Monday, January 7, 2019

અનામતનું ભૂત દેશભરમાં ધૂણ્યું

દેશમાં વળી પાછું અનામત મામલે રાજકારણ ગરમાયું છે અને જે ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતું સિમિત હતું તે અનામતનું ભૂત હવે દેશભરમાં ધૂણવા માંડ્યું છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી. જેમાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ મામલે કેબિનેટે નિર્ણય લઈને હાલમાં ચાલી રહેલાં લોકસભાનાં સત્રમાં તે માટે સંશોધન લાવવાની જાહેરાત કરી. પરંતુ, જે જાહેરાત કરી છે તેને કેટલાંક લોકો મોદીનો માસ્ટરસ્ટ્રોક માની રહ્યાં છે. તો કેટલાંક લોકો તેને રાજકીય તિકડમ માની રહ્યાં છે. હકીકતમાં આ મોદી સરકારનું રાજકીય તિકડમ જ છે. કેમ કે, દેશની સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું છે કે, આર્થિક અનામત આપવાની હોય તો તે પણ 50 ટકાથી વધારે ન આપવી જોઈએ અને હાલની સ્થિતિને જોતાં 49.5 ટકા આર્થિક અનામત આપવામાં આવી છે. એટલે કે, .5 ટકા જ અનામત આપી શકાય એવું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે મોટા ઉપાડે કેન્દ્ર સરકારે 10 ટકા અનામત આપવાની જાહેરાત તો કરી દીધી. પણ સવર્ણોને આર્થિક અનામત આપશે કેવી રીતે? અને આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મેદાન મારવા માટે વર્તમાન કેન્દ્ર સરકારે બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે.

વડાપ્રધાને વધુ એક જુમલો કરીને દેશમાં પડી રહેલી ઠંડીમાં ગરમાવો લાવી દીધો
વડાપ્રધાન તરીકે વર્ષ 2014માં પદ ગ્રહણ કરનાર નરેન્દ્ર મોદી છેલ્લાં સાડા ચાર વર્ષથી આ પ્રકારે જુમલા કરીને લોકોને યેનકેન પ્રકારેણ ભાજપ તરફી રાખવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. અને તેમાં તેઓ સફળ પણ થઈ રહ્યાં છે. વર્ષ 2014ની ચૂંટણી પહેલાં મતદારોને રૂપિયા 15 લાખ ખાતામાં આવી જશે એવું કહ્યું, જે આજ દિન સુધી નથી આવ્યાં. હા, લોકોનાં ખાતામાંથી રૂપિયા ગાયબ થવા માંડ્યાં. નોટબંધી, જીએસટી, મોંઘવારી, વગેરેને કારણે દેશની જનતાનાં ખાતામાં પૈસા તો ન આવ્યાં પણ તેમનાં ખાતામાંથી પૈસા ઉડવા માંડ્યા અને તેમાં લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું. આમ વડાપ્રધાન દ્વારા આજે વધુ એક જાહેરાત કરાતાં સમગ્ર દેશમાં ઠંડીનાં જોર વચ્ચે રાજકારણમાં ગરમાવો આવી ગયો. વિવિધ રાજકીય પક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા  આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી અને કહ્યું કે, બંધારણની જોગવાઈ અનુસાર જે શક્ય નથી ત્યાં કેવી રીતે અનામત આપશે વર્તમાન સરકાર. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર પ્રજાની હથેળીમાં ચાંદ દેખાડી દીધો છે.

પાટીદારોને આર્થિક અનામત આપવાનાં નિર્ણય કેમ રદ્દ થયો ?
વર્ષ 2015થી ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા મામલે હાર્દિક પટેલ આણી કંપની દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. અને આ પાટીદારોની અનામતની માગણી સમયે રાજ્ય સરકારે પણ ઘસીને ના પાડી દીધી અને સુપ્રીમ કોર્ટની દૂહાઈ આપી દીધી. અને તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં મધ્ય પ્રદેશનાં મંત્રી આનંદીબહેન પટેલે પણ આજે જે રીતે કેન્દ્ર સરકારે સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી તેમ કરી હતી, પરંતુ જે તે સમયે ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ફગાવી દઈને આર્થિક અનામત આપવા બાબતે રાજ્ય સરકારને નનૈયો ભણી દીધો. જો ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર રાજ્યમાં પાટીદારોને આર્થિક અનામત આપવાનાં રાજ્ય સરકારનાં નિર્ણયને રદ્દ કરી શકતી હોય તો શું સુપ્રીમ કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરશે કે કેમ એ એક સવાલ પણ ઊભો થાય છે. જોકે, કાયદાનાં નિષ્ણાતોનું માનીએ તો આ મામલે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ ઈનકાર કરી શકે છે. કેમ કે, સુપ્રીમ કોર્ટનાં અગાઉનાં આદેશ મુજબ 50 ટકાથી વધારે આર્થિક અનામત નહિ આપવી. જો એ આદેશને ફોલો કરવામાં આવે તો ચોક્કસ આ નિર્ણય રદ્દ થવાને પાત્ર  છે. પરંતુ, કેબિનેટે જ્યારે આ નિર્ણયને બહાલી આપી છે ત્યારે એવી પણ જાહેરાત કરી છે કે, આ મામલે લોકસભાનાં ચાલી રહેલા સત્રમાં સંશોધન લાવવામાં આવશે. અને મંગળવારે લોકસભાનાં શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે, ત્યારે આ સંશોધન મંગળવારે રજૂ કરવામાં આવશે. આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામત અપાશે. 50% અનામતની મર્યાદા ઉપર આ અનામત હશે  એટલે સંવિધાનના આર્ટિકલ 15માં 15(6) જોડવામાં આવશે તથા આર્ટિકલ 16માં 16(6) જોડવામાં આવશે. આ પ્રકારનું સંવૈધાનિક સંશોધનનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. ટૂંકમાં હાલમાં તો સવર્ણોને અનામત આપવાની જાહેરાત માત્ર રાજકીય તિકડમ જ ગણી શકાય.

ગુજરાત સરકાર અને પ્રદેશ ભાજપે આવકાર્યો નિર્ણય
જોકે, કેબિનેટે લીધેલાં નિર્ણયને ગુજરાત સરકારે આવકારી અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ એકમે પણ આ નિર્ણયને આવકાર્યો છે. પ્રદેશ ભાજપનાં નેતાઓનાં કહેવા પ્રમાણે કેન્દ્રની મોદી સરકારે જે નિર્ણય કર્યો છે તેમનાં સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસને સાર્થક કરે છે. અને ભાજપે આપેલાં વચન પ્રમાણે દરેક સમાજનો વિકાસ કરવાની વાતને પણ આ નિર્ણય યોગ્ય છે. અને જો સમાજનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે એવો સૂર વ્યક્ત કર્યો છે.

પાસનાં નેતાઓએ પણ કેન્દ્ર સરકારનાં નિર્ણયને ગણાવ્યો જુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કરેલી જાહેરાતનાં પગલે છેલ્લાં ત્રણ વર્ષથી પાટીદારો માટે અનામતની માગણી કરી રહેલાં હાર્દિક પટેલે પણ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે અને આરોપ મૂક્યો છે કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટેની ભાજપની મેલી મુરાદ ઉઘાડી પડી છે. જે કેન્દ્ર સરકાર સવર્ણોને આર્થિક અનામત આપવાની વાત કરે છે તે શક્ય બનવાનું નથી. કેમ કે, સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ 50 ટકાથી વધારે અનામત આપી ન શકાય. ત્યારે આ સરકારે જે અનામત આપવાની વાત કરી છે તો એ ક્યાંથી આપશે?

અનામતની વર્તમાન સ્થિતિ પર એક નજર
દેશની કુલ વસ્તી અંદાજે 130 કરોડ જેટલી છે. વસ્તીની દ્રષ્ટિએ દલિતોને 15 ટકા, આદિજાતિને 7.5 ટકા અનામતની પહેલેથી જ જોગવાઈ છે. ત્યારબાદ માંડલ કમિશને સમાવેશ કરેલા નવા વર્ગ ઉમેરાતા ગયા. જેની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે ગણતરી કરવામાં આવી. દેશની કુલ વસ્તીમાં આ વર્ગની સૌથી વધુ સંખ્યા હોવાથી તેમને સૌથી વધુ એટલે કે, 27 ટકા અનામતની ફાળવણી કરવામાં આવી. આમ આ તમામ આંકડા જોઈએ તો કુલ 49.5 ટકા અનામત તો અપાઈ ચૂકી છે. હવે રહ્યાં માત્ર .5 ટકા તો આ સંજોગોમાં સવર્ણોને કેવી રીતે અનામત ફાળવવામાં આવશે એ એક યક્ષ પ્રશ્ન છે.

કેમ રાજકીય હેતુ?
કેન્દ્રની મોદી સરકાર અનેક નિર્ણયો જેવા કે, નોટબંધી, GST, સતત વધી રહેલી મોંઘવારી અને રાફેલનાં સોદામાં થયેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહી છે. જેમાં વિપક્ષ દ્વારા હંમેશા નોટબંધીની નિષ્ફળતા, GSTને કારણે વેપારીઓને પડેલી તકલીફોને લઈને હંમેશા વડાપ્રધાન મોદીને અને ભાજપને ઘેરવામાં આવી રહ્યાં છે. આટલું ઓછું હોય એમ હાલમાં જ દેશભરમાં રાફેલના સોદો કેન્દ્રની મોદી સરકારનાં ગળામાં હાડકું ફસાઈ ગયું હોય એમ અટવાયેલો છે. ત્યારે આ બધા મુદ્દાઓથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે સવર્ણોને અનામત આપવાનું હથિયાર ઉઠાવ્યું છે. અત્રે નોંધનીય છે કે અગાઉ વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ, બસપા સહિતનાં કેટલાંક પક્ષો દ્વારા સવર્ણોને આર્થિક અનામત આપવાનાં વચનો આપી ચૂક્યાં છે. અને આ મુદ્દાને ઉઠાવીને કેન્દ્રની ભાજપ સરકારે વિપક્ષોમાં તડાં પડાવવા અને પોતાની મતબેન્કને જાળવી રાખવા માટે આ રાજકીય નિર્ણય લીધો હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

આ નિર્ણય 2019ની ચૂંટણીમાં કેવો લાવશે રંગ?
2019નું વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. અને વર્તમાન ભાજપનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનાં નિર્ણયોથી પ્રજાને હાલાંકી ભોગવવી પડી છે ત્યારે સવર્ણોને અનામત આપવાની જાહેરાત કરીને વડાપ્રધાન મોદીએ મોકે પે ચોકા જરૂર મારી દીધો છે. અને આવનારી ચૂંટણીમાં નોટબંધી, GST, સતત વધી રહેલી મોંઘવારી અને રાફેલનાં સોદામાં થયેલાં ભ્રષ્ટાચારને વિપક્ષો પણ કોરાણે મૂકી આ મુદ્દાને ચૂંટણી મુદ્દો બનાવે એવી સ્થિતિનું ઊભી કરી દીધી છે. મોદીનાં આ નિર્ણયને કારણે ચોક્કસ એવું કહી શકાય કે આ વખતની લોકસભાની ચૂંટણીનો રંગ જ અલગ હશે.

No comments:

Post a Comment