Monday, March 30, 2020

અમે પત્રકારો...


અભિની અભેરાઈમાંથી

ટાઢ, તડકો અને વરસાદ ન જુએ એ સાચ્ચો પત્રકાર. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા આ પત્રકારો પોતાની જાત જિંદગીભર ઘસી નાંખે છે અને એ પણ પોતાના માટે નહિ પરંતુ સુદ્રઢ સમાજના ઘડતર માટે. દુનિયાની ચોથી જાગીર કહેવાતા પત્રકારો પોતાના જીવના જોખમે પણ સમાજને સાચ્ચો રાહ હંમેશા ચીંધતા હોય છે. પત્રકારો એક સેતુ, નેટવર્ક બનીને પ્રજાનો અવાજ સરકાર સુધી અને સરકારની સારી ખરાબ વાતો પ્રજા સુધી પહોંચાડતી હોય છે. પરંતુ, કેટલીક વખત આ પત્રકારોને પ્રજા એટલે કે કેટલાંક રાજકીય પક્ષોના હાથા બની ગયેલા લોકો આ પત્રકારોને કોઈ પક્ષના પીઠ્ઠુ બની ગયાના લેબલ લગાવીને બદનામ કરે છે. તેમ છતાં પણ આ કર્મનિષ્ઠ પત્રકારો પોતાની કલમની તાકાત ઉપર આવા લોકોની સાથે પણ સારો વર્તાવ કરતાં હોય છે. જોકે, જે તે પક્ષના લોકો આવા પત્રકારો સાથે ખરાબ વર્તાવ જ કરતાં હોય છે. તેમ છતાં પણ પત્રકારો હસતા મોંઢે બધું સહન કરીને પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાતના પત્રકારોની વાત કરીએ તો વર્ષોથી ગુજરાતમાં કંઈકને કંઈક કુદરતી આપત્તિઓ આવી છે. અને આ આપત્તિઓમાં પણ ગુજરાતના પત્રકારોએ પોતાની ભૂમિકા એક સૈનિકની માફક નિભાવી જ છે. પછી તે ભલેને મચ્છુ ડેમની હોનારત હોય, વર્ષ 2001માં આવેલો વિનાશકારી ભૂકંપ હોય, દુષ્કાળ હોય કે પછી અતિવૃષ્ટિ અને છેલ્લાં બે ત્રણ વર્ષથી આવેલા વિવિધ પ્રકારના વાવાઝોડાં હોય. તમામ કુદરતી આપત્તિઓમાં પ્રજાના સાચ્ચા સેવક બનીને આ પત્રકારોએ પોતાની કામગીરી બજાવી છે. આ પ્રકારની કુદરતી હોનારતોમાં સરકારો દ્વારા અસરગ્રસ્તો માટે હંમેશા વિવિધ આર્થિક પેકેજની જાહેરાતો થાય છે. અને આ જાહેરાતોને પહેલાં માત્ર અખબારો હતા તો એ સમયે પોતાની કલમ દ્વારા લખીને અખબારોમાં પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ન્યૂઝ ચેનલો આવી છે ત્યારથી અખબારોના પત્રકારો લખીને અને ન્યૂઝ ચેનલના પત્રકારો કેમેરા સામે આવીને બોલીને રજૂ કરે છે. પરંતુ, શું ક્યારેય આ સરકારોએ પત્રકારો માટે કોઈ યોજના બનાવી છે ખરી? આવો સવાલ છેલ્લાં કેટલાંય વર્ષોથી મારા મનમાં ઘૂમરાયા કરે છે. પરંતુ ત્રીસ વર્ષની પત્રકારત્વની કારકિર્દીમાં ક્યારેય પત્રકારો માટે કોઈ વિશેષ યોજના કોઈપણ સરકારો દ્વારા જાહેર નથી કરાઈ અને કરાઈ હશે તો તે માત્રને માત્ર સરકાર માન્ય પત્રકારો માટે જ કરાઈ હશે. (આ લખું છું એમાં કોઈ પત્રકારોની ટિકા ટિપ્પણી નથી કરતો કે વિરોધ પણ નથી કરતો.) પરંતુ, આપણાં રાજ્યના સરકાર માન્ય પત્રકારોની સંખ્યા કરતાં એટલે કે એક્રિડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારો કરતાં આ પ્રકારનું કાર્ડ ન ધરાવતા પત્રકારોની સંખ્યા વધુ છે અને મોટાભાગના આવા પત્રકારો આવી કુદરતી આપદાઓમાં સતત દોડતા હોય છે. તો શું સરકારે આવા પત્રકારની વ્યથા ક્યારેય સાંભળી છે ખરી? ચાલો ત્યારે ફરી મૂળ મુદ્દા પર આવું તો પત્રકારો પોતાની ફરજ નિભાવવા માટે ગમે તેવા જોખમ પણ ઉઠાવી લેતા હોય છે. અને તેમાં તેમનો કોઈ સ્વાર્થ નથી હોતો પણ સમાજ માટે તે આ જોખમ ખેડતા હોય છે. આ બાબતના એક બે ઉદાહણ આપું તો, વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ ગુજરાત આખ્ખાને હચમચાવી નાંખનારો વિનાશકારી ભૂકંપ આવ્યો અને એનું એપિ સેન્ટર કચ્છ હતું. આ ભૂકંપ એટલો ભયાવહ હતો કે, તેમાં કચ્છમાં ભારે નુકસાની થઈ હતી. આ ભૂકંપની અસર રાજ્યના ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં થઈ હતી. એ વખતે નવી નવી રાષ્ટ્રીય હિન્દી ચેનલો હતી અને એ તમામ જે તે વખતે અમદાવાદ અને કચ્છ ઉમટી પડી હતી. ગુજરાતી ચેનલો બહુ જૂજ હતી અથવા તો નહોતી એમ કહીશ તો અતિશયોક્તિ નહિ હોય. અને એ વખતે ગુજરાતના તમામ અખબારોના પત્રકારો રાત દિવસ જોયા વગર સતત ભૂકંપને કારણે થયેલા નુકસાન અને અસરગ્રસ્તો તેમ જ અસરગ્રસ્ત વિસ્તારો કેવી રીતે બેઠા થશે એ અંગેના અખબારી અહેવાલો પોતાની કલમો દ્વારા રજૂ કરીને લોકોને સાચી માહિતી પૂરી પાડતાં હતાં. અને આ તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે મોટાભાગના અખબારનવીશો ભૂંકપ પીડિત કચ્છમાં ધામા નાંખીને બેઠા હતા અને એમાં હું પણ હતો. કચ્છ જતાં પહેલાં અમે તત્કાલિન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ દ્વારા રોજે રોજ યોજાતી પત્રકાર પરિષદ અને તેમની સરકાર તેમ જ કેન્દ્ર સરકાર અને વિશ્વના અન્ય દેશોએ ભૂકંપગ્રસ્ત વિસ્તારો માટે કયા પ્રકારની સહાય કરવામાં આવી છે તેની વિગતો લેતા હતા. ભૂકંપગ્રસ્ત કચ્છનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા ગયેલા પત્રકારોને ઘણાં અનુભવો થયા પણ તેઓ આવા કપરાં સંજોગોમાં પણ પોતાની ફરજ નહોતા ચૂક્યાં.

આ તો થઈ ભૂકંપની વાત આ ઉપરાંત અન્ય કેટલીક કુદરતી હોનારતોમાં પણ પત્રકારો (એન્કર્સ, ફિલ્ડ રિપોર્ટર્સ, ડેસ્ક રિપોર્ટર્સ) હંમેશા ખડેપગે પોતાની ફરજ નિભાવી હતી. તેમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન રાજ્યમાં આવેલા વિવિધ વાવાઝોડાંનો પણ સમાવેશ થાય છે. અને હવે વાત કરીએ દેશમાં અને ગુજરાતમાં આવેલા કાતિલ કોરોના વાઈરસની તો આ વાઈરસની ચૂંગાલમાં દેશ અને રાજ્ય જ્યારથી સપડાયું છે ત્યારથી તમામ ન્યૂઝ ચેનલ અને અખબારોના પત્રકારો પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર મોં પર માસ્ક અને હાથમાં સેનેટાઈઝર રાખીને ખડેપગે કોરોનાના અહેવાલો પ્રજા સુધી પહોંચાડે છે. આ માટે તેમને વિવિધ હોસ્પિટલોમાં પણ જવું પડે છે તેમ જ કોરોનાગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવી પડે છે. પણ તેમણે ક્યારેય આ વાઈરસની અસર થશે તો એવું વિચારીને તેનું કવરેજ કરવાનું માંડી વાળ્યું નથી. ઉલ્ટાનું સરકાર અને સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને સાચ્ચી માહિતી પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. આ વાઈરસનો કાળો કેર લગભગ એક મહિનાથી ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય અખબારો અને ચેનલો હોય કે પ્રાદેશિક અખબારો અને ચેનલો આ તમામના પત્રકારો આખ્ખો દિવસ કાર્યરત રહીને કોરોના સામેના જંગમાં લોકોને સાવચેત કરે છે. દેશમાં લોકડાઉન જાહેર થયું છે ત્યારથી આ પત્રકારો પોતાની ડ્યૂટી સતત નિભાવી રહ્યા છે અને સતત પ્રજાને અપડેટ કરી રહ્યા છે. કોરોનાને લઈને જે લોકડાઉન જાહેર થયું અને જે તકલીફો શ્રમજીવીઓને પડી તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિચાર્યું પણ જે પત્રકારો આવી આપદા સમયે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમના માટે કોઈએ વિચાર્યું નથી. દેશની સરહદોને સુરક્ષિત રાખવાનું કામ આપણાં સૈનિકો કરે છે, જે તે રાજ્યમાં સુરક્ષાનું કામ પોલીસ કરે છે એમ સમાજને દેશ દુનિયાની સાચ્ચી માહિતી પૂરી પાડવાનું કામ કરતાં પત્રકારોને સો સો સલામ...

- અભિજિત
30 માર્ચ 2020 

No comments:

Post a Comment