Saturday, December 14, 2019

અભિની અભેરાઈમાંથી...

આમ તો હું છેલ્લાં 30 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં છું. આજે આ 30 વર્ષની સફરના કેટલાંક સંભારણાં પૈકીનો એક યાદગાર પ્રસંગ આજે મને મારી અભેરાઈમાંથી મળી આવ્યો. આજે હું મારા ખાનામાં ખોળાખંખોળા કરી રહ્યો હતો. એ સમયે મારા હાથમાં એક એપોઈન્ટમેન્ટ લેટર આવ્યો. જે હતો NDTVનો એપોઈન્ટમેન્ટ લેટર. આ લેટર એ સમયનો હતો જ્યારે દેશમાં ખાનગી ચેનલોનો રાફડો ફાટી નીકળ્યો નહોતો. આ વાત છે વર્ષ 1995ની જ્યારે મને પત્રકારત્વ ક્ષેત્રમાં આવ્યાને માત્ર પાંચ વર્ષ જ થયા હતા. આ પાંચ વર્ષમાંથી બે વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વની માસ્ટર ડિગ્રી લેવા ગયો તે બાદ કરી દઈએ તો કાયદેસરના ત્રણ જ વર્ષ થયા હતા. એ સમયે દિલ્હીમાં એક માત્ર ખાનગી ટીવી કંપની કામ કરતી હતી. અને એ હતી New Delhi Television Pvt. Ltd. (NDTV) અને એ સમયે ડો. પ્રણોય રોયની કંપનીનો અડધો કલાકનો સમાચારનો કાર્યક્રમ દૂરદર્શનની મેટ્રો ચેનલ પર શરૂ થવાનો હતો. આ માટે સમગ્ર દેશના દરેક રાજ્યમાંથી પ્રતિનિધિની નિમણૂંક કરવાની હતી. તે સમયે હું નવો નવો હતો એટલે આપણી એટલી પહોંચ પણ નહોતી. પરંતુ મારા પિતા સ્વ. તુષાર ભટ્ટ આ ક્ષેત્રમાં એક જાણીતું નામ હોવાના કારણે તેમને દિલ્હી અને મુંબઈના જાણીતા પત્રકારો ઓળખતા હતા અને મને તેમના કારણે લોકો ઓળખતા હતા. આ સંજોગોમાં તે સમયે ઈન્ડિયા ટૂડે (ગુજરાતી)ના તંત્રી શીલા ભટ્ટે ડો. રોયને મારું નામ સૂચવ્યું હતું. અને પછી તો તે સમયે દિલ્હીથી ફોન આવ્યો (લેન્ડલાઈન પર, કેમ કે તે સમયે મોબાઈલનો યુગ શરૂ થયો નહોતો.). અને મારો ટેલિફોનિક ઈન્ટર્વ્યૂ લેવામાં આવ્યો અને મારી પસંદગી કરી દેવાઈ. આમ ખાનગી ટીવી કંપનીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે મારી નિમણૂંક થઈ અને પછી શરૂ થઈ ઈલેક્ટ્રોનિક મીડિયાની સફર.


આ કામગીરી સંભાળ્યા બાદ મારે મહિનામાં જે સ્ટોરી કરવાની હોય તે માટે દિલ્હી સ્ટોરી આઈડિયા મોકલતો અને તેમાંથી સ્ટોરી આઈડિયા પસંદ થાય એટલે દિલ્હીથી રાજદીપ સરદેસાઈ અને કેમેરામેન ધનપાલ અમદાવાદની સફરે નીકળી પડે. આ સફર દરમિયાન અમારી ત્રિપૂટીએ ઘણી સ્ટોરી આપેલા આઈડિયા પ્રમાણે બનાવી તો ઘણી સ્ટોરી અચાનક જ બની ગઈ. આમને આમ આ સફરમાં બે મહિના પૂર્ણ થયા. ગુજરાતના મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલનું 17મી ફેબ્રુઆરી 1994માં અવસાન થયું હતું. અને તેમના મૃત્યુની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ હું, રાજદીપજી અને ધનપાલ અમદાવાદ-ગાંધીનગર ખાતે આવેલા તેમના સમાધિ સ્થળ નર્મદા ઘાટ ગયા હતા જ્યાં તત્કાલિન મુખ્યપ્રધાન છબીલદાસ મહેતા તેમ જ કોંગ્રેસ અને જનતાદલ (ગુ)ના નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. ત્યાંથી નીકળીને અમે તે સમયે ભાજપના પ્રદેશ કાર્યાલય જે ખાનપુરમાં આવેલું હતું ત્યાં પહોંચ્યા. તે સમયે નરેન્દ્રભાઈ મોદી ભાજપના સંગઠન મહામંત્રી હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમને મળવાનું થયું. આમ તો નરેન્દ્રભાઈ હું અમદાવાદનો પત્રકાર હોવાના નાતે તેમ જ વિવિધ અખબારોમાં ભાજપનું કવરેજ કરતો હોવાના કારણે ઓળખતા હતા. પરંતુ રાજદીપ સરદેસાઈને એટલા ન ઓળખે. અમે તેમની સાથે ઓળખાણની વિધિ પતાવ્યા બાદ ગુજરાતના રાજકારણની ચર્ચાની શરૂઆત કરી. જેમાં 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અને તેઓ પોતે ભાજપના સંગઠન મહામંત્રી હોવાના કારણે ભાજપની પ્રચારની નીતિ કેવી રહેશે તે વિશે વાત કરવાનું શરૂ કર્યું. અને અમારા કેમેરામેન ધનપાલે તેમની આ આખી વાતચીત (બાઈટ) તે સમયના બિટાકેમમાં રેકર્ડ કરી લીધી. આ બાઈટ લઈને તેમના કટ અવેસ બનાવ્યા અને ભાજપના ખાનપુર સ્થિત પ્રદેશ કાર્યાલયના વિઝ્યૂઅલ્સ પણ બનાવ્યા. અને પછી અમે નારણપુરા સ્થિત એડિટીંગ સેટઅપ પર ગયા અને ત્યાં અમે સ્ટોરી અંગ્રેજીમાં લખી અને તેનો વોઈસ ઓવર કરીને એડિટ કરી. આ આખી સ્ક્રિપ્ટ અને વિડીયો એડિટીંગ મેં કર્યું અને વોઈસ ઓવર રાજદીપજીએ કર્યો. અને આમ ભાજપની વિધાનસભા ચૂંટણીની તે સમયની રણનીતિ ઉપરની સ્ટોરી અમે તૈયાર કરી અને પછી અમારી ત્રિપૂટી અમદાવાદ એરપોર્ટ ગયા જ્યાં અમે દિલ્હી જતાં એક મુસાફરને અમારી ટેપ આપી અને દિલ્હી ખાતે અમારી ઓફિસમાં તે મુસાફરની અને ફ્લાઈટની વિગત વગેરે એસટીડી કોલ કરીને આપી દીધી. અને સાંજે સાતના ટકોરે ડીડી મેટ્રો પર NDTVના ન્યૂઝ ટૂનાઈટ કાર્યક્રમમાં તે સ્ટોરી પ્રસારિત થઈ જે નરેન્દ્રભાઈ મોદીએ જોઈ અને બીજા દિવસે બપોર થતાં અમે ફરી ભાજપના કાર્યાલય પર પહોંચ્યા ત્યારે તેમણે સહર્ષ અમારું સ્વાગત કર્યું અને અમારો ખૂબ ખૂબ આભાર માન્યો. અને પછી તેમની સાથે ચ્હાની ચૂસકીઓ અને નાસ્તાની મહેફિલ રોજ જામતી ગઈ અને આમ નરેન્દ્રભાઈ સાથે મિત્રતા થોડી મજબૂત થઈ. 1995માં ઈન્ટરનેટનો એટલો વ્યાપ નહોતો પરંતુ તે સમયે નરેન્દ્રભાઈ મોદીએ ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેઈલ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાજપ વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું અને તેમના આ પ્રયાસના કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓ ખૂબ જ પ્રભાવિત થતાં અને તેમને વળતો જવાબ પણ લખતા તે પણ નરેન્દ્રભાઈ અમને બતાવતા અને તે સમયે તેમની છાતી ગજગજ ફૂલતી હતી. તેમની અને તેમના પક્ષના અન્ય નેતાઓની મહેનત આખરે રંગ લાવી અને ગુજરાતમાં પ્રથમવાર 1995માં ભાજપની સરકાર સત્તા પર આવી. હા, અગાઉ પણ ભાજપની સરકાર હતી પણ કોઈ પક્ષને ટેકો આપીને સત્તામાં ભાગીદારી કરી હોય એવી હતી. પણ 1995માં એકલા હાથે સત્તા પર આવીને કોઈના પણ ટેકા વગર સરકાર બનાવી. આમ, નરેન્દ્રભાઈનું કદ પણ વધી ગયું અને માન પણ. પરંતુ આ માન અને કદ ભાજપના જ કેટલાંક અને ખાસ કરીને શંકરસિંહ વાઘેલાને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું.

1996માં શંકરસિંહ વાઘેલા જેમણે પણ ભાજપને આટલી ઊંચાઈ પર લઈ જવામાં કોઈ કસર બાકી નહોતી રાખી તેઓ નારાજ થયા અને તેમણે ભાજપના મોવડીમંડળને નરેન્દ્રભાઈ વિરૂદ્ધ ફરિયાદો કરવાનું શરૂ કર્યું અને તેમની ઉપેક્ષા કરાઈ રહી હોવાની ઉગ્ર રજૂઆતો કરતાં તે સમયે ભાજપના મોવડીમંડળ અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્રભાઈ મોદીના રાજકીય ગુરૂ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત ભાજપમાં ફેલાઈ રહેલા અસંતોષને ખાળવા માટે નરેન્દ્રભાઈ મોદીને દિલ્હી ખાતે કેન્દ્રીય ભાજપમાં બોલાવી લીધા અને તેમને હિમાચલ પ્રદેશના પ્રભારી બનાવી દેતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાથેનું એક મહિના દરમિયાનનું સંભારણું આજે પણ યાદ આવે છે ત્યારે લાગે છે કે રણનીતિ ઘડવામાં તેઓ બેતાજ બાદશાહ છે. હિમાચલ પ્રદેશથી જ્યારે તેઓ ગુજરાતમાં લાંબા સમય બાદ આવ્યા ત્યારે મારી સફર પણ જેમ ગુજરાત ભાજપ સાથે નરેન્દ્રભાઈ મોદીની પૂર્ણ થઈ હતી તેમ NDTV સાથેની મારી સફર પણ પૂર્ણ થઈ ગઈ હતી. અને હું ફરી પાછો જયહિન્દ અખબારમાં આવી ગયો હતો. જ્યારે નરેન્દ્રભાઈ મોદી હિમાચલ પ્રદેશથી ગુજરાત આવવાના હતા ત્યારે તેમના સ્વાગત માટે ભાજપના પ્રદેશ એકમે કાલુપુર રેલવે સ્ટેશન પર એક સ્વાગત કાર્યક્રમ રાખ્યો હતો. જેને જયહિન્દના પત્રકાર તરીકે કવર કરવા હું ગયો હતો. અને સ્ટેશન પર ભાજપના તે સમયના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહને હું ટપકાવી રહ્યો હતો. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ દૂરથી મને જોઈને તેમણે હાથ કોણીએથી વાળીને કેમેરો ક્યાં એવો સવાલ પૂછીને નજીક આવીને મારી સાથે વાતચીત કરવા લાગ્યા. આ જોઈને મને તેમની યાદશક્તિનો પરચો પણ મળી ગયો. આમ તો નરેન્દ્રભાઈ મોદી સાથે વર્ષ 2010 સુધી મારો સંપર્ક રહ્યો. પણ 2010માં મીડિયા છોડ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો અને જ્યારે હું કોર્પોરેટ કંપનીઓમાં જનસંપર્ક અધિકારી તરીકે કામ કરતો હતો ત્યારે વર્ષ 2014માં તેઓ દેશના વડાપ્રધાન તરીકે સ્થાન સંભાળી ચૂક્યા હતાં. હું વર્ષ 2016માં ફરી મીડિયામાં સક્રિય થયો છું. ત્યારે હવે એવી આશા રાખી રહ્યો છું કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને હું યાદ હોઈશ કે નહિ.

અભિજિત
14-12-2019