Sunday, March 8, 2020

દીર્ઘ દ્રષ્ટિ અને ટૂંકી દ્રષ્ટિ વચ્ચેનો ફરક

અભિની અભેરાઈમાંથી...

મિત્રો, થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 માર્ચે રાત્રે 8.56 વાગે એક ટ્વિટ કરીને એવો સંદેશો આપ્યો કે, ‘હું વિચારું છું કે, રવિવારે મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ આપી દઉં.’ એ દિવસે વિવિધ રાજકીય નેતાઓ અને મીડિયાએ તેમની આ વાતનો ઉંધો મતલબ કાઢ્યો હતો. અને લોકોએ આ મામલે પોતાના વિચારો રજૂ કરીને વણમાગી સલાહ પણ આપી દીધી. આટલું ઓછું હોય એમ આપણા દેશના સૌથી જૂના રાજકીય પક્ષ (જેને આઝાદી બાદ મહાત્મા ગાંધીએ વિખેરી નાંખવાની વાત કરી હતી) એ કોંગ્રેસના નેતા અને કેરલના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ તો હદ જ કરી નાંખી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વિટના પ્રત્યૂત્તરમાં એવું લખ્યું કે, ‘સોશિયલ મીડિયા નહિ, પણ નફરત છોડો.’ જોકે, એ રાત્રે હું મારા ટ્વિટર એકાઉન્ટ પર ખણખોદ કરતો હતો ત્યારે મારી નજર એક ટ્વિટ પર ગઈ. જે જાણીતા મહિલા વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટે કરેલી હતી. તેમણે આ ટ્વિટ 2 માર્ચે રાત્રે 10.29 વાગે કરી હતી, જેમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે, ‘વડાપ્રધાન કાર્યાલયમાં તેમના એક વરિષ્ઠ અધિકારી જે તેમના મિત્ર પણ છે તેમણે એવું કહ્યું હતું કે, રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને એ દિવસે તેઓ પોતાના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ કેટલીક એવી મહિલાઓને સોંપશે કે જેઓ દેશની અન્ય મહિલાઓ કે દેશ માટે પ્રેરણારૂપ સાબિત થઈ હોય.’ અને થયું પણ એવું જ, બીજા દિવસે એટલે કે 3 માર્ચે બપોરે 1.16 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિક કર્યું, અને તેમાં એમણે એવું લખ્યું કે, ‘આ રવિવારે મારા સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ એવી મહિલાઓને આપીશ કે જેઓ આપણે કંઈક પ્રેરણા આપે છે.’

 આ વાત એટલા માટે યાદ આવી કેમ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં એટલા સક્રિય છે કે, તેઓ ક્યારેય આ છોડી જ ન શકે. અને એ વાતનો પુરાવો અહીં આજે રજૂ કરું છું. હું જ્યારે 1995માં NDTVના ગુજરાતના પ્રતિનિધિ તરીકે કામ કરતો હતો, ત્યારે રાજદીપ સરદેસાઈ સાથે હું અમદાવાદમાં સ્ટોરી કરવા માટે ફરતો હતો અને એ સમયે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને એ અરસામાં હું અને રાજદીપભાઈ બન્ને ભાજપના તે સમયના પ્રદેશ કાર્યાલય ખાનપુર ગયા હતા. એ સમયે નરેન્દ્રભાઈ મોદી ભાજપના સંગઠન મંત્રી હતા અને તેઓ પ્રદેશ કાર્યાલયના ત્રીજા માળે એક રૂમમાં રહેતા હતા. ચૂંટણીની જાહેરાત થવાની હતી કે થઈ ગઈ હતી એ અત્યારે એટલું યાદ નથી પણ એ વાત નક્કી છે કે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેઓ સતત કાર્યરત રહેતા હતા. અને એ વખતે મને યાદ છે કે, ભારતમાં ઈન્ટરનેટની હજુ શરૂઆત થઈ હતી અને નરેન્દ્રભાઈએ ઈન્ટરનેટના માધ્યમથી વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાજપની નીતિ રીતિ અને તેમના પક્ષ તરફ આકર્ષવા માટેની શરૂઆત કરી દીધી હતી અને તેના ભાગરૂપે જ 1995માં ભાજપની સરકાર પ્રથમવાર એકલાહાથે સત્તા પર આવી હતી. અને આ માટેનો શ્રેય નરેન્દ્રભાઈને જાય કેમ કે, ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરીને તેમણે વિદેશમાં વસતા ગુજરાતીઓને પોતાના સ્વજનો જે ગુજરાતમાં છે તેમને ભાજપ તરફી મતદાન કરવા વિનંતિ કરી હતી. હવે, સવાલ એ થાય કે, જે વ્યક્તિ જ્યારે ઈન્ટરનેટની શરૂઆતના દિવસોનો લાભ લઈને જો ભાજપને સત્તા અપાવી શકતી હોય અને આજે તો સમગ્ર વિશ્વ લોકોની આંગળીઓના ટેરવે આવી ગયું છે ત્યારે અને સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરે ખરા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમ્પ્યૂટર અને સોશિયલ મીડિયાનો જેટલો ઉપયોગ કરે છે એટલો ઉપયોગ દેશના કોઈપણ રાજકીય પક્ષના નેતા નહિ કરતા હોય. અને તેમણે જ્યારથી દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ત્યારથી તેમણે એકપણ દિવસ એવો નથી ગયો કે નરેન્દ્ર મોદીએ તેનો ઉપયોગ ન કર્યો હોય. અને તેઓ સોશિયલ મીડિયામાં એટલા છવાયેલા છે કે, સમગ્ર વિશ્વના નેતાઓના સોશિયલ મીડિયાના ફોલોઅર્સની સરખામણી કરવામાં આવે તો તેઓ આજે વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયામાં ટોપ પર ચાલે છે. નરેન્દ્ર મોદીની જે દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ દેશના કોઈ નેતાની હોય એવું લાગતું નથી. કેમ કે, તેઓ સોશિયલ મીડિયા મારફતે એવા એવા સંદેશા આપે છે કે, તેમના ફોલોઅર્સની સંખ્યા દિનપ્રતિદિન વધી જ રહી છે. અને તેમના વહેતા કરાયેલી વાત સમગ્ર દેશના લોકો સરળતાથી ઉપાડી લે છે અને એ જ બતાવે છે કે તેમની સફળતા કેટલી છે. ત્યારે મારે અંતમાં એટલું જ કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોશિયલ મીડિયા પર કંઈ નવી વાત કરે અને એ પણ અટપટી હોય ત્યારે તેનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ નહિ કે તેમની આ વાતને લઈને ખોટી ખોટી ટિપ્પણીઓ કરીને પોતાની હાંસી ઉડે એવું ન કરવું જોઈએ.

- અભિજિત
08 માર્ચ 2020 

No comments:

Post a Comment