Thursday, September 20, 2018

આતંકવાદ છે એક વિવાદ, ન થવો જોઈએ સંવાદ


પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે ખરેખર હવે માથું ઊંચક્યું છે. જમ્મુ સરહદ પર ફરજ બજાવી રહેલા બીએસએફનાં જવાનની ક્રૂર હત્યા કર્યા બાદ બેશરમ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારત પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા કરવાની વાત કરી અને ભારત સરકારે તેનો સ્વીકાર પણ કરી દીધો. આ બેઠક 25મી સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દરમિયાન થવાની શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે. જોકે, આ દ્વીપક્ષીય મંત્રણા ભારત અને પાકિસ્તાનનાં વિદેશ મંત્રીઓની વચ્ચે યોજાશે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભોગ બની રહેલાં ભારત અને ખાસ કરીને સેનાનાં જવાનોની શહાદતને નજર અંદાજ કરીને હાલની ભાજપ સરકારનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એક સમયે એટલે કે 2014માં સત્તા પર આવવા માટે દેશભરમાં સભાઓ ગજવીને પાકિસ્તાનને અને તેના દ્વારા ફેલાવાતાં આતંકવાદને ચપટી વગાડતાં જ મસળી નાંખશે એવી મોટી મોટી વાતો કરી અને દેશની પ્રજાનાં ખોબલે ખોબલે મત મેળવીને સત્તા પર આવી ગયાં. પરંતુ તેમની સત્તા આવતાં જ 2014માં કરેલી વાતો ભૂલાવી દઈને પાકિસ્તાનનાં તત્ત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ઈલૂ ઈલૂ કરવા વગર આમંત્રણે લાહોર અને ઈસ્લામાબાદ જઈ પહોંચ્યા અને તેની રિટર્ન ગિફ્ટમાં પાકિસ્તાને પઠાણકોટનો હુમલો આપ્યો. આટ આટલાં ઘા વાગવા છતાં પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો માટે પહેલ કરવાની હિલચાલ ચાલુ જ રાખી. અને પાકિસ્તાને બદલામાં વાટાઘાટો કરવાના બદલે આપણાં જવાનોની ક્રૂરતાપૂર્વકની હત્યાઓ કરી દીધી. અગાઉ જમ્મુ કાશ્મીરનાં પૂંચ સેક્ટરમાં 8મી જાન્યુઆરી 2013માં બે જવાનોનાં માથાં વાઢીને પાકિસ્તાની સૈનિકો ચાલ્યા ગયાં હતાં. ત્યારે વિપક્ષમાં ભાજપ હતું અને યુપીએ સરકારની આકરી ટીકા કરી હતી. સાથે સાથે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી જે તે સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં તેમણે પણ ખરી ખોટી સંભળાવીને શહીદ સૈનિકોની બર્બર હત્યા માટે કેન્દ્રની ડો. મનમોહન સિંઘની યુપીએ સરકારને જવાબદાર ઠેરવીને આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. એ સમયે મોટા ઉપાડે તેમણે એવું એલાન કર્યું હતું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે તો એક માથાની સામે દસ માથાં લાવીને બદલો વાળીશું. ક્યાં ગઈ એ વાતો?
ભાજપનાં શાસનમાં આતંકવાદી ગતિવિધિઓ ઘણી તેજ બની હતી અને છાસવારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ થતાં રહ્યાં સાથે સાથે ભારતીય સૈન્યનાં જવાનોનાં અપહરણ કરીને તેમની હત્યા કરવાનાં બનાવો પણ ઓછાં નથી બન્યાં. આવા સંજોગોમાં દોસ્તીનો હાથ લંબાવીને હંમેશા પીઠમાં ખંજર ભોંકવામાં માહેર પાકિસ્તાનની વાતમાં આવીને ફરી બેઠકો યોજીને શાંતિની શોધ કરવા આગળ વધવાનાં ભારત સરકારનાં નિર્ણયની ચોતરફ ટીકા થઈ રહી છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન માર્યા ગયેલાં આપણાં જવાનોનાં પરિવારજનોની આંખનાં આંસૂ હજુ સુકાયાં નથી ત્યાં પાકિસ્તાન સાથે ભાઈચારાનાં સંબંધો વધારવા માટે અમેરિકાનાં ન્યૂ યોર્કમાં બેઠક યોજવી કેટલી યોગ્ય છે એ સવાલ દરેક ભારતીય પૂછી રહ્યો છે.
ભારતનાં બીએસએફનાં જવાનની ક્રૂર હત્યાનાં દિવસે જ પાકિસ્તાનનાં ક્રિકેટર ટર્ન વઝીર-એ-આઝમ ઈમરાન ખાને પોતાનાં પત્રમાં લખ્યું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે બંન્ને દેશોની વચ્ચે એક આંતરિક સંબંધ બનેલા અને શાંતિ જળવાઇ રહે. એટલા માટે હું પાકિસ્તાનનાં વિદેશ મંત્રી મખદૂમ શાહ મહમદ કુરૈશી અને ભારતનાં વિદેશમંત્રી સુષમા સ્વરાજ વચ્ચે મીટિંગનો પ્રસ્તાવ મુકુ છું. આ મીટિંગ ન્યૂયોર્કમાં યોજવાની છે યુએન જનરલ એસેમ્બલી ઉપરાંત હોય. આ મીટિંગમાં આગળનાં રસ્તાઓ નિકળી શકે છે. ખાસ કરીને ઇસ્લામાબાદમાં થનારા સાર્ક સમિટ પહેલા આ એક મોટી પહેલ હશે. આ સમિટની તક હશે, જ્યારે તમે પાકિસ્તાનની યાત્રા કરે અને વાતચીત આગળનો રસ્તો ખુલ્લે. હું તમારી સાથે મળીને બંન્ને દેશોનાં લોકોનાં ફાયદા માટે કામ કરવા માંગુ છું. કૃપા તેનો સ્વીકાર કરો.’
ભારત સરકારે આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને હવે શરૂ થયું છે તેનાં પર રાજકારણ. આ પ્રકારની વાટાઘાટો ક્યાં સુધી સરકાર કરશે અને ક્યાં સુધી આપણાં જવાનોની શહાદતને સાંખી લઈશું. શું આ બધાનો કાયમી અંત નથી? ભારતીય સેનાનાં નિવૃત્ત અધિકારીઓ અને શહીદ થયેલાં જવાનોનાં પરિવારજનો પણ નથી ઈચ્છતાં કે ભારત પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે વાટાઘાટો કરે. દરેકનાં મોંઢે એક જ વાત છે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ!’

1 comment:

  1. �� Right કોઈ સંવાદ નહિ , want action

    ReplyDelete