Saturday, February 27, 2016

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મોદી સરકારની બેવડી નીતિ

કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર સત્તા પર આવી છે ત્યારથી દેશભરની મોટી યુનિવર્સિટીઓ રાજકીય અખાડો બની ગઈ છે. મોદી સરકાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાનો હસ્તક્ષેપ કાયમ કરવા માટે નીતનવા પેંતરા કરી રહી છે. અને જેના કારણે ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બાજુ પર પણ તેઓની વિરૂદ્ધ રાષ્ટ્રદ્રોહના કેસ ઠોકાઈ રહ્યા છે, તે ખૂબ જ અફસોસની વાત છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને આગળ આવવા અને દેશના વિકાસમાં સહભાગી થવાની અપીલ કરે છે અને તે પણ એકદમ ઈમોશનલ અંદાજમાં. ત્યારે બીજી બાજુ તેમની સરકારનું માનવ સંશાધન વિકાસ મંત્રાલય દેશની નામાંકિત યુનિવર્સિટીઓમાં પોતાનું આધિપત્ય જમાવવાનો હથકંડો અપનાવી રહ્યું છે. ટૂંકમાં મોદી સરકારની આ છે બે મોંઢાની નીતિ.
દેશની નામાંકિત યુનિવર્સિટીઓમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનમાં તમામ રાજકીય પક્ષો રસ દાખવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે હૈદરાબાદની ઘટના બની ત્યારે વડાપ્રધાન મોદીએ લખનઉમાં નાટકીય અંદાજમાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. હજુ આ સ્યાહી સૂકાઈ નહોતી ત્યાં નવમી ફેબ્રુઆરીએ દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં સંસદના હુમલાના આરોપસર ફાંસી પર લટકાવી દેવાયેલા અફઝલ ગુરૂની વરસી દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરી (કે કરાવી) રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓને ફસાવવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં મોદીએ જ્યારે લખનઉમાં રોહિત વેમુલાના મોત અંગે એવું નિવેદન કર્યું હતું કે, ભારતમાતાએ તેનો યુવાન પુત્ર ગુમાવ્યો છે, તેનું ખૂબ જ દુઃખ છે અને આંખોમાંથી આંસુ પણ છલકાવી દીધા. ક્યાં ગયાં આ આંસુ? એવો સવાલ આજે ઊઠી રહ્યો છે. આટલું ઓછું હોય એમ લોકો એવું પણ કહી રહ્યા છે કે, મોદીજીએ મગરનાં આંસું સારેલાં.
મહાત્મા ગાંધીએ ઓક્ટોબર ૧૯૩૧માં ડૉ. બી. આર. આંબેડકર અંગે કહ્યું હતું કે, “તેમની પાસે નારાજ થવાનો, કટૂ થવાના તમામ કારણો છે. તે આપણા માથા નથી ફોડી રહ્યા તો તે તેમનો આત્મ સંયમ છે.આ નિવેદનથી જાહેર થાય છે કે આંબેડકર અને તેમના સમુદાયની સાથે થયેલા અત્યાચારોની પૃષ્ઠભૂમિમાં તેમના દ્વારા કટુ શબ્દોનો ઉપયોગને મહાત્મા ગાંધી ખોટો નહોતા માનતા.
દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં અફઝલ ગુરૂની વરસી પ્રસંગે થયેલી વિરોધ સભાના મુદ્દે કેટલાંક વિદ્યાર્થીઓ વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરાયો છે. દેશદ્રોહ એ ગુનો છે જેની હેઠળ કંઈ કહેવા, લખવા અને કંઈ અન્ય કામ કરવાથી સરકારની ઉપેક્ષા કરવાને પ્રોત્સાહન મળે છે.
પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ મહેશ ગિરીએ આ મામલે એફઆઈઆર દાખલ કરાવી છે. તેમણે પોતાની લેખિત ફરીયાદમાં આ વિદ્યાર્થીઓને સંવિધાન વિરોધી અને દેશદ્રોહી તત્વો કહ્યા છે. ગિરીએ ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને માનવ સંશાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ પત્ર લખીને, આ પ્રકારની શરમજનક અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ ફરીવાર ન થવા દેવા માટે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
આ હૈદરાબાદમાં થયેલી ઘટનાનું પુનરાવર્તન કરવા જેવું લાગી રહ્યું છે. જ્યાં ભાજપે યાકૂબ મેમણની ફાંસીના વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી. આ મામલાનો દુઃખદ ભાગ એ છે કે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, જેએનયુએ કહ્યું કે, તેમણે આ વિરોધ પ્રદર્શનની પરવાનગી આપી નહોતી અને આ મામલે તપાસ સમિતિ પણ નીમી દેવામાં આવી છે. પરંતુ આ સમિતિના પ્રતિનિધિત્વને લઈને અનેક સવાલ ઊઠ્યા છે. વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે, તપાસ સમિતિમાં ઉપેક્ષિત અને હાંસિયા પર રહેલા સમુદાયનો કોઈ પ્રતિનિધિ સામેલ નથી કરાયો.
ભારતીય જનતા પાર્ટીની સામે આ મામલે વિકલ્પ હતા. વિદ્યાર્થીઓ ઉપર આરોપ લગાવવાના બદલે તેમને આ મુદ્દે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, જે સીધો જાતિ સાથે જોડાયેલો પહેલુ છે. હૈદરાબાદમાં યાકૂબ મેમણની ફાંસી વિરૂદ્ધ દલિત કેમ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા? જેએનયુમાં મુસ્લિમો પર આટલું ધ્યાન કેમ છે? જ્યારે પણ કોઈ સમિતિ પાસે તપાસ કરાવવાની વાત થાય છે તો વિદ્યાર્થીઓના હાંસિયા પર રહેલા સમુદાયના પ્રતિનિધિઓની વાત કેમ કરે છે? હકીકત એ છે કે, ભારતમાં દલિતો અને મુસ્લિમોને જ સૌથી વધારે ફાંસીની સજા આપવામાં આવી છે.
નેશનલ લો યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરાયેલા એક અધ્યયન મુજબ મૃત્યુદંડ પામનારાઓમાં કુલ ૭૫ ટકા અને કટ્ટરવાદને લઈને આપવામાં આવેલી ફાંસીમાં ૯૩.૫ ટકા સજા દલિતો અને મુસ્લિમોને મળી છે. એવામાં પક્ષપાતનો મુદ્દો સામે આવે છે. માલેગાંવ વિસ્ફોટોનું ઉદાહરણ આપતાં કેટલાંક લોકો એ આરોપ લગાવે છે કે, જો કટ્ટરવાદ પ્રવૃત્તિઓમાં સવર્ણ હિન્દુઓનો સામેલ થવાનો મામલો હોય તો સરકાર કડકાઈ નથી બતાવતી. આ લોકો પણ કટ્ટરવાદના દોષિત માનવામાં આવ્યા છે. પરંતુ, સૌને સમાન કાયદાથી ક્યાં આંકવામાં આવી રહ્યા છે? આ તમામમાં માયાબહેન કોડનાનીને બાદ જ કરી નાંખીએ, જેમણે ૯૫ ગુજરાતીઓની હત્યાના આરોપમાં ગુનેગાર ઠેરવાયા છે, પરંતુ તેઓ જેલમાં પણ નથી.
હિન્દુત્વ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગો માટે મુદ્દો છે. તે અનામતથી ધૃણા કરે છે કેમ કે તેમને લાગે છે કે, તે તેમને મળી રહેલી સુવિધાઓમાં અતિક્રમણ કરે છે. આ જ કારણ છે કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અનામતને પસંદ નથી કરતા અને તે મુદ્દા પર સંઘના નિવેદનોને કારણે ચૂંટણીઓમાં ભાજપ મુશ્કેલીમાં આવી ગયો હતો. વડાપ્રધાનની પ્રતિક્રિયા પણ વિપક્ષ પર જૂઠ્ઠાણું ફેલાવાનો આરોપ રહ્યો છે. પરંતુ જમીની સચ્ચાઈ તદ્દન સ્પષ્ટ છે. દલિત પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પોતાના હક્ક માટે ઊભા થઈ રહ્યા છે. તેેમાં કશું ખોટું નથી. જો તેમની ભાષામાં અસંયમ હોય તો પણ તેમને અપરાધી તરીકે ન જોવા જોઈએ. સરકાર માટે મહત્વનું એ છે કે તેની સાથે જોડાય, તેમની વાત સાંભળે, તેમનો તર્ક સાંભળે માત્ર તેમના સૂત્રોચ્ચાર પર ન જાય.
જ્યાં સુધી સરકાર આ દિશામાં પ્રયાસ કરતી પણ જોવા નહિ મળે ત્યાં સુધી આપણને આ વાત પર આશ્ચર્ય ન થવું જોઈએ કે અત્યારસુધી દબાયેલા અને પીડિત રહેલા લોકો સરકારની ઉપેક્ષા માટે પ્રોત્સાહિત કરનારા કામ કરતા રહેશે.
-અભિજિત
27-02-2016

No comments:

Post a Comment