Wednesday, August 26, 2015

અનામતની આંધીમાં વિસરાયા ગાંધી



25મી તારીખે સાંજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની ક્રાંતિ રેલીના સ્થળેથી કરાયેલી ધરપકડ બાદ તેની આંધી એટલી બધી ફેલાઈ કે શાંતિપ્રિય ગુજરાતમાં અશાંતિનો માહોલ ઊભો થઈ ગયો. આ ઘટના માટે કોણ જવાબદાર? કોને કારણે આ હિંસા ફેલાઈ? કોણ ગુજરાતની શાંતિનો દુશ્મન છે? એવા સવાલો લોકોને થવા લાગ્યા. અને આવા સવાલો થવા જ જોઈએ. કેમ કે ગાંધીના ગુજરાતમાં અહિંસાને બદલે હિંસાનો માર્ગ અપનાવીને પોતાનો રોટલો શેકવો કેટલો વ્યાજબી છે? આ બધા સવાલોના જવાબ તો મળતા મળશે પણ, એક વાત ચોક્કસ છે કે, અનામતની આંધીએ ગાંધીને વિસરાવી દીધા. મહાત્મા ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવીને જેમ અંગ્રેજોને ખદેડ્યા હતા, તેમ તેમના ચિંધેલા માર્ગે ચાલીને કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે એવું હોવા છતાં પણ, કેટલાંક રાજકીય પક્ષોની હુંસાતુંસીએ ગઈકાલે ગુજરાતની શાંતિપ્રિય પ્રજાની શાંતિ હણી લીધી છે. ગુજરાતની પ્રજાએ આવા તત્વોને ઓળખી લેવા જોઈએ અને તેમને પાઠ ભણાવવા માટે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવવો જોઈએ એવું લાગે છે.
ગઈકાલને ઘટનાએ ત્રીસ વર્ષ પહેલા બનેલી આવી જ ઘટનાની યાદ તાજી કરાવી. વર્ષ 1985માં અનામત વિરોધી આંદોલનની આંધીએ સમગ્ર અમદાવાદ અને રાજ્યમાં અરાજકતા સર્જી હતી. તો વર્ષ 2015માં અનામત આંદોલનની આંધીએ ગુજરાતની શાંતિને ડહોળી નાખી છે. આ બધામાં બિચ્ચારી નિર્દોષ પ્રજાની ખો નીકળી રહી છે. જે રીતે છમકલાં થયા તેમાં જાહેર સંપત્તિને જ નુકશાન થયું છે. આવા તોફાનો કરનાર તોફાની તત્વોને માલૂમ નથી કે આવી રીતે જાહેર સંપત્તિને નુકશાન એ આપણું પોતાનું જ નુકશાન છે. કેમ કે, જો આવી સંપત્તિને નુકશાન કરીએ એટલે એને પૂર્વવત કરવા માટે ખર્ચ કરવો પડે અને જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ટેક્સ નાંખે અને એ ટેક્સ આખરે પ્રજાએ જ ભરવો પડે છે. આમ આ પ્રકારના નુકશાનથી રાજ્ય સરકારનું બજેટ તો બગડે જ છે, પણ ટેક્સ વધવાના કારણે પ્રજાની કમર પણ તૂટી જાય છે. આ બધું આવા તત્વોએ સમજવું જોઈએ અને કોઈ પણ પ્રકારના તોફાનો કે જાહેર સંપત્તિને નુકશાન કરતાં પહેલાં વિચારવું જોઈએ. શાંતિના હિમાયતી એવા ગાંધીના ગુજરાતમાં જ જો અશાંતિનો માહોલ સર્જાય તો આપણા ગુજરાતીઓની છાપ સમગ્ર દેશ અને વિશ્વમાં કેવી પડે એ પણ વિચારવું જોઈએ. જો આવો જ માહોલ રહે તો વિદેશી રોકાણકારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં રોકાણ કરવા આવી રહ્યા છે અને તેના કારણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, તેમાં બ્રેક લાગી જાય. એક દિવસના આવા છમકલાંથી ગુજરાતને જ નુકશાન થાય છે એ સમજવું જરૂરી છે.
ગઈકાલની ઘટના બાદ બીજા દિવસે એટલે કે 26મી ઓગસ્ટે સમગ્ર અમદાવાદ શહેરમાં બધું જ ઠપ્પ થઈ ગયું છે, એએમટીએસ, બીઆરટીએસ પણ બંધ છે. લોકોના ધંધા રોજગાર બંધ છે. રોજે રોજ કમાઈને બે ટંકનો રોટલો રળતા લોકોના ઘરમાં આજે ચૂલો પણ સળગશે કે કેમ એ એક યક્ષ પ્રશ્ન છે. આ બધું કોણ કરાવે છે તેને ઓળખી લેવાની પ્રજાએ જરૂર છે. અને આવા તત્વોને પ્રોત્સાહન આપવાના બદલે તેમને સમજાવવાની જરૂર છે, કે હિંસાથી કોઈનો ઉદ્ધાર નથી થતો પણ ઉલ્ટાનું નુકશાન આપણે જ ભોગવવું પડે છે. દરેક સમસ્યાનો ઉકેલ હિંસાથી જ આવે એ માનસપટમાંથી ડિલિટ કરી દેવું જોઈએ અને જે કોઈ સમસ્યા છે તેના માટે ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવા જોઈએ.
પાટીદારોની ક્રાંતિ રેલી બાદ રાત્રે રાજ્ય સરકારે પાટીદાર નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે પોલીસને કોઈ આદેશ આપ્યા નથી એવું કહીને પોતાના હાથ ખંખેરી લીધા. જે બતાવે છે કે રાજ્ય સરકાર પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ કરાવીને પોતાની રાજકીય ખીચડી પકવવા માંગે છે. પ્રજાએ આવા નેતાઓને ઓળખી લેવા જોઈએ અને તેમને આવનારી ચૂંટણીમાં પાઠ ભણાવવો જોઈએ. હિંસાના માર્ગે કશું ન મળે પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં તેનો પરચો બતાવીને આવા તત્વોને ઘેર બેસાડવાનો માર્ગ વિચારવો જોઈએ.
આટલું ઓછું હોય એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈરાત્રે સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલી હિંસા બાદ આજે બપોરે પ્રજાને શાંતિ જાળવવા અપીલ કરી. આ અપીલ પાછળનો તેમનો આશય સ્પષ્ટ છે કે તેઓ આ ઘટનાથી નારાજ તો છે પણ સાથોસાથ તેમના રાજ્યના વિકાસ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે તેની ચિંતા પણ સતાવી રહી હોય એવું તેમના નિવેદન દરમિયાનના ચહેરા પરના હાવભાવ પરથી ફલિત થતું હતું.
ટૂંકમાં પ્રજાએ આ વાત સમજીને શાંતિ જાળવવી જોઈએ અને ગુજરાતના વિકાસમાં ખભે ખભા મિલાવીને દરેક ગુજરાતીનું સપનું સાકાર થાય એવા પ્રયાસો કરવા જોઈએ.
-અભિજિત
26-08-2015

Tuesday, August 25, 2015

પાટીદારો અને સરકારની હુંસાતુંસી એટલે અનામત આંદોલન



છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત છેવટે 25મી તારીખે સવારે આવી ગયો. પાટીદાર અનામત આંદોલનની રેલી સોરી રેલો સવારથી શરૂ થયો અને છેક સાંજ સુધી ચાલુ રહ્યો. જેના કારણે પશ્ચિમ અમદાવાદના ધંધા રોજગાર બંધ રહ્યાં અને રસ્તાઓ પણ પોલીસે અગમચેતી રૂપે બંધ કરી દીધા હતા. જેના કારણે પશ્ચિમ અમદાવાદના રહીશોને પોત પોતાના ઘરમાં પૂરાઈ રહેવું પડ્યું હતું. આ પ્રકારે રસ્તા અને ધંધા રોજગાર બંધ કરાવીને સરકાર અને પાટીદારો શું સાબિત કરવા માંગે છે. પાટીદારોના અનામત આંદોલન અને રાજ્ય સરકારની હુંસાતુંસી વચ્ચે બિચ્ચારી પશ્ચિમ અમદાવાદની પ્રજાની ખો નીકળી ગઈ.


સવારે નિયત સમય કરતાં વહેલાં જ આ આંદોલનના પ્રણેતા અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ તેમના કાફલા સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી ક્રાંતિ રેલીના સ્થળ પર પહોંચી ગયા. જેવા તે સ્ટેજ પર આવ્યા કે આખા ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ બહાર 132 ફૂટ રીંગ રોડ પર ઉમટી રહેલા પાટીદારો જોશમાં આવી ગયા અને જય સરદારના નારાથી વાતાવરણ ગજવી મૂક્યું. હાર્દિક પટેલે સતત દોઢ કલાક સુધી ભાષણ આપ્યું અને પાટીદારોમાં જુસ્સો અને જોમ રેડ્યું.

આ સભા ચાલુ હતી ત્યાં વધુ એક ડિંડક આવ્યું. અને એ હતું પાટીદારના પીઢ અગ્રણી લાલજીભાઈ પટેલ અને તેમના કાર્યકર્તાઓએ લાલજીભાઈને સ્ટેજ પર લાવવાની માગણી કરી ત્યારે એક સમયે તો એવું લાગ્યું કે આ સભામાં જ બે ભાગ પડી જશે અને અફરાતફરી મચી જશે. પણ, એવું ન થયું. લાલજીભાઈ પણ સ્ટેજ પર બિરાજમાન થયા અને શરૂ થઈ સામસામી જીભાજોડી. અને ટકરાયા બન્ને નેતાઓના અહમ્. આ અહમ્ નહોતો પણ, ગુજરાત સરકારની ચાલ હોય એવું લાગી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની જૂની અને જાણીતી નીતિ રીતિ પ્રમાણે એક જ સમાજમાં તડાં પાડીને અંદર અંદર ઝઘડાવી મૂકવાનો કારસો રચાયો.


આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રુપ ગઈકાલ રાતથી જ એકબીજાની સામે આવી ગયા હતા. ગઈકાલે રાત્રે બેનરની બબાલથી શરૂ થયેલો આ વિવાદ આજે સવારે સભા બાદ તે ચરમસીમાએ પહોંચી ગયો હતો. હાર્દિક પટેલના ભાષણ અને તેમાં ભૂખ હડતાળ પર ઉતરવાની જાહેરાત સાથે જ સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના નેતા લાલજીભાઈ પટેલે પત્રકાર પરિષદમાં પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે ભૂખ હડતાળના હાર્દિકના નિર્ણયની જાણ સ્ટેજ પર પહોંચ્યા બાદ તેમને થઈ હતી. અને તેમણે આ ભૂખ હડતાળ પર બેસવાના હાર્દિકના નિર્ણય તેમ જ સરકાર વિરોધી નિવેદનોથી પોતાને અલગ કરી દીધા હતા.

અનામત માટે પાટીદારોની રેલી અમદાવાદ કલેક્ટરની કચેરીએ જવાના હતા, પણ આ રેલી શરૂ થાય એ પહેલાં જ શહેરના કલેક્ટર પોતે જીએમડીસી ગ્રાઉન્ડ આવી પહોંચ્યા આવેદન પત્ર સ્વીકારવા. જોકે, હાર્દિક પટેલ આણિ કંપનીએ તેમને આવેદન પત્ર આપવાની ધરાર ના પાડી દીધી અને અચાનક જ તેમણે એવી જાહેરાત કરી દીધી કે, જ્યાં સુધી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ખૂદ જીએમડીસી ગ્રાઉન્ડના મંચ પર આવીને આવેદન પત્ર ન સ્વીકારે ત્યાં સુધી ભૂખ હડતાળનું એલાન કરી દીધું. આ જાહેરાત થતાં જ લાલજીભાઈ પટેલ આણિ કંપનીને પણ જાણે જોર કા ઝટકા જોર સે લગા હોય એવી લાગણી ફેલાઈ ગઈ.

સભામાં તડાં ન પડતાં જ રાજ્ય સરકારના પેટમાં પણ તેલ રેડાયું અને બીજી બાજુ ગાંધીનગરમાં તાકીદની વરિષ્ઠ મંત્રીઓની બેઠક મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તેમના નિવાસસ્થાને બોલાવી અને સરકારી નીતિ પ્રમાણે ચર્ચા શરૂ કરી. પાટીદારોની આ રેલીએ રાજ્ય સરકાર અને ખાસ કરીને ભાજપની નેતાગીરીને વિમાસણમાં મૂકી દીધા છે. રેલીને કારણે પશ્ચિમ વિસ્તારમાં ધંધા-રોજગાર બંધ હતાં. પણ જ્યાં જ્યાં દુકાનદારોએ પોતાની રોજી કમાવા દુકાનો શરૂ કરી હતી તેઓને રેલીમાં આવેલા પાટીદારોએ ઝપેટમાં લીધા અને જબરજસ્તીથી દુકાનો બંધ કરાવી. જેમાં થોડાં ઘણાં છમકલાં એટલે કે પથ્થરમારો થયો અને પછી પોલીસ પણ તાનમાં આવી ગઈને અને તેમણે શરૂ કરી ડંડાવાળી. આ પરિસ્થિતિ વણસતી જોઈને રાજ્ય સરકાર પણ ગભરાઈ ગઈ અને તેઓએ શાંતિની અપીલ કરવાનું શરૂ કર્યું, તો બીજી બાજુ પાટીદારોના કહેવાતા નેતાઓએ પણ શાંતિ જાળવવા અપીલ કરી. તો કેટલાંક પાટીદાર નેતાઓએ સુફિયાણી વાતો કરવા લાગ્યા કે રેલીના આગલા દિવસે કેમ અપીલ ન થઈ એવા સવાલો પોતાના જ સમાજના કહેવાતા આગેવાનોને પૂછવા લાગ્યા. પણ, એ લોકો કેમ ભૂલી જાય છે, કે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો જોડાયા હોય ત્યારે કોણ કાંકરીચાળો કરશે તેની ખબર થોડી હોય છે, અને આટલી મોટી સંખ્યાને શાંત રાખવા પણ મુશ્કેલ હોય છે. પણ ભગવાન સૌનું ભલું કરે કે પોલીસે થોડી ડંડાવાળી કરીને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી. આ કાંકરીચાળાને કારણે ગાંધીનગરમાં ગાદી પર બેઠેલા રાજકીય નેતાઓને પણ ડર લાગવા માંડ્યો અને તેમના નિવાસસ્થાનની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત કરાવી દીધો.

પાટીદારોની આ રેલી અને તેમાં ભાજપની તડાં પાડવાની વૃત્તિ ઉઘાડી પડી ગઈ ત્યારે આવનારા દિવસોમાં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ પાટીદારો ભાજપને તમામ મહાનગરપાલિકામાંથી ઘેર બેસાડે તો નવાઈ નહિ.

આજની આ રેલી ઉપર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ સવારથી જ નજર માંડીને બેઠા હતાં તો, દિલ્હીમાં બેઠેલા સાહેબ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડા થોડા સમયે અમદાવાદની રેલી અંગે જાત માહિતી મેળવીને તેમના જ પક્ષની રાજ્ય સરકારને માર્ગદર્શન આપી રહ્યા હતા. અને તેમની સૂચના મૂજબ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પાટીદાર નેતા હાર્દિક પટેલનું આવેદન પત્ર સ્વીકારવા જીએમડીસી ગ્રાઉન્ડ નહિ જાય અને પીએમઓમાંથી પણ તેમને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

આટલું ઓછું હોય એમ પાટીદારોનો જુસ્સો જોઈને અન્ય સમાજના લોકો પણ હવે અનામત લેવા માટે રેલીઓ કાઢવા તૈયાર થઈ ગયા છે. આગામી 30 તારીખે ગુલબાઈ ટેકરાથી લો ગાર્ડન સુધી વૈષ્ણવ સમાજે રેલી કાઢવાનો નિર્ણય કરી લીધો છે, તો અન્ય સમાજ પણ તેમાં પાછળ પડે એવા નથી અને આવનારા દિવસોમાં ક્યાંકને ક્યાંક આવી રેલીઓ જોવા મળી શકે છે.

ટૂંકમાં કહીએ તો, પાટીદારોના આ આંદોલન અને રેલીને કારણે એક વાત ચોક્કસ છે કે, આટલા મોટા આંદોલન પાછળ જરૂરથી કોઈકનો દોરી સંચાર છે. કેમ કે ચોક્કસ દોરી સંચાર વગર આટલી મોટી રેલી યોજવી હાર્દિક પટેલ કે લાલજીભાઈ પટેલ જેવા નેતાઓની તાકાત નથી.

-અભિજિત
25-08-2015