Friday, May 25, 2018

પ્રજા પેટ્રોલમાં ત્રસ્ત, સરકાર ફિટનેસમાં વ્યસ્ત

સવારે ઉઠીને રોજનાં ક્રમ પ્રમાણે અખબાર હાથમાં લીધું. છાપું ખોલતાં જ પહેલાં પાને સમાચાર હતાં કે, કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ઉછાળો આવવા લાગ્યો. હદ તો ત્યારે થઈ જ્યારે ગુરૂવારે પેટ્રોલનાં ભાવ અમદાવાદમાં 76થી 77 રૂપિયે પ્રતિ લિટર થઈ ગયો. તો મહારાષ્ટ્રમાં તો હદની પણ હદ બહાર પેટ્રોલનો ભાવ થઈ ગયો. ત્યાં તો 85 રૂપિયે પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ છે. આટઆટલાં ભાવ વધી રહ્યાં છે તેમ છતાં આખ્ખાબોલાં આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી આ મામલે મગનું નામ મરી નથી પાડ્યું અને હવે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું તખલ્લુસ મૌની બાબા પોતાના માટે રાખી લીધું હોય એવું લાગે છે. મને યાદ છે કે વર્ષ 2012માં જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે પેટ્રોલ-ડિઝલની સાથે સાથે મોંઘવારી મુદ્દે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ખૂબ જ માછલાં ધોયેલાં અને એવું કહેલું કે પેટ્રોલ-ડિઝલનાં વધી રહેલાં ભાવ એ કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. તો મારો સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે કે જો તે સમયે આ ભાવ વધારો યુપીએ સરકારની નિષ્ફળતાનો પુરાવો હતો તો અત્યારે શું કહેવાય? કેમ કે, છેલ્લાં ચાર ચાર વર્ષથી આપની સરકાર સત્તા પર છે અને આજ દિન સુધી એવું નથી બન્યું કે, પેટ્રોલ-ડિઝલનાં ભાવ 65 રૂપિયાથી નીચે આવ્યાં હોય. આપને યાદ કરાવી દઉં તો જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 140 ડોલર પ્રતિ બેરલ હતો, ત્યારે પણ દેશમાં પેટ્રોલનો ભાવ 70 રૂપિયા પ્રતિ લિટરથી વધારે નહોતો. જ્યારે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 70 ડોલર પ્રતિ બેરલ છે ત્યારે ભાવ 76ની પાર છે.

છેલ્લાં કેટલાંક સમયથી પેટ્રોલ-ડિઝલનાં ભાવ એટલાં વધી રહ્યાં છે કે સામાન્ય પ્રજા તેલમાં વ્યસ્ત થઈ ગઈ છે તો લોકોનું ધ્યાન ચોક્કસ જગ્યાએથી ભટકાવવા માટે જાણીતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના રમતગમત રાજ્ય મંત્રી રાજ્યવર્ધન જેઓ પોતે ઓલિમ્પિકનાં શૂટિંગ કમ્પિટિશનનાં સિલ્વર મેડલિસ્ટ પણ છે, તેમણે પોતાની ઓફિસમાં કામકાજ બાજુ પર મૂકીને પોતાની ફિટનેસનો ઢંઢેરો પીટવા માટે પુશ અપ્સ કર્યાં અને સાથે ટીમ ઈન્ડિયાનાં ક્રિકેટર વિરાટ કોહલી, ફિલ્મ સ્ટાર હ્રિતિક રોશન વગેરેને ચેલેન્જ આપી દીધી. તો આ સેલિબ્રિટિસ પણ કાંઈ ઓછી નથી તેમણે પણ આ ચેલેન્જિસ ઉપાડી લીધી અને અન્યને પડકાર ફેંક્યો. કોહલીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની ફિટનેસ સાબિત કરવા માટે ચેલેન્જ આપી દીધી. ટ્વિટરનાં માધ્યમથી ચાલી રહેલી આ ચેલેન્જની નવી ગેમમાં વડાપ્રધાન મોદીએ કોહલીની ચેલેન્જને સ્વીકારી અને ટ્વિટ કર્યું કે તારી ચેલેન્જ સ્વીકારું છું અને ટૂંક સમયમાં જ મારો ફિટનેસનો વિડીયો શેર કરીશ. રાજ્યવર્ધન દ્વારા શરૂ કરાયેલાં આ ગતકડાએ એટલું જોર પકડ્યું કે, કેન્દ્ર સરકારનાં કેટલાંક મંત્રીઓ કામકાજ સાઈડ પર કરીને આ ચેલેન્જમાં ભાગ લેવા મંડી પડ્યાં. સોરી,,, કામ કરતાં હોય તો સાઈડમાં મૂકવું પડે ને? અને આ સરકારમાં તો ક્યાંય એવું દેખાતું નથી કે મંત્રીઓ બહુ કામ કરતાં હોય. અરે, રાજ્યવર્ધનભાઈને કોઈ સમજાવો કે પૂશઅપ્સ કરવાથી ફિટનેસ નથી આવતી. આપણાં દેશની પ્રજા મહેનતકશ પ્રજા છે અને એ પોતાની ફિટનેસ કેવી રીતે રાખવી એ સારી પેઠે જાણે છે. અને જે રીતે પેટ્રોલ-ડિઝલનાં ભાવ દરરોજ વધી રહ્યાં છે તે જોતાં એવું લાગે છે કે, ભાવ જો કાબૂમાં નહિ આવે તો ચોક્કસ દેશની પ્રજા પોતાનાં વાહનોને “પુશ અપ્સ” કરીને પણ ફિટ રહેશે, મગર આપકા ક્યા હોગા મંત્રીજી? પુશ અપ્સ કરીને ફિટનેસનાં વિડીયો બનાવીને બીજાને ચેલેન્જ આપવાનાં દેખાડા કરવાનાં બદલે પ્રજાકીય કામ પર ધ્યાન રાખો તો તમારી સરકાર ફિટ રહેશે અને આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં જીતશે નહિ તો, પછી પ્રજા તમને પીટશે...

-અભિજિત
25-05-2018

Sunday, May 20, 2018

કરવા ગયાં કંસાર ને થઈ ગઈ થૂલીઃ કર્ણાટકનાં નાટકમાં ભાજપનાં બેઉ બગડ્યાં


રાજકીય નાટકો માટે પ્રખ્યાત કર્ણાટકનું વધુ એક નાટક

ભાજપ દ્વારા દિગ્દર્શિત, કોંગ્રેસ અને જનતા દળ (એસ) અભિનિત ત્રિઅંકી સસ્પેન્સ નાટક...

અંક ત્રીજો અને છેલ્લો...

છેવટે કર્ણાટકનાં નાટકનો નાટકીય અંત આવ્યો. કેમ કે, સુપ્રીમ કોર્ટે 18મી મેનાં રોજ કોંગ્રેસ-જેડી (એસ) દ્વારા કરાયેલી અરજીની સુનાવણીમાં ભાજપનો અને તેમનાં તરફથી હાજર રહેલાં એટર્ની જનરલ મુકુલ રોહતગીનો ઉઘડો લીધો હતો અને કહ્યું કે, ભાજપ બહુમત કેવી રીતે પુરવાર કરશે. ત્યારે ભાજપે જવાબ આપ્યો કે અમારી પાસે પૂરતી સંખ્યા છે અને તે અમે ફ્લોર પર પુરવાર કરીશું. તો સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે જો તમારી પાસે બહુમત છે તો તે પુરવાર કરવા માટે 15 દિવસનો સમય શા માટે શનિવારે જ કરો. તો ભાજપ તરફથી એવી રજૂઆત કરાઈ કે, સાત દિવસનો સમય આપવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટ એકની બે ન થઈ અને અંતે 19મી મે એટલે કે શનિવારે સાંજે 4 વાગે કર્ણાટકનાં સિંહાસન પર ત્રીજી વખત આરૂઢ થયેલાં અને ક્યારેય પાંચ વર્ષ સુધી પદ પર નહિ ટકેલાં ભાજપનાં મુખ્યમંત્રી બુકાનકેરે સિદ્ધલિંગપ્પા યેદિયુરપ્પાને પોતાની બહુમત પુરવાર કરવાં માટે આદેશ કરી દીધો. હજુ આ બાબતની ભાજપને કળ વળે ત્યાં કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્ણાટકનાં વિધાનસભાનાં પ્રોટેમ સ્પીકર તરીકે બી. જી. બોપૈયાની નિમણૂંક કરી. આ નિમણૂંકનાં કારણે હાલમાં જ દેશભરમાં ધૂમ મચાવનાર મલાયલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરની આંખોનાં ભવાંની માફક ફરી કોંગ્રેસનાં આંખનાં ભવાં ઊંચા નીચા થવા માંડ્યા. અને ફરી સુપ્રીમ કોર્ટમાં આ નિમણૂંકને પડકારતી અરજી કરી દીધી. આમ માત્ર એક જ સપ્તાહમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બીજી કે ત્રીજી અરજી કરી દેવામાં આવી. મને લાગે છે કે કોંગ્રેસ પક્ષે એક કમિટી જ તૈયાર કરી છે જે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ત્યાં તેમની વિરૂદ્ધની વિગતો મેળવીને જે તે કોર્ટમાં અરજીઓ કરે. કેમ કે, કોંગ્રેસના કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, પી. ચિદમ્બરમ્ જેવા દિગ્ગજ નેતાઓ પાસે આજકાલ કોઈ કામ નથી લાગતું અને કામ ન હોય ત્યારે માણસ નખ્ખોદ વાળે એટલે કોંગ્રેસ પક્ષ અને તેમનાં પ્રમુખ રાહુલ ગાંધીએ આ નેતાઓને કામમાં વ્યસ્ત રહે એ માટે માઇઈક્રો પ્લાનિંગ કર્યું હોય એવું લાગે છે જેથી આ નેતાઓ નવરાં બેસીને ક્યાંક ભાંગરો વાટીને ભાજપને કોંગ્રેસ વિરૂદ્ધ કોઈ મુદ્દો ન આપી દે. અરે, આપણે તો નાટકનાં ત્રીજા અંકમાં છીએ અને નાટકની સ્ક્રિપ્ટ ક્યાંક આડે પાટે જતી રહી. તો ચાલો પાછાં આપણાં ઓરિજિનલ નાટક તરફ આગલ વધીએ. કોંગ્રેસે પ્રોટેમ સ્પીકરની નિમણૂંકને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે 19મી મે એટલે કે શનિવારે સવારે ફગાવી દીધી. આ અરજી જ્યારે ફગાવાઈ ત્યારે કર્ણાટક વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર બોપૈયા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યાં હતાં અને તેની ઉપર સતત આપણાં દેશની રાષ્ટ્રીય અને પ્રાદેશિક ન્યૂઝ ચેનલોમાં રાજકીય વિશ્લેષકો અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સતત ચર્ચા કરીને કર્ણાટકમાં શું થશે તેનો ચિતાર દર્શકો સુધી પહોંચાડ્યો.
તમામ ધારાસભ્યોનાં શપથ લેવાઈ ગયાં ત્યાં સુધીમાં એવા અહેવાલ આવ્યાં કે, કોંગ્રેસનાં બે ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં પહોંચ્યા નથી અને તેમનું અપહરણ કરાયું છે અને તેમને બંધક બનાવવામાં યેદિયુરપ્પાનાં પુત્રનું નામ ઉછળ્યું. આ ખરેખર આપણી લોકશાહી છે, જેમાં બાપ મુખ્યમંત્રી કે સાંસદ કે મંત્રી હોય એટલે બાપ કાંઈ ખોટું કરે એટલે એમનાં પરિવાર અને સૌથી પહેલાં તેમનાં નબીરાનું નામ જ બહાર આવે. આટલું ઓછું હોય એમ આવા કહેવાતા જનપ્રતિનિધિઓનાં નબીરાંઓ પણ ઓછા નથી, તેઓ પણ પોતાનાં બાપની ઉલ આપીને લોકોને સતત દાબમાં રાખતાં હોય છે. તો યેદિયુરપ્પાનાં પુત્રનું નામ ખૂલ્યું આ બે ધારાસભ્યોને ગૂમ કરવા બાબતે. જોકે, ધારાસભ્યોએ શપથ લીધાં ત્યાં સુધીમાં યેદિયુરપ્પા તેમ જ ભાજપનાં હાઈકમાન્ડ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત અનિલચંદ્ર શાહે પણ અંદરખાનેથી સ્વીકારી લીધું હતું કે, કર્ણાટકનાં સિંહાસન પર ભાજપને બેસવું અતિ મુશ્કેલ બની ગયું છે. એટલે તેમણે યેદિયુરપ્પાનો સંપર્ક કરીને તેમને કહ્યું કે, બહુમત પુરવાર કરવો હોય તો પુરવાર કરવો અને રાજીનામું આપવું હોય તો રાજીનામું આપી દે. અને અંતિમ નિર્ણય તેમની ઉપર છોડી દીધો. જોકે, ભાજપનાં યેદિયુરપ્પાએ પણ સ્વીકારી લીધું હતું કે, તેમની પાસે બહુમત પુરવાર કરી શકાય એ મેજિક ફિગર થઈ શકે એમ નથી એટલે તેમણે 13 પાનાંની લાંબી પોતાની ઈમોશનલ સ્પીચ તૈયાર કરાવી અને લગભગ 3 વાગ્યા પછી મળેલાં વિધાનસભા ગૃહમાં તે વાંચવાની શરૂઆત કરી. અને અંતે જેમ 1996માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લોકસભામાં બહુમત પુરવાર ન કરી શક્યાં ત્યારે જે રીતે લાગણીશીલ થઈને સદનને સંબોધ્યું હતું એમ જ યેદિયુરપ્પાએ પણ સદનને સંબોધ્યું અને રાજીનામું આપવાની જાહેરાત કરી. જોકે, યેદિયુરપ્પા ભૂલી ગયાં કે આ પ્રકારની ઈમોશનલ સ્પીચ આપવાથી કાંઈ વાજપેયી ન બની જવાય. કેમ કે અટલ બિહારી વાજપેયી રાજકારણી હતાં પણ હાલનાં રાજકારણીઓની માફક હલ્કી રાજનીતિ નહોતાં કરતાં અને એટલે જ તેમને શ્રેષ્ઠ રાજનેતા કહેવામાં આવે છે.
ટૂંકમાં, કર્ણાટકનાં આ નાટકમાં ભાજપ તો સફળ ન થતાં એવું કહી શકાય કે કરવાં ગયાં કંસાર અને થઈ ગઈ થૂલી. ટૂંકમાં ભાજપનાં આ ખોટાં નાટકને કારણે ભાજપની છાપ તો બગડી પણ સાથે સાથે ત્રણ ગુજરાતી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ભાજપનાં અધ્યક્ષ અમિત અનિલચંદ્ર શાહ અને કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ રૂડાભાઈ વાળાની ઈજ્જતનો ફાલૂદો થઈ ગયો એવું ચોક્કસ કહી શકાય? આ યક્ષ પ્રશ્નનો જવાબ તો વાચકો જ આપી શકશે.
ભારતને વિશ્વનાં શ્રેષ્ઠ લોકશાહી દેશ તરીકે ગણવામાં આવે છે ત્યારે છેલ્લાં કેટલાંક સમયથી દેશનું લોકતંત્રને કોઈકની બૂરી નજર લાગી ગઈ હોય એવું લાગે છે કેમ કે, દેશમાં ક્યાંય લોકશાહી જેવું દેખાઈ નથી રહ્યું. અને કર્ણાટકમાં ભાજપનાં થયેલાં ફજેતાં બાદ ભાજપનાં નેતાઓ લાજે છે કે ગાજે છે તે જોવું રહ્યું.

અભિજિત
20-05-2018

Thursday, May 17, 2018

રાજકીય નાટકો માટે પ્રખ્યાત કર્ણાટકનું વધુ એક નાટક

ભાજપ દ્વારા દિગ્દર્શિત, કોંગ્રેસ અને જનતા દળ (એસ) અભિનિત ત્રિઅંકી સસ્પેન્સ નાટક...

અંક પહેલો...
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 12મી મેનાં રોજ યોજાઈ અને તેનાં પરિણામ પણ 15મી મેનાં રોજ જાહેર થઈ ગયાં. દર ચૂંટણીની માફક આ વખતે પણ દેશની તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલોએ પોત પોતાની રીતે એજન્સીઓ રોકીને કર્ણાટક ચૂંટણી પછી એક્ઝિટ પોલ કર્યાં. અને આ એક્ઝિટ પોલમાં લગભગ સરેરાશ એવું તારણ આવ્યું કે, કર્ણાટકમાં ત્રિશંકુ સરકાર એટલે કે હન્ગ એસેમ્બલી રચાશે. 16મી મેએ સવારથી શરૂ થયેલી મતગણતરીમાં લગભગ 11 વાગ્યાની આસપાસ જે વલણો સામે આવ્યાં તેમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો લગભગ 120થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યાં હતાં અને આ વલણોને જોતાં દેશભરમાં ભાજપનાં જે તે પ્રદેશનાં એકમો ઉપરાંત કર્ણાટક ભાજપે પણ ઉત્સાહનાં અતિરેકમાં જીતની ઉજવણી શરૂ કરી દીધી. જોકે જેમ જેમ સમય પસાર થતો ગયો અને મતગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ પરિણામો પણ બદલાતાં ગયાં અને લગભગ ત્રણ વાગ્યાની આસપાસ તો ભાજપની સરસાઈ માત્ર 103થી 104 બેઠકો સુધી સિમિત થઈ ગઈ. બપોરે દોઢ વાગ્યાની આસપાસથી જ આ વલણ શરૂ થતાં કર્ણાટકની ચૂંટણીમાં જે ત્રણ પક્ષો વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો તે કોંગ્રેસ, ભાજપ અને જનતા દળ (સેક્યુલર) એટલે કે જનતા દળ (એસ)ની તોડ-જોડની રાજનીતિ કામ કરવા લાગી. અને આ તોડ-જોડની નીતિમાં કોંગ્રેસનાં સોનિયા ગાંધીએ જનતા દળ (એસ)નાં સર્વેસર્વા એવા હરદન્નલી ડોડેગોવડા દેવેગોવડાને ફોન કરીને તેમનાં સુપુત્ર કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાની દરખાસ્ત કરીને બિનશરતી ટેકો આપવાની વાત કરી. આ પ્રકારની દરખાસ્તનો તેમણે તરત જ સ્વીકાર કરી લીધો. અને પછી શરૂ થઈ કર્ણાટકનાં રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરવાની સ્પર્ધા. રીતસરની સ્પર્ધા જ કહી શકાય એ રીતે રાજકારણનાં તમામ અઠંગ ખેલાડીઓએ એડીચોટીનું જોર લગાવ્યું. જોકે, કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા જે પોતે ગુજરાતનાં છે અને તે પણ પાછાં આપણાં રાજકોટનાં. તેમણે પહેલાં ભાજપનાં આગેવાના યેદિયુરપ્પાને મળવાં બોલાવ્યાં અને પછી કોંગ્રેસ-જનતા દળ (એસ)નાં નેતાઓને બોલાવ્યાં. બન્ને પક્ષે પોતપોતાનાં ધારાસભ્યોનાં લિસ્ટ આપ્યાં. આટલું ઓછું હોય એમ દરેક રાજકીય પક્ષો પોતાનાં તમામ ધારાસભ્યોને લઈને રાજભવન પહોંચી ગયાં ઓળખ પરેડ માટે. અને આમ શરૂ થયું રાજકીય નાટકો માટે પ્રખ્યાત કર્ણાટકનાં ત્રિઅંકી નાટકનો પહેલો અંક. પહેલો અંક 15મી મેએ પૂરો થયો. અને રાત થતાં તમામ પોતપોતાનાં ધારાસભ્યોને સાચવવા માટે ગુપ્ત સ્થાને લઈ ગયાં જેથી કોઈ તૂટી ના જાય અથવા વેચાઈ ના જાય. આ છે આપણાં દેશની રાજનીતિ. પ્રજા પોતાનાં પ્રતિનિધિને ચૂંટીને વિધાનસભા કે લોકસભામાં મોકલે અને પછી આ જ જનપ્રતિનિધિ પોતાનાં વિકાસને આગળ વધારવા માટે જે તે પક્ષ સાથે સાંઠગાંઠ કરવા માટે કરોડોની ઓફર સ્વીકારી લે. આમ પ્રજાનાં મતનો તે અવિશ્વાસ કરે અને બિચ્ચારી પ્રજા મૂંગા મોંઢે આ બધા ખેલ જોયાં કરે.

અંક બીજો...
બીજા દિવસે એટલે કે 16મી મેએ આખ્ખો દિવસ રાજ્યપાલ વજુભાઈ વાળાનાં જવાબની રાહ જોવાતી રહી. અને દેશની તમામ ચેનલો પર આ નાટકનાં કલાકારો એટલે કે જે તે પક્ષનાં ધારાસભ્યો અને નેતાઓ પોતાની ભૂમિકા ભજવતાં રહ્યાં અને તેમનાં વતી તેમનાં કોમેન્ટેટર્સ સતત કોમેન્ટરી આપતાં રહ્યાં અને દાવા કરતાં રહ્યાં. આખ્ખો દિવસ ચડભડમાં પૂરો થયો અને સાંજ સુધી રાજભવનમાંથી રાજ્યપાલ વજુભાઈ વાળાએ કોઈને કોઈ સંદેશો ન મોકલાવ્યો. એકબાજુ ભાજપને વિશ્વાસ હતો કે રાજ્યપાલ વજુભાઈ વાળા તેમને સરકાર રચવાનું આમંત્રણ આપશે. અને આશા કેમ ન હોય... રાજ્યપાલ વજુભાઈ વાળા મૂળ તો ભાજપનાં જ ને. અને એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ખાસમખાસ... તો બીજી બાજુ કોંગ્રેસ અને જનતા દળ (એસ)ને પણ રાજ્યપાલનું વલણ ખબર જ હોવાનાં કારણે સુપ્રીમ કોર્ટનાં દરવાજો ખટખટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. અને છેવટે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ રાજભવનનાં દૂતે જાહેરાત કરી અને ભાજપનાં યેદિયુરપ્પાને સરકાર રચવા તેમ જ મુખ્યમંત્રી તરીકે 17મી મેએ સવારે 9 વાગે શપથ લેવાનો પત્ર પાઠવ્યો અને સાથે જ વિધાનસભામાં પોતાની બહુમતી પૂરવાર કરવા માટે 15 દિવસનો સમય આપી દીધો. પછી તો પૂછવું જ શું... કોંગ્રેસ અને જનતા દળ (એસ) દ્વારા સુપ્રીમ કોર્ટનાં દરવાજા અડધી રાત્રે ખટખટાવવામાં આવ્યાં અને સુપ્રીમ કોર્ટે પણ રાતનાં 2 વાગ્યાની આસપાસ સુનાવણીની શરૂઆત કરી. અને લગભગ 4.30 વાગે આ સુનાવણી પૂર્ણ કરી, ત્યારે એક જ સાર નીકળ્યો કે હાલ પૂરતો કોઈ સ્ટે આ કેસમાં આપી શકાય એમ નથી. અને 18મીએ વધુ સુનાવણી નક્કી કરવામાં આવી. પણ, હા, ભાજપને 18મી તારીખે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ ચોક્કસ આપી દીધો.
કર્ણાટકનાં રાજ્યપાલનાં ભાજપને સરકાર રચવાનાં આમંત્રણ અને સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં સ્ટે આપવાનાં ઈનકાર બાદ 17મી મેનાં રોજ સવારે કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપનાં યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદનાં શપથ લેવડાવી દીધાં. જોકે, હવે 18મી મેનાં રોજ સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરાવવાની છે ત્યારે કોંગ્રેસ અને જનતા દળ (એસ)ને અંદરખાનેથી એવી આશા છે કે સુપ્રીમ કોર્ટ તેમની ફેવરમાં ચુકાદો આપશે. અને જો તેમની ફેવરમાં ચુકાદો નહિ આપે તો પણ ભાજપની સરકારને પંદર દિવસમાં નહિ પણ માત્ર 48 કલાકમાં પોતાની બહુમતી પુરવાર કરવાનો આદેશ તો ચોક્કસ કરશે જ.
જોકે, રાજ્યપાલ વજુભાઈ વાળાનાં આ વલણ મામલે રાજકીય વિશ્લેષક ડો. હરિ દેસાઈ કહે છે કે ભારતનાં સંવિધાનમાં પણ ક્યાંય ચોક્કસ જોગવાઈ નથી કરાઈ અને તેનો લાભ કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તે લેતી હોય છે. પહેલાં કોંગ્રેસે પણ આવા લાભો લીધાં અને હવે ભાજપ લઈ રહી છે એમાં કશું ખોટું નથી. પરંતુ, ભૂતકાળમાં કેટલાંક રાજ્યો સંદર્ભે આવેલાં ચુકાદાને ટાંકીને જે તે રાજ્યપાલ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય કરતાં હોય છે અને કર્ણાટકમાં પણ હાલમાં જે થઈ રહ્યું છે તેમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લીધો હોય એવું લાગે છે. તેમણે ચુકાદાને ટાંકતાં જણાવ્યું કે, જે રાજ્યમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળે ત્યારે રાજ્યપાલ ચૂંટણી પહેલાં જો કોઈ પક્ષોનાં જોડાણ હોય અને તેમનું સંખ્યાબળ વિધાનસભામાં જરૂરી બહુમત કે તેથી વધુ હોય તો તેમને સરકાર રચવા આમંત્રણ આપવામાં આવવું જોઈએ. જો ચૂંટણી પહેલાં કોઈ રાજકીય પક્ષોનું જોડાણ ન હોય તેવા સંજોગોમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર રચવા આમંત્રણ આપે છે અને જો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી પાસે પણ બહુમત પુરવાર કરી શકે એટલું સંખ્યાબળ ન હોય તેવા સંજોગોમાં ચૂંટણીનાં પરિણામ બાદ રાજકીય પક્ષોનાં થયેલાં જોડાણને પ્રાધાન્ય આપીને તેમને સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ.
આ ચુકાદા પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (એસ)નું જોડાણ ચૂંટણી પૂર્વેનું નહોતું અને ચૂંટણી બાદનું જોડાણ હતું એટલે સ્વાભાવિક છે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભાજપ છે એટલે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું. જોકે, કોંગ્રેસનાં એક વરિષ્ઠ નેતાનાં કહેવા પ્રમાણે ભાજપ દ્વારા ખોટી રીતે સત્તા મેળવવાનાં પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે ગોવાનો દાખલો આપતાં જણાવ્યું કે, ગોવામાં ભાજપની પાસે કોઈ સંખ્યાબળ પણ નહોતું અને જે બે પક્ષોનાં સમર્થનથી સરકાર બનાવી તે પણ ચૂંટણી બાદનું જોડાણ જ હતું. ત્યારે ગોવાનાં રાજ્યપાલે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે કોંગ્રેસને તક આપવી જોઈતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાની તાકાત બતાવવા માટે જે પ્રકારે લોકશાહીનું હનન કરી રહ્યાં છે તે દેશ અને આપણી લોકશાહી માટે ખતરાં સમાન છે.
જે હોય એ, પણ એક વાત ચોક્કસ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત લઈને આગળ વધી રહ્યાં છે અને કર્ણાટકને સર કરીને ભાજપ શાસિત રાજ્યોની સંખ્યા 21 સુધી પહોંચાડી દીધી છે. પરંતુ એ ત્યારે કહેવાશે જ્યારે 18મી તારીખે સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું આવે છે અને કર્ણાટક વિધાનસભામાં ભાજપનાં યેદિયુરપ્પા પોતાની બહુમતી સાબિત કરે છે કે નહિ.

શું થશે યેદિયુરપ્પા સરકારનું, શું થશે કોંગ્રેસ અને જનતા દળ (એસ)નાં સપનાનું... તે જાણવા માટે ત્રીજા અંક સુધી રાહ જોવી પડશે....

-અભિજિત
17-05-2018

Thursday, May 3, 2018

સરદાર પટેલનાં નામે રાજકીય રાસડો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પટેલ મતદારો ધરાવતી 59 બેઠકો પર ખાસ્સી કસ્મકસ જોવા મળી. ત્યારે સ્વાભાવિક છે કે, પટેલ પાવર સામે રાજકીય પક્ષોને ઝૂકવું જ પડે. કેમ કે, વર્ષ 2019માં આવી રહેલી લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ આવી રહેલી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી. આ બધી ચૂંટણીમાં વિધાનસભાની માફક માર ન ખાવો પડે તે માટે પટેલ પાવરને અંકે કરવા ભાજપે પટેલ પોલિટિક્સ રમવાનું શરૂ કરી દીધું. આનું તાજું ઉદાહરણ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય ગામનો દરજ્જો અપાવવા શરૂ થયેલાં આંદોલનને ઠારી દઈને આવનારી ચૂંટણીઓમાં પટેલનાં મતો અંકે કરવા માટેની કવાયત અત્યારથી જ શરૂ કરી દીધી છે. જોકે, કોંગ્રેસ પણ આ મામલે કાંઈ ગાંજ્યું જાય એમ નથી. એણે પણ ગુજરાત વિધાનસભામાં પટેલ પાવરનો ઉપયોગ કરીને ભાજપની વર્ષો જૂની મતબેન્કને ધરાશાયી કરી દીધી. ટૂંકમાં પટેલ પાવર એન્ડ પટેલ પોલિટિક્સ જ હાલમાં ચાલે એવો મુદ્દો છે. ટૂંકમાં કહું તો કરમસદનું આંદોલન બંધ થવું એ કરમસદવાસીઓની કરમની કઠણાઈ કહીએ તો અતિશયોક્તિ નથી લાગતી.
સરદાર પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય ગ્રામનો દરજ્જો આપવા માટે શરૂ થયેલાં આંદોલન અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું. આ આંદોલનને બ્રેક વાગી ગઈ. તેને કારણે અનેક સવાલો ઊભાં થયાં. તેનો જવાબ મેળવવા માટે ઘણી મથામણ કરી. પણ જ્યાં જ્યાં કે જેની જેની સાથે વાત કરી તેમાં એક જ વાત ઉડીને બહાર આવી. અને તે એ કે ભાજપ દ્વારા આ આંદોલનને બ્રેક મરાવવા માટે જે પ્રકારનું રાજકારણ રમાયું તેનાથી આંદોલનકર્તાઓની સાથે સાથે આખું કરમસદ હાલમાં તો મૂંઝાયેલું છે. આ બાબતમાં એવું કહેવાય છે કે ભાજપ કે વહીવટીતંત્ર દ્વારા કોઈ લેખિત બાંહેધરી નથી આપવામાં આવી. કેમ કે, જિલ્લા કલેક્ટરનાં કહેવા પ્રમાણે આપણાં સંવિધાનમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આ પ્રકારે રાષ્ટ્રીય ગામનો દરજ્જો આપી શકાય. જોકે, એક એવી વાત પણ જાણવા મળી કે હાલ પુરતું તો આ આંદોલન અટકી ગયું છે, પરંતુ આવનારા દિવસોમાં દેશની આઝાદીનાં જેટલાં પણ લડવૈયાઓ છે, તેમાં ભગતસિંહ, સુખરામ, બાળ ગંગાધર ટિળક, મંગલ પાંડે જેવાંઓનાં ગામોને પણ રાષ્ટ્રીય ગામનો દરજ્જો મળે એ રીતે આંદોલન પૂનઃ શરૂ કરવાની હિલચાલ અંદરખાનેથી શરૂ થઈ હોવાનાં એંધાણ મળી રહ્યાં છે. ચાલો એક વાત તો સારી છે કે આપણા દેશને આઝાદ કરાવવા જેઓ ફના થયાં તેમને અને તેમનાં ગામો વિશે તો લોકો જાણશે. કરમસદનાં આ આંદોલનમાં ભાજપનાં આણંદનાં સાંસદ દિલિપ પટેલની ભૂમિકા ઉપર સીધી આંગળી ચીંધીએ તો ખોટી નથી લાગતી. દિલિપ પટેલે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે આ આંદોલનની શરૂઆત કરાવી. અને તેમાં તેમને ભાજપનાં મોવડી મંડળમાંથી ઠપકો મળ્યો એટલે તેમણે યેનકેન પ્રકારેણ કાવાદાવા કરીને આંદોલન રોકવા માટે ઉપવાસીઓને પારણાં કરાવી દીધાં. અને આ પારણાં બીજા કોઈએ નહિ પરંતુ ખુદ ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કરાવ્યાં. આ ઘટનાક્રમ અંગે રાજકીય વિશ્લેષક ડો. હરિ દેસાઈ કહે છે કે, ભાજપ દ્વારા સરદાર પટેલનાં નામને આગળ ધરીને જે પ્રકારે રાજનીતિ કરવામાં આવી રહી છે તે માત્રને માત્ર પોતાની બેઠકો કે સત્તા માટેની સાઠમારી જ છે. તેમણે હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં એટલે કે વર્ષ 2002થી વખતો વખત એટલે કે વર્ષ 2012 સુધી દિલ્હીમાં વડાપ્રધાનની હાજરીમાં યોજાતી રાજ્યોના મુખ્યમંત્રીની બેઠકોમાં કરમસદને રાષ્ટ્રીય ગામનો દરજ્જો આપવાની સતત માગણી કરી હતી, સાથે સાથે તેમણે આ મામલે જે તે વડાપ્રધાનને પત્રો પણ લખ્યાં હતાં. પરંતુ, જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે આ વાતને અભેરાઈએ ચડાવી દીધી છે. ત્યારે કરમસદવાસીઓની આ માગણી યોગ્ય છે કેમ કે ભૂલાઈ ગયેલી વાતને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરાવી છે.
આ બાબતે કરમસદનાં રહેવાસી અને સરદાર પટેલનાં ચાહક એવાં રશેષભાઈ પટેલે કહ્યું કે, આપણાં દેશની આ કરમ કઠણાઈ છે કે આવા રાજકીય પક્ષો પોતાનો રાજકીય રોટલો શેકવામાં માહેર છે અને તેમની આ પ્રકારની નીતિને કારણે આજે દેશને તે સજા ભોગવવી પડી રહી છે. તેમણે એક વાત સરસ કરી કે, જો સરદાર પટેલ ન હોત તો આજે ભારતનો જે નકશો છે તે જ ન હોત. કેમ કે સરદાર પટેલે જ્યારે દેશ આઝાદ થયો અને ભારત પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચાયો ત્યારે ઘણાં રજવાડાંઓને ભારત સાથે રહેવા માટે હાકલ કરી હતી અને તેમનાં આ પ્રયાસના કારણે જ આજે દેશનો આ નકશો જોવા મળે છે. તેને યાદ કરવાનું બાજુ પર રાખીને રાજકીય પક્ષો જે રીતે પોતાનો રોટલો શેકી રહ્યાં છે તે જોઈને દુઃખ થાય છે.
ગમે તે હોય પણ એક વાત તો ચોક્કસ છે કે, કોઈ પણ રાજકીય પક્ષ ભાગલાં પાડીને રાજ કરવાનાં ગમે તેટલાં પેંતરા ઘડે પણ વખત આવ્યે તમામ લોકો પોતાની એકતાની તાકાત તો બતાવે જ છે. અને આ જ વાત કદાચ ભાજપને ખટકી હોય.
- અભિજિત
03-05-2018