આપણાં રાજ્યના સરકાર માન્ય પત્રકારોની સંખ્યા કરતાં એટલે કે એક્રિડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારો કરતાં આ પ્રકારનું કાર્ડ ન ધરાવતા પત્રકારોની સંખ્યા વધુ છે અને મોટાભાગના આવા પત્રકારો આવી કુદરતી આપદાઓમાં સતત દોડતા હોય છે. તો શું સરકારે આવા પત્રકારની વ્યથા ક્યારેય સાંભળી છે ખરી? ચાલો ત્યારે ફરી મૂળ મુદ્દા પર આવું તો પત્રકારો પોતાની ફરજ નિભાવવા માટે ગમે તેવા જોખમ પણ ઉઠાવી લેતા હોય છે. અને તેમાં તેમનો કોઈ સ્વાર્થ નથી હોતો પણ સમાજ માટે તે આ જોખમ ખેડતા હોય છે. આ બાબતના એક બે ઉદાહણ આપું તો, વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ ગુજરાત આખ્ખાને હચમચાવી નાંખનારો વિનાશકારી ભૂકંપ આવ્યો અને એનું એપિ સેન્ટર કચ્છ હતું. આ ભૂકંપ એટલો ભયાવહ હતો કે, તેમાં કચ્છમાં ભારે નુકસાની થઈ હતી. આ ભૂકંપની અસર રાજ્યના ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં થઈ હતી. એ વખતે નવી નવી રાષ્ટ્રીય હિન્દી ચેનલો હતી અને એ તમામ જે તે વખતે અમદાવાદ અને કચ્છ ઉમટી પડી હતી. ગુજરાતી ચેનલો બહુ જૂજ હતી અથવા તો નહોતી એમ કહીશ તો અતિશયોક્તિ નહિ હોય. અને એ વખતે ગુજરાતના તમામ અખબારોના પત્રકારો રાત દિવસ જોયા વગર સતત ભૂકંપને કારણે થયેલા નુકસાન અને અસરગ્રસ્તો તેમ જ અસરગ્રસ્ત વિસ્તારો કેવી રીતે બેઠા થશે એ અંગેના અખબારી અહેવાલો પોતાની કલમો દ્વારા રજૂ કરીને લોકોને સાચી માહિતી પૂરી પાડતાં હતાં. અને આ તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે મોટાભાગના અખબારનવીશો ભૂંકપ પીડિત કચ્છમાં ધામા નાંખીને બેઠા હતા અને એમાં હું પણ હતો. કચ્છ જતાં પહેલાં અમે તત્કાલિન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ દ્વારા રોજે રોજ યોજાતી પત્રકાર પરિષદ અને તેમની સરકાર તેમ જ કેન્દ્ર સરકાર અને વિશ્વના અન્ય દેશોએ ભૂકંપગ્રસ્ત વિસ્તારો માટે કયા પ્રકારની સહાય કરવામાં આવી છે તેની વિગતો લેતા હતા. ભૂકંપગ્રસ્ત કચ્છનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા ગયેલા પત્રકારોને ઘણાં અનુભવો થયા પણ તેઓ આવા કપરાં સંજોગોમાં પણ પોતાની ફરજ નહોતા ચૂક્યાં.

આ તો થઈ ભૂકંપની વાત આ ઉપરાંત અન્ય કેટલીક કુદરતી હોનારતોમાં પણ પત્રકારો (એન્કર્સ, ફિલ્ડ રિપોર્ટર્સ, ડેસ્ક રિપોર્ટર્સ) હંમેશા ખડેપગે પોતાની ફરજ નિભાવી હતી. તેમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન રાજ્યમાં આવેલા વિવિધ વાવાઝોડાંનો પણ સમાવેશ થાય છે. અને હવે વાત કરીએ દેશમાં અને ગુજરાતમાં આવેલા કાતિલ કોરોના વાઈરસની તો આ વાઈરસની ચૂંગાલમાં દેશ અને રાજ્ય જ્યારથી સપડાયું છે ત્યારથી તમામ ન્યૂઝ ચેનલ અને અખબારોના પત્રકારો પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર મોં પર માસ્ક અને હાથમાં સેનેટાઈઝર રાખીને ખડેપગે કોરોનાના અહેવાલો પ્રજા સુધી પહોંચાડે છે. આ માટે તેમને વિવિધ હોસ્પિટલોમાં પણ જવું પડે છે તેમ જ કોરોનાગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવી પડે છે. પણ તેમણે ક્યારેય આ વાઈરસની અસર થશે તો એવું વિચારીને તેનું કવરેજ કરવાનું માંડી વાળ્યું નથી. ઉલ્ટાનું સરકાર અને સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને સાચ્ચી માહિતી પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. આ વાઈરસનો કાળો કેર લગભગ એક મહિનાથી ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય અખબારો અને ચેનલો હોય કે પ્રાદેશિક અખબારો અને ચેનલો આ તમામના પત્રકારો આખ્ખો દિવસ કાર્યરત રહીને કોરોના સામેના જંગમાં લોકોને સાવચેત કરે છે. દેશમાં લોકડાઉન જાહેર થયું છે ત્યારથી આ પત્રકારો પોતાની ડ્યૂટી સતત નિભાવી રહ્યા છે અને સતત પ્રજાને અપડેટ કરી રહ્યા છે. કોરોનાને લઈને જે લોકડાઉન જાહેર થયું અને જે તકલીફો શ્રમજીવીઓને પડી તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિચાર્યું પણ જે પત્રકારો આવી આપદા સમયે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમના માટે કોઈએ વિચાર્યું નથી. દેશની સરહદોને સુરક્ષિત રાખવાનું કામ આપણાં સૈનિકો કરે છે, જે તે રાજ્યમાં સુરક્ષાનું કામ પોલીસ કરે છે એમ સમાજને દેશ દુનિયાની સાચ્ચી માહિતી પૂરી પાડવાનું કામ કરતાં પત્રકારોને સો સો સલામ...

- અભિજિત
30 માર્ચ 2020 

Sunday, March 8, 2020

દીર્ઘ દ્રષ્ટિ અને ટૂંકી દ્રષ્ટિ વચ્ચેનો ફરક

અભિની અભેરાઈમાંથી...

મિત્રો, થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 માર્ચે રાત્રે 8.56 વાગે એક ટ્વિટ કરીને એવો સંદેશો આપ્યો કે, ‘હું વિચારું છું કે, રવિવારે મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ આપી દઉં.’ એ દિવસે વિવિધ રાજકીય નેતાઓ અને મીડિયાએ તેમની આ વાતનો ઉંધો મતલબ કાઢ્યો હતો. અને લોકોએ આ મામલે પોતાના વિચારો રજૂ કરીને વણમાગી સલાહ પણ આપી દીધી. આટલું ઓછું હોય એમ આપણા દેશના સૌથી જૂના રાજકીય પક્ષ (જેને આઝાદી બાદ મહાત્મા ગાંધીએ વિખેરી નાંખવાની વાત કરી હતી) એ કોંગ્રેસના નેતા અને કેરલના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ તો હદ જ કરી નાંખી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વિટના પ્રત્યૂત્તરમાં એવું લખ્યું કે, ‘સોશિયલ મીડિયા નહિ, પણ નફરત છોડો.’ જોકે, એ રાત્રે હું મારા ટ્વિટર એકાઉન્ટ પર ખણખોદ કરતો હતો ત્યારે મારી નજર એક ટ્વિટ પર ગઈ. જે જાણીતા મહિલા વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટે કરેલી હતી. તેમણે આ ટ્વિટ 2 માર્ચે રાત્રે 10.29 વાગે કરી હતી, જેમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે, ‘વડાપ્રધાન કાર્યાલયમાં તેમના એક વરિષ્ઠ અધિકારી જે તેમના મિત્ર પણ છે તેમણે એવું કહ્યું હતું કે, રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને એ દિવસે તેઓ પોતાના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ કેટલીક એવી મહિલાઓને સોંપશે કે જેઓ દેશની અન્ય મહિલાઓ કે દેશ માટે પ્રેરણારૂપ સાબિત થઈ હોય.’ અને થયું પણ એવું જ, બીજા દિવસે એટલે કે 3 માર્ચે બપોરે 1.16 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિક કર્યું, અને તેમાં એમણે એવું લખ્યું કે, ‘આ રવિવારે મારા સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ એવી મહિલાઓને આપીશ કે જેઓ આપણે કંઈક પ્રેરણા આપે છે.’

 આ વાત એટલા માટે યાદ આવી કેમ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં એટલા સક્રિય છે કે, તેઓ ક્યારેય આ છોડી જ ન શકે. અને એ વાતનો પુરાવો અહીં આજે રજૂ કરું છું. હું જ્યારે 1995માં NDTVના ગુજરાતના પ્રતિનિધિ તરીકે કામ કરતો હતો, ત્યારે રાજદીપ સરદેસાઈ સાથે હું અમદાવાદમાં સ્ટોરી કરવા માટે ફરતો હતો અને એ સમયે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને એ અરસામાં હું અને રાજદીપભાઈ બન્ને ભાજપના તે સમયના પ્રદેશ કાર્યાલય ખાનપુર ગયા હતા. એ સમયે નરેન્દ્રભાઈ મોદી ભાજપના સંગઠન મંત્રી હતા અને તેઓ પ્રદેશ કાર્યાલયના ત્રીજા માળે એક રૂમમાં રહેતા હતા. ચૂંટણીની જાહેરાત થવાની હતી કે થઈ ગઈ હતી એ અત્યારે એટલું યાદ નથી પણ એ વાત નક્કી છે કે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેઓ સતત કાર્યરત રહેતા હતા. અને એ વખતે મને યાદ છે કે, ભારતમાં ઈન્ટરનેટની હજુ શરૂઆત થઈ હતી અને નરેન્દ્રભાઈએ ઈન્ટરનેટના માધ્યમથી વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાજપની નીતિ રીતિ અને તેમના પક્ષ તરફ આકર્ષવા માટેની શરૂઆત કરી દીધી હતી અને તેના ભાગરૂપે જ 1995માં ભાજપની સરકાર પ્રથમવાર એકલાહાથે સત્તા પર આવી હતી. અને આ માટેનો શ્રેય નરેન્દ્રભાઈને જાય કેમ કે, ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરીને તેમણે વિદેશમાં વસતા ગુજરાતીઓને પોતાના સ્વજનો જે ગુજરાતમાં છે તેમને ભાજપ તરફી મતદાન કરવા વિનંતિ કરી હતી. હવે, સવાલ એ થાય કે, જે વ્યક્તિ જ્યારે ઈન્ટરનેટની શરૂઆતના દિવસોનો લાભ લઈને જો ભાજપને સત્તા અપાવી શકતી હોય અને આજે તો સમગ્ર વિશ્વ લોકોની આંગળીઓના ટેરવે આવી ગયું છે ત્યારે અને સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરે ખરા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમ્પ્યૂટર અને સોશિયલ મીડિયાનો જેટલો ઉપયોગ કરે છે એટલો ઉપયોગ દેશના કોઈપણ રાજકીય પક્ષના નેતા નહિ કરતા હોય. અને તેમણે જ્યારથી દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ત્યારથી તેમણે એકપણ દિવસ એવો નથી ગયો કે નરેન્દ્ર મોદીએ તેનો ઉપયોગ ન કર્યો હોય. અને તેઓ સોશિયલ મીડિયામાં એટલા છવાયેલા છે કે, સમગ્ર વિશ્વના નેતાઓના સોશિયલ મીડિયાના ફોલોઅર્સની સરખામણી કરવામાં આવે તો તેઓ આજે વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયામાં ટોપ પર ચાલે છે. નરેન્દ્ર મોદીની જે દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ દેશના કોઈ નેતાની હોય એવું લાગતું નથી. કેમ કે, તેઓ સોશિયલ મીડિયા મારફતે એવા એવા સંદેશા આપે છે કે, તેમના ફોલોઅર્સની સંખ્યા દિનપ્રતિદિન વધી જ રહી છે. અને તેમના વહેતા કરાયેલી વાત સમગ્ર દેશના લોકો સરળતાથી ઉપાડી લે છે અને એ જ બતાવે છે કે તેમની સફળતા કેટલી છે. ત્યારે મારે અંતમાં એટલું જ કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોશિયલ મીડિયા પર કંઈ નવી વાત કરે અને એ પણ અટપટી હોય ત્યારે તેનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ નહિ કે તેમની આ વાતને લઈને ખોટી ખોટી ટિપ્પણીઓ કરીને પોતાની હાંસી ઉડે એવું ન કરવું જોઈએ.

- અભિજિત
08 માર્ચ 2020