કારગિલ ઓપરેશનના લગભગ ૧૭ વર્ષ બાદ હવે
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાની સૈનિકોની કારગિલમાં ઘૂસણખોરી ખોટી હતી. ઉલ્લેખનીય છે કે, તત્કાલિન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી
વાજપેયી પાકિસ્તાન વડાપ્રધાન શરીફના વિશેષ આમંત્રણ પર લાહોર ગયા હતા. ત્યાંથી બંને
દેશોની વચ્ચે શાંતિ પ્રક્રિયા શરૂ થઈ હતી જેનાથી બંને સરકારોને ઘણી આશાઓ હતી.
દરમિયાનમાં પાકિસ્તાની સેનાએ ચોરી-છૂપી કારગિલમાં ઘૂસી આવ્યા અને ત્યારબાદ બંને
દેશોની વચ્ચે જે કંઈ થયું તેમાં કથિત શાંતિ પ્રક્રિયાના લીરેલીરાં ઉડાવી દીધાં.
શરીફે સાચું જ કહ્યું કે પાકિસ્તાની
સેનાના આ દુઃસાહસનું પરિણામ એ આવ્યું કે, બંને દેશોના સંબંધોમાં સુધારો લાવવાની આશા લાંબા સમય સુધી પૂર્ણ થઈ
ગઈ. શરીફની આ સ્પષ્ટ વાત વખાણવાલાયક જરૂર છે. પરંતુ આ વાત રેકોર્ડ પર આવ્યા બાદ
તેનાથી જોડાયેલા કેટલાંક મહત્વના મુદ્દા પણ સામે આવ્યા છે. શરીફના કબૂલાતનામાએ એ
આરોપને સાચ્ચાં સાબિત કરી દીધા છે કે પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર માત્ર નામ
પૂરતી જ હોય છે. લોકશાહી નામ પૂરતી જ છે અને વાસ્તવિક સત્તા ફોજના હાથમાં છે. ન
માત્ર ચૂંટાયેલી સરકારને અંધારામાં રાખીને સેનાએ એક અન્ય દેશની સરહદ ઓળંગીને
ઘૂસીને તે વિસ્તાર પર કબ્જો જમાવી દીધો પરંતુ ત્યારબાદ પણ સરકાર સેનાના આ નિર્ણયને
બદલાવી ન શકી, ન તો સેના
પ્રમુખને કાઢી મૂકવાની હિંમત બતાવી શકી.
ઉલ્ટાનું, સરકાર જ સેનાના આ નિર્ણયનો સ્વીકાર કરીને, તેનો બચાવ કરવા મજબૂર થઈ ગઈ. કેટલાંક સમય બાદ આર્મી ચીપે આ નામ
માત્રની સરકારને માર્ગમાંથી હટાવી દીધી. આ ઘટના બાદ પણ સમય-સમય પર એવા સંકેત મળતા
રહ્યા છે કે, પાકિસ્તાની
સરકાર અને અહીંની સેના તથા આઈએસઆઈના કામકાજમાં તાલમેલ જ નથી. જ્યારે પણ સરકાર ભારત
સાથે શાંતિપૂર્ણ સંબંધોની દિશામાં કોઈ મોટું પગલું ઉઠાવવા જાય છે, સરહદ પારથી કોઈને કોઈ એવી હરકત થાય છે
જેનાથી આ પગલું બિન અસરકારક થઈ જાય છે. નવાઝ શરીફે જ્યારે આ વાતનો ખૂલ્લેઆમ
સ્વીકાર કરવાની હિંમત બતાવી છે તો તેમણે હવે કોઈક ઠોસ પગલાં પણ ઉઠાવવા જોઈએ જેનાથી
પાકિસ્તાનમાં સેનાની ઉપર ચૂંટાયેલી સરકારનો અંકુશ ન માત્ર સ્થાપિત થાય પરંતુ એવું
થતું સ્પષ્ટ રીતે દેખાય પણ ખરું.
૧૭-૧૭ વર્ષના વહાણાં વાઈ ગયાં બાદ શરીફ
આ વાતનો સ્વીકાર કરે કે કારગિલમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી ખોટી હતી તો આ વાત
કબૂલવા પાછળ પણ કોઈ રાજકીય ગણિત હોય એવું લાગી રહ્યું છે. કેમ કે આટ આટલાં વર્ષો
તેમણે આ વાતનો સ્વીકાર ન કર્યો અને હવે એકદમ જ કેમ? ક્યાંક વડાપ્રધાન મોદી સાથેના વધી રહેલા “દોસ્તાના”નું પરિણામ તો નથી ને? કે પછી વડાપ્રધાન મોદીને નવાઝ શરીફે પોતાના રાજકીય ગુરૂ બનાવી દીધા
છે અને તેના ભાગરૂપે મોદીએ ગુરૂમંત્ર આપ્યો છે કે, કોઈ એક મુદ્દા પાછળ લોકો પડી જાય ત્યારે તેમને બીજા મુદ્દા તરફ વાળી
દો. જેથી બહુ ચગેલો અને જેમાં આપણી બદનામી થતી હોય એ મુદ્દો લોકો ભૂલી જશે. આ જ
ગુરૂમંત્રને નવાઝે “શરીફ” રીતે “ફોલો” કર્યું હોય એવું પણ બની શકે?
-અભિજિત
28-02-16