Monday, June 23, 2025

ધર્મના નામે ધતિંગ બાદ હવે ભાષાના નામે ભાંજગડ

 અગિયાર વર્ષમાં દેશમાં વિકાસની હરણફાળે આપણી છાતી ગદગદ થઈ જાય છે. પણ સાથે જ્યારે કોઈ સત્તાધારી પક્ષ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે આ બધી વાતો ઉપરાંત ધર્મના નામે ધતિંગ કરે અને સાથે સાથે લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવા પ્રયાસો પણ થાય ત્યારે આપણો દેશ અને આપણા રાજનેતાઓ હજુ પણ પછાત હોય એવું કહીએ તો અતિશયોક્તિ નહિ કહેવાય. કેમ કે, અગિયાર વર્ષમાં ભાજપના રાજમાં ભાજપના નેતાઓ અને તેમના અંધભક્તો દ્વારા લોકો વચ્ચે ભેદભાવ ઊભા થાય એવા નિવેદનો કરીને કેટલાક રાજ્યોમાં અજંપાભરી સ્થિતિ ઊભી કરી દીધી હતી. અને આનો ઉપયોગ 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેનો ભરપૂર લાભ લેવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો. પરંતુ તેઓ ન ફાવ્યા અને તેમનો ‘અબ કી બાર ચારસો કે પાર’નો નારો ફૂસ્સ થઈ ગયો. ધર્મના નામે ભાગલા પડાવવાના પ્રયાસ સફળ ન થયા તો હવે નવો એજન્ડા બજારમાં આવ્યો છે. અને આ એજન્ડા છે ભાષા. તો આવો જાણીએ ભાષાના નામે હાલમાં શું ચાલી રહ્યું છે.

સામાન્ય રીતે 21મી સદી સ્પર્ધાત્મક સદી કહેવાય છે અને વિશ્વમાં એક ભાષા એવી છે જે દુનિયાના કોઈપણ દેશમાં સરળતાથી બોલીએ તો કોઈ તકલીફ નથી પડતી. આટલું ઓછું હોય એમ અંગ્રેજી ભાષા સામાન્ય રીતે જિંદગીમાં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. આ ભાષા દુનિયાના કોઈ દેશમાં તો ચાલે જ છે પણ ભારતમાં પણ મોટાભાગની મોટી કંપનીઓ, મોટા કોર્પોરેટ હાઉસીસ, આપણા દેશની સર્વોચ્ચ અદાલત ઉપરાંત વિવિધ રાજ્યોની હાઈકોર્ટમાં પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ જ થાય છે. આજના જમાનામાં અંગ્રેજી ભાષા શીખવી અનિવાર્ય બની ગઈ છે. સ્પર્ધાત્મક જમાનામાં દરેક માતા પિતા પોતાના સંતાનને નાનપણથી જ અંગ્રેજી માધ્યમમાં ભણવા મુકે છે. જેથી ભવિષ્યમાં તેને કોઈ તકલીફ ન પડે.

એ વાત સાચી છે કે હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે. અને આપણાં દેશમાં દરેક રાજ્યમાં પોતાની માતૃભાષા છે. ત્યારે દરેક રાજ્યના શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી વિષય ફરજિયાત હોય છે. પરંતુ આપણા દેશના કેટલાંક રાજ્યો અને ખાસ કરીને દક્ષિણના રાજ્યો અને તેમાં પણ તમિલનાડુમાં તમિલ ભાષા ઉપરાંત અંગ્રેજીનું જ ચલણ છે. અને તેના કારણે અનેક વિવાદ પણ આપણા ખાદીધારી નેતાઓએ ઊભા કર્યા છે. છેલ્લાં કેટલાંક સમય પહેલા તમિલનાડુમાં જ ભાષાને લઈને મોટા ભવાડા થયા હતા અને હજુ તમિલનાડુ સિવાય અન્ય રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક ભાષાના નામે છમકલાં સોશ્યલ મીડિયા X પર જોવા મળી જાય છે. આ બધી હિલચાલ વચ્ચે હાલમાં જ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં આપણા દેશના સન્માનનીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય કહેવાતા (જેમની ગણતરી 2024ની લોકસભા ચૂંટણીમાં ઊંધા માથે પટકાઈ હતી.) અમિત અનિલચંદ્ર શાહે એક નિવેદન કર્યું અને તેના કારણે ચર્ચાનું જોર વધી ગયું. તેમણે એવું કહ્યું કે, આપણા દેશમાં અંગ્રેજીમાં બોલતા લોકોને શરમ આવશે એ દિવસો હવે દૂર નથી. બસ તેમના આ નિવેદનના કારણે સોશ્યલ મીડિયા પર તો તેમના નિવેદનની ટીકા થઈ સાથોસાથ વિવિધ પક્ષના નેતાઓ અને રાજ્યોની જનતાએ પણ ટીકા કરવાનું ન છોડ્યું.

હવે સવાલ એ થાય છે કે માનનીય અમતિભાઈને એવું તો શું સૂઝ્યું કે આ પ્રકારનું નિવેદન કરી દીધું. કેમ તેઓ ભૂલી ગયા કે, 22 એપ્રિલ 2025માં પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારબાદ વિદેશ પ્રવાસે ગયેલા આપણા સાહેબ નરેન્દ્ર દામોદરદાસ મોદી પરત આવી ગયા અને થોડા દિવસો બાદ બિહારમાં ચૂંટણી રેલી કરી તેમાં અંગ્રેજીમાં નિવેદન કરીને દુનિયાને સંદેશો આપ્યો હતો. અને માનનીય આપનો પુત્ર જય શાહ જે ICCમાં ચીફ છે તે પણ અંગ્રેજીમાં વાંચીને જ બોલે છે. તો શું આ બન્નેને પણ શરમ આવશે. અંગ્રેજી બોલનારને કેમ શરમ આવશે? એવું તો કયું ગતકડું છે જેનાથી અંગ્રેજી બોલનારો વર્ગ શરમમાં મુકાઈ જશે?

આપણો દેશ વિવિધ ક્ષેત્રોમાં દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં અવ્વલ છે ત્યારે આ પ્રકારના વાણીવિલાસને કારણે એવું લાગે છે કે અમિતભાઈ દેશની જનતાનું ભલુ થાય એ નથી ઈચ્છતા. અમિતભાઈ આપના જ પક્ષના મોટાભાગના નેતાઓએ પોતાના બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા મોકલ્યા છે, અને આપણા અધિકારીઓના બાળકો પણ અભ્યાસ કરવા ગયા છે. અને તે તમામ અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરી રહ્યા છે તો શું એ તમામને શરમ આવશે. આપણા દેશમાં અંગ્રેજીમાં અખબારો અને ન્યૂઝ ચેનલ્સ પણ છે તો શું આ અખબારો અને ન્યૂઝ ચેનલ્સમાં અંગ્રેજીમાં બોલતા પત્રકારો એન્કર્સને પણ શરમ આવશે. પણ સવાલ એ થાય છે કે, શેના માટે અંગ્રેજી બોલનારાને શરમ આવશે એ વાતનો ફોડ તેમણે પાડ્યો જ નથી.

જ્યારથી આપણો દેશ આઝાદ થયા તે સમયથી RSS તેમ જ પહેલા જનસંઘ અને હવે ભાજપ દ્વારા જે વિચારધારાને વેગ આપવામાં આવી રહ્યો છે તે આપણા દેશની એકતા અને અખંડિતતાની વિપરિત છે. આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ઉપરાંત અનેક કોમના લોકો રહે છે અને આઝાદી પહેલાથી આ તમામ હિન્દુસ્તાનમાં જ રહેતા આવ્યા છે અને આઝાદી બાદ પણ રહી રહ્યા છે. ત્યારે આ ત્રણ સંગઠનો દ્વારા કોમી એખલાસમાં ભાગલા પડે તેવા પ્રયાસો અવારનવાર કરવામાં આવ્યા છે. બે ધર્મના લોકો વચ્ચે ભેદભાવ ઊભો કરીને કે ખોટી વાતો ફેલાવીને ધર્મ ધર્મ વચ્ચે ધમાસાણ કરાવવાના પ્રયાસો આ લોકો અને તેમના અંધભક્તો દ્વારા કરાયા અને છેલ્લા અગિયાર વર્ષોથી આવા બળતામાં ઘી હોમવાનું કામ ગોદી મીડિયાએ કર્યું. ગોદી મીડિયામાં છેલ્લાં અગિયાર વર્ષથી રોજ સાંજ પડે ડિબેટ દરમિયાન ધર્મના નામ પર વેરઝેર ઊભા થાય એ પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યા છે અને તેને બળ પણ આપવામાં આવી રહ્યું છે. જો વિરોધ પક્ષ આવી ડિબેટમાં વિરોધ કરે તો તેમને આ ગોદી મીડિયાના એન્કર્સ અને અંધભક્ત પ્રવક્તાઓ તેમને ભારત છોડીને ચાલ્યા જવું જોઈએ કે ફલાણા ઢીકણા દેશની ભાષા બોલી રહ્યા છો એવું લાઈવ ડિબેટમાં કહેવામાં આવે છે. અને તેના કારણે ધર્મ ધર્મ વચ્ચે ઘણીવાર તણાવ વધી જાય છે. આ તણાવ પર 2024ની લોકસભાની ચૂંટણી જીતવાનો અથાગ પ્રયાસ કર્યો પણ તેમાં સફળતા ન મળી અને ભાજપ માત્ર 240 બેઠકો જ જીતી શક્યું. એટલે હવે સન્માનનીય ગૃહમંત્રી અંગ્રેજી ભાષાનું નવું ગતકડું લઈને આવી ગયા છે.

આ સંજોગોમાં સન્માનનીય ગૃહમંત્રી અમિતભાઈના આ પ્રકારના નિવેદનથી એવું લાગે છે કે, સ્પર્ધાત્મક યુગમાં આ પ્રકારના ગતકડાં લાવીને આપણા દેશને પથ્થરયુગમાં પાછો લઈ જવાનું આયોજન કરી રહ્યા હોય એવું લાગે છે. આ ઉપરાંત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત કરવાનું સપનું જોયું છે અને તેમણે તેમની મનની વાત દરેક ચૂંટણીની રેલીઓમાં કે કાર્યક્રમોમાં સંબોધન દરમિયાન વ્યક્ત કરી છે ત્યારે તમે લોકો તેમની જ પાર્ટીના નેતાઓ થઈને તેમના સપનાં તોડવાનું બીડું ઝડપ્યું હોય એવું લાગે છે.

- અભિજિત

23 જૂન 2025

Saturday, June 14, 2025

પત્રકારત્વ ક્યાં?

સૌથી પહેલા તો આપણી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાન પ્રેરિત આતંવાદીઓના અડ્ડા અને તેમના એરબેઝને જે તબાહ કરી દીધા એના માટે આપણી સેનાના વીર જવાનોને સો સો સલામ... અને 12મી જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈને AI171 મેઘાણીનગરમાં આવેલા ઘોડા કેમ્પના IGP કમ્પાઉન્ડમાં ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું અને તેમાં પ્લેનમાં સવાર 242 પૈકી 241 યાત્રીઓ અને હોસ્ટેલમાં જે ડોક્ટર્સના મોત થયા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અને હા ખાસ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા તેમનું પણ દુઃખદ અવસાન થયું છે ત્યારે એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ અને જે લોકો ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના...

હવે મુદ્દાની વાત પર આવું.... છેલ્લાં કેટલાંક સમયથી એટલે કે લગભગ એક દાયકા જેટલો સમય ગણીએ તો પત્રકારત્વનું અધઃપતન થયું હોય એવું લાગી રહ્યું છે. પત્રકારત્વની સાચી પરિભાષા આજના પત્રકારો અને મીડિયા હાઉસના માલિકો ભૂલી ગયા હોય એવું લાગે છે. પહેલાના સમયમાં એટલે કે 1990 અને તેના પહેલાનું જે પત્રકારત્વ હતું તે એકદમ સંવેદનશીલ અને ગંભીર અને સમાજને ઉપયોગી પત્રકારત્વ હતું. પરંતુ આજનું પત્રકારત્વ અસંવેદનશીલ, ગંભીરતાના અભાવવાળું અને રાજકીય પક્ષોને માટે ઉપયોગી સાધન બની ગયું છે. રાજકીય પક્ષો માટે ઉપયોગી એટલા માટે આજે દેશના લગભગ તમામ મીડિયા હાઉસના માલિકો અને તંત્રીઓ સત્તાપક્ષ કે વિપક્ષની પીપૂડી વગાડવામાંથી ઊંચા આવતા નથી. જેમાં વિપક્ષોની પીપૂડી વગાડતા મીડિયા હાઉસ કે તંત્રીઓ આંગળીના વેઢે ગણાય એટલા રહી ગયા છે. કેમ કે લગભગ તમામ ન્યૂઝ ચેનલ્સ, અખબારો સત્તાપક્ષની તરફેણમાં અને એ કહે એ પ્રમાણે જ રીપોર્ટિંગ કરે છે. 90 અને તેના પહેલાના દાયકામાં પત્રકારો રાજકીય નેતાઓ અને તેમાં પણ સત્તાપક્ષના એટલે કે મુખ્યમંત્રી કે વડાપ્રધાનને સીધા સવાલ પૂછતા હતા. આજે મુખ્યમંત્રી કે વડાપ્રધાન સવાલોનો સામનો કરતા જ નથી. તેમના બદલે તેમની સરકારના પ્રવક્તા અથવા તેમના પક્ષના પ્રવક્તા આવીને પત્રકાર પરિષદને સંબોધીને જતા રહેશે અને આજનો પત્રકાર પણ મૂક પ્રેક્ષક બનીને જે બોલ્યા એ જ છાપવાનું કે પછી ન્યૂઝ ચેનલ પર ચલાવી દે છે. આ સાચ્ચું પત્રકારત્વ નથી અને પત્રકારત્વનો ધર્મ પણ નથી.

1990ના દાયકામાં હું જ્યારે આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે એક અસલી પત્રકારત્વ જોયું છે અને કર્યું છે. મારા પત્રકારત્વ પહેલાના સમયમાં પણ એટલે કે મારા પિતા સ્વ. તુષાર ભટ્ટના સમયમાં પણ મજબૂત પત્રકારત્વ હતું અને તેમની વિશ્વસનીયતા હતી. એ સમયમાં પણ આવી ઘણી ઘટનાઓ ઘટી હતી, પરંતુ અમે ક્યારેય આવા સમયે કોઈ પીડિતને આ પ્રકારે પ્રતાડિત નથી કર્યા. એક સ્વજન ગુમાવ્યાનું દુઃખ જ્યારે કોઈ વ્યક્તિને હોય ત્યારે અમે લોકોએ એ સમયે એક પત્રકાર તરીકે માનવતા અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને એવું પત્રકારત્વ ક્યારેય નથી કર્યું જેવું આજે પત્રકારત્વ કરવામાં આવી રહ્યું છે. એ સમયે પત્રકારત્વ એટલે સમાજ સુધી સાચી વાત પહોંચાડવાનો હેતુ હતો. પરંતુ આજે પત્રકારત્વ જો ન્યૂઝ ચેનલ હોય તો TRP તેમ જ સરકારી જાહેરખબરો અને અખબાર હોય તો સરકારી જાહેરખબરો માટે જ કરવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે. 90ના દાયકામાં પણ રાજકીય પક્ષો હતા, અને એ વખતે માત્ર અખબારો હતા, જાણીતા પત્રકારો અને જેમની કલમથી રાજકીય નેતાઓ તેમ જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનો પણ ફફડતા. એ સમયે ઈન્વેસ્ટિગેશન જર્નાલિઝમ થતું હતું. પરંતુ આજે સિન્ડિકેટ જર્નાલિઝમ અને ફટાફટ ન્યૂઝ આપવાની લ્હાયમાં ખોટા સમાચારોને પણ બ્રેકિંગ ન્યૂઝમાં આપી દેવામાં આવે છે અને પછી આ પ્રકારના સમાચાર આપીને જે તે પત્રકાર પોરસાય કે જોયું આપણે બ્રેકિંગ કરી દીધું. પણ એ પત્રકાર મિત્રને ખબર નથી કે ઉતાવળમાં કાચું કાપી દીધું હોય છે.

આનું ઉત્તમ ઉદાહરણ હાલમાં જ 22મી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલો થયો અને આપણા દેશના નિર્દોષ એવા 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને તેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર કર્યું, ત્યારે 6ઠ્ઠી મેની મોડી રાત્રે અને 7મી મેની વહેલી સવારે દેશની તમામ નામાંકિત દરેક ભાષાની ચેનલોના પોતાને તુર્રમખાં સમજતા એન્કર્સ ટીવી સ્ક્રિન્સ પર અને પત્રકારો મેદાનમાં આવી ગયા અને એ સમયે મોટાભાગના જે વિઝ્યૂઅલ્સ દરેક ચેનલોએ ચલાવ્યા એ જૂના અને ખોટા હતા. અને સાથે યુદ્ધની સાયરનો સાથે મોટા બ્રેકિંગ અને બરાડા પાડી પાડીને રજૂઆત કરતા હતા. સ્ટુડિયોમાં એન્કર્સ પત્રકારત્વ નહિ પણ પોતાની ચેનલનું TRP વધારવા માટે જ્ઞાન પણ પિરસવા લાગ્યા. આ ઉપરાંત ફિલ્ડના પત્રકારોએ આવા સમયે ખૂબ જ સંયમતા તેમ જ ગંભીરતાપૂર્વક રીપોર્ટિંગ કરવું જોઈએ એ ન કર્યું. આટલું ઓછું હોય એમ ઓપરેશન સિંદૂરના જવાબમાં પાકિસ્તાને બીજા દિવસે વળતો પ્રહાર કર્યો ત્યારે આપણી સેનાએ તેને નિષ્ફળ બનાવ્યા. એ સમયે પણ આ ચેનલ્સ દ્વારા પાકિસ્તાનના કરાચી, ઈસ્લામાબાદ પર હુમલો. કરાચી બંદરને ઉડાવી દેવાયું. ઈસ્લામાબાદ પર ભારતે કબ્જો મેળવી લીધો એવા સમાચારો આપી દીધા. હકીકતમાં જ્યારે બીજા દિવસે ભારતીય વિદેશ મંત્રાલયના વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું ત્યારે ખબર પડી કે રાત્રે ચેનલ્સ દ્વારા જે બતાવાયું તે તદ્દન ખોટું હતું. આટલું થયા પછી પણ લગભગ કોઈ ચેનલે માફી ન માંગી એક બે ને બાદ કરતાં.

હવે વાત, અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર 12 જૂને બપોરે 1.38 વાગ્યે ટેકઓફ કર્યાની બીજી જ મિનીટે બી. જે. મેડિકલ કોલેજની ડોક્ટર્સ હોસ્ટેલ પર ક્રેશ થયું. આ પ્લેનમાં 12 ક્રૂ મેમ્બર્સ સહિત 242 યાત્રીઓ સવાર હતા. જેમાંથી એકમાત્ર પ્રવાસનીનો ચમત્કારિક બચાવ થયો. આ ઘટનાના કારણે આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. પણ બીજી બાજુ દેશના મીડિયાએ પોતાની તમામ હદ પાર કરી દીધી. આ એટલા માટે લખવું પડે છે કે, જે લોકોએ પોતાના પરિજનને ગુમાવ્યા છે તેમની પાસે કે તેમના નિવાસસ્થાને જઈને તેમના મોંઢામાં માઈક ઠુંસી દઈને જે અસંવેદનશીલતા બતાવી છે તે એક પત્રકારને છાજે એવી વાત નથી. પત્રકારત્વનો ધર્મ આજના જમાનાના પત્રકારો, મીડિયા હાઉસીસના માલિકો ભૂલી ગયા હોય એવું લાગે છે.

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના ડ્રીમલાઈનરની. તો આ ઘટનામાં પ્લેનમાં સવાર 242 (ક્રૂ મેમ્બર્સ સહિત) 241 પ્રવાસીઓના મોત થયા. આ પ્લેન ટેકઓફ થયાની બીજી જ મીનિટે ક્રેશ થયું હોવાથી મોટા ભાગના પ્રવાસીઓ જે પ્લેનમાં સવાર હતા તેમના સ્વજનો અને પરિજનો હજુ તો એરપોર્ટના પાર્કિંગમાંથી બહાર પણ નહિ નીકળ્યા હોય અને આ મોકાણના સમાચાર આવ્યા. આ સમાચાર મળતાં જ પાનના ગલ્લાની માફક ફાટી નીકળેલી ન્યૂઝ ચેનલો પોતાના કેમેરા અને બૂમ માઈક લઈને પ્લેન ક્રેશ સાઈટ, એરપોર્ટ તેમ જ સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગયા અને પછી એ ઉછળકૂદ કરી કરીને પહેલા સમાચાર અને વિઝ્યૂઅલ્સ બતાવવાની હોડ શરૂ કરી દીધી. દરમિયાનમાં હજુ મુસાફરોની યાદી કે વિગતો આવી નહોતી પણ એરપોર્ટ પર પોતાના સ્વજનને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મૂકવા આવેલા પરિજનો પણ ભીની આંખે પોતાના સ્વજનની વાટ જોઈ રહ્યા હતા ત્યારે સ્થળ પર પહોંચેલા પત્રકારોએ પોતાના બૂમ માઈક ધરી ધરીને આ તમામ લોકોને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. અને એ લોકો ના પાડે તો પણ તેમને સવાલો પૂછી પૂછીને પરેશાન કર્યા. ત્યારે આ બધું જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું, અને મને પણ મારા પત્રકાર હોવા પર શરમ આવી. કેમ કે, 90ના દાયકામાં અમે કરેલું પત્રકારત્વ એ સાચા અર્થમાં સમાજોપયોગી હતું અને લોકો સુધી સાચી વાત પહોંચતી હતી. અને પત્રકાર તરીકે અમે પણ લોકોનો અવાજ બનીને સત્તા અને વહીવટીતંત્રને બેબાક સવાલો પૂછતા હતા. પણ આવી ઘટના સમયે અમે સંવેદનશીલતા દાખવીને એ પ્રકારે રીપોર્ટિંગ કરતા હતા કે, પીડિત વ્યક્તે કે પરિજનની લાગણી પણ ન દૂભાય. પણ પ્લેન ક્રેશમાં જે પ્રકારે પત્રકારોએ રીપોર્ટિંગ કર્યું એમાં તમામની લાગણી દૂભાતી હોય એવું એ તમામના ચહેરા પરથી ફલિત થતું હતું.

છેલ્લે એક પત્રકાર તરીકે એટલું જ કહેવાનું કે, આપણે આપણો સાચ્ચો ધર્મ નીભાવવાનો છે. આપણે પત્રકારત્વમાં આવ્યા છીએ તો આપણે સમાજને સાચી વાત પહોંચાડવાની છે અને સમાજને પડતી તકલીફો અને સમસ્યા માટે રાજકીય નેતાઓના કાન આમળવા પડે તો આમળવાના છે. અને આપણે એવું પત્રકારત્વ કરીએ છીએ ખરા, એ શાંતિથી વિચારવું જરૂરી છે. અને હા, પણ જો કોઈ રાજકીય પક્ષની ખુશામત કરવી હોય તો પત્રકારત્વ છોડીને જે તે પક્ષમાં જોડાઈ જવું જોઈએ એવી વણમાંગી સલાહ આપું છું. આજના પત્રકારો અને તંત્રીઓને કે પછી મીડિયા હાઉસના માલિકોને આ વાત કડવી જરૂર લાગશે પણ જે વાસ્તિવકતા છે તે આ જ છે અને તેનો સ્વીકાર કરવો જ પડશે.

- Abbijit

14-06-2025

Friday, May 30, 2025

ભાજપની બેધારી નીતિ...

 મિત્રો, આજે એક કહાની આપને કહેવા જઈ રહ્યો છું. નવા ભારતની.. બદલાતા ભારતની કહાની... આપણે સમગ્ર દુનિયામાં ચીપિયા પછાડી પછાડીને કહી રહ્યા છીએ કે અમે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ, વિકસિત ભારત બનવા જઈ રહ્યા છીએ. હાલમાં જ નીતિ આયોગે આપણે ચોથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા હોવાની મોટેપાયે જાહેરાત કરી દીધી... જો કે, બાદમાં IMFની સ્પષ્ટતા આવી એટલે યુ ટર્ન મારીને એવું કહેવાયું કે 2025ના અંત સુધીમાં ચોથી મોટી અર્થવ્યવસ્થા બનીશું... તો દોસ્તો આજે એવા કેટલાંક કિસ્સાઓ જે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ બન્યા છે તે આપની સમક્ષ રજૂ કરીશ જેમાં વર્તમાન સરકારની બેધારી નીતિ છતી થાય છે.

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પોતાની તાકાતનો પરચો સમગ્ર દુનિયાને બતાવી દીધો. પરંતુ, દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા પર બેઠેલી ભાજપ સરકારના જ કેટલાંક મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા એવા પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યા છે જેના કારણે ભારતીય સૈન્યના મનોબળને ક્યાંક હાનિ પહોંચી રહી છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અનિલચંદ્ર શાહ આંખ આડા કાન કરી રહ્યા છે. આટલું ઓછું હોય એમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જગતપ્રકાશ નારાયણલાલ નડ્ડા દ્વારા પણ તેમના જ પક્ષના નેતાઓ જે બેફામ નિવેદનો કરી રહ્યા છે તેમ છતાં તેમને છાવરી રહ્યા હોય એવું લાગે છે. અહીં જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે તે સામાન્ય પ્રજાના મનમાં ઉઠતા સવાલોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યા છે. તેના દ્વારા કોઈનું અપમાન કે બદનામ કરવાનો કોઈ જ ઈરાદો નથી એ સ્પષ્ટતા પહેલેથી જ કરી દેવી યોગ્ય છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી મામલે મધ્યપ્રદેશના મંત્રી જે પોતાને કુંવર ગણાવે છે એવા વિજય શાહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. આટલું ઓછું હોય એમ તેમની સામે મધ્યપ્રદેશની સરકારે કે પોલીસે કોઈ FIR ના નોંધી. વિપક્ષો દ્વારા આ મામલે ભારે હોબાળો મચાવતા મધ્યપ્રદેશ હાઈકોર્ટે સુઓ મોટો કરીને મધ્યપ્રદેશ પોલીસને સો કોલ્ડ કુંવર એવા વિજય શાહ વિરૂદ્ધ FIR દાખલ કરવા આદેશ કર્યો. હાઈકોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ પોલીસે લૂલી-લંગડી, અડધી-પડધી અને જે ભારતીય ન્યાય સંહિતાની કલમો લગાવવી જોઈએ એ ન લગાવી અને FIR કરી. જે મામલે હાઈકોર્ટે પોલીસનો ઉધડો તો લઈ લીધો પણ વિજય શાહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તો સુપ્રીમ કોર્ટે પણ ઠમઠોરી નાંખ્યા. તેમને જામીન આપી દીધા અને સાથે સાથે SITની રચના કરી દીધી અને 28મી મેએ તપાસનો અહેવાલ આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો. જોકે, 28મીએ SITએ પોતાનો અહેવાલ રજૂ ન કરી શકી, પણ વધુ ત્રણ સપ્તાહનો સમય માંગી લીધો તપાસમાં. આ કેસમાં વિજય શાહની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ તો ન કરી અને સાથે ભાજપ કે મધ્યપ્રદેશ સરકારે પણ તેમની સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી ન કરી.

ઓપરેશન સિંદૂર 6 મેની મોડી રાત્રે કર્યું અને તેની એક એક વિગત મીડિયા સમક્ષ આપણા દેશના વિદેશ સચિવ વિક્રમ મિસરી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશી આપતા હતા. ભારતના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં આવેલા 9 જેટલા આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો અને તેનાથી પાકિસ્તાન ડરી ગયું અને તેણે ભારત પર વળતો પ્રહાર શરૂ કર્યો. જે 10મી મે સુધી ચાલ્યો. 10મી મેએ જ્યારે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાવાની હતી, પરંતુ બપોરે 3.35 વાગ્યે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે વાતચીત થઈ અને સાંજની પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી આવ્યા અને તેમણે સીઝ ફાયરની જાહેરાત કરી. આ જાહેરાત બાદ ભાજપના જ ચવન્ની છાપ આઈટી સેલના પાલતુ ટ્રોલર્સે વિક્રમ મિસરી વિશે એલફેલ પોસ્ટ કરી પાકિસ્તાની કહેવાનું શરૂ કરી દીધું. આટલું ઓછું હોય આ ટ્રોલર્સે મિસરીની પુત્રીને પણ ન છોડી અને તેના વિશે પણ ગમે તેમ લખવાનું શરૂ કરી દીધું. સતત આવી પોસ્ટથી કંટાળીને વિક્રમ મિસરીએ પોતાનું સોશ્યલ મીડિયા Xનું એકાઉન્ટ પ્રાઈવેટ કરી દેવું પડ્યું. તેમ છતાં વડાપ્રધાને એક શબ્દ પણ ન બોલ્યા અને કેન્દ્રીય ગૃહમંત્રીના ગૃહમંત્રાલયે પણ આવા સડકછાપ ટ્રોલર્સ સામે કોઈ કાર્યવાહી ન કરી એના કારણે અનેક સવાલો ઊભા થયા.

તો બીજી બાજુ હરિયાણાના સિરસામાં અશોકા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના હેડ એવા પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને તેમની ઓપરેશન સિંદૂરને લઈને ફેસબૂક પર કરેલી પોસ્ટ મામલે કેસ કરીને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા. આ મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે સર્વોચ્ચ અદાલતે પ્રોફેસર મહેમુદાબાદને શરતી જામીન આપ્યા પણ સાથે સર્વોચ્ચ અદાલતે પોલીસ અને વહિવટીતંત્રને પણ કેટલીક ટકોર કરી.

હજુ આ વિવાદ શાંત નહોતો થયો ત્યાં મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ ભારતીય સેનાનું અપમાન કરતું નિવેદન આપ્યું. એક સભામાં તેમણે એવું કહ્યું કે, ભારતીય સેના અને જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં નતમસ્તક છે. આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કરીને તેમણે પણ ભારતીય સેનાનું અપમાન કર્યું હોવા છતાં ભાજપના મોવડીમંડળે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કોઈ કાર્યવાહી ન કરી. હજુ આ મામલે કોઈ કાર્યવાહી થવાના એંધાણ પણ જોવા નથી મળી રહ્યા ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના એવા રાજ્યસભાના સાંસદ રામચંદ્ર જાંગરાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું જેમાં તેમણે કહ્યું કે, ‘જો મહિલાઓ હાથ જોડવાને બદલે લડી હોત તો ઓછા લોકો મૃત્યુ પામ્યા હોત.’ આવા પ્રકારના નિવેદનો પોતાના જ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા દ્વારા કોઈ પ્રકારના પગલાં નથી લેવાતાં. પરંતુ જો વિપક્ષ કે સામાન્ય વ્યક્તિ દ્વારા કોઈ નિવેદન કે પોસ્ટ કરવામાં આવે તો તેની સામે પગલાં ભરવામાં આવે છે. અને ભાજપનું પાવલીછાપ આઈટી સેલ અને તેના ટ્રોલર્સ સતત ટ્રોલ કરીને પ્રહારો કરે છે

આ ઉપરાંત પૂણેની એન્જિનિયરિંગ કોલેજની એક છાત્રાએ સાતમી મેના રોજ ઓપરેશન સિંદૂર બાદ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહેલી પોસ્ટમાંથી ભૂલથી પાકિસ્તાનની કેટલીક પોસ્ટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી દીધી. પરંતુ, તેને જ્યારે ખ્યાલ આવ્યો કે ભૂલ થઈ ગઈ છે તો તેણે બે કલાકમાં તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી અને જાહેર માફી પણ માંગી લીધી. આ છાત્રાએ જે કર્યું એ ભૂલ હતી. આટલું કરવા છતાં આ છાત્રાને કોલેજે સસ્પેન્ડ કરવા કે નોટિસ આપ્યા વગર જ રસ્ટિગેટ કરી દેવામાં આવી.... અને પૂણેની પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 152, 196 અને 197 લગાવીને ફરીયાદ દાખલ કરીને 9મી મેએ ધરપકડ કરી લીધી. આ છાત્રાએ નીચલી અદાલતમાં જામીન માટે અરજી કરી તો તેની અરજી નામંજૂર કરવામાં આવી અને તેને યરવડા જેલમાં મોકલી દેવાઈ. આ છાત્રાની ધરપકડ બાદ આઈબી, NIA સહિતની તપાસ એજન્સીઓ તપાસ માટે પહોંચી ગઈ. જામીન અરજી નામંજૂર થતાં આ છાત્રાએ મુંબઈ હાઈકોર્ટનો સહારો લીધો ત્યારે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને પોલીસને આકરો ઠપકો આપ્યો. અને કહ્યું કે 19 વર્ષીય છાત્રાને કઈ રીતે તમે સીધી જેલમાં પૂરી દો. શું તેને પોતાનો પક્ષ રાખવાનો અધિકાર નથી. શું આ છાત્રાની કારકિર્દી ખતમ કરીને તેને પણ ગુનાની દુનિયામાં ધકેલી દેવી છે. હાઈકોર્ટે છાત્રાની કોલેજને પણ આડેહાથ લીધી અને કહ્યું કે, છાત્રાની વાત જાણ્યા વગર કે કોઈ નોટિસ આપ્યા વગર સીધી રસ્ટિગેટ કઈ રીતે કરી શકો.

હજુ તો આ તમામની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ભાજપના ઉધમપુર પૂર્વના ધારાસભ્ય રણવીર સિંહ પઠાનિયાએ ઓપરેશન સિંદૂર અંગે એવું નિવેદન આપ્યું છે, જે વિવાદમાં આવ્યું છે. 'ઓપરેશન સિંદૂર દરમિયાન વાયુસેનાના પાઇલટ્સ સૂઈ રહ્યા હતા. ભૂલ આપણી છે, અમે લોકોએ તેમને અમારી પાંપણ પર બોસાડી રાખ્યા છે.' પઠાનિયાએ ભારતીય વાયુસેનાને 'નાલાયક' ગણાવી. તેમણે વધુમાં કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ઉધમપુર એરફોર્સ સ્ટેશનને પાકિસ્તાન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. 'ઓપરેશન સિંદૂર દરમિયાન એરફોર્સ સ્ટેશન પર શું થયું હતું તે બધા જાણે છે.' એ તેમની અક્ષમતા હશે, આ લોકો સૂતા હશે, એ આપણી કોઈ ભૂલ નથી.' એક તરફ ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ હિંમત અને બહાદુરી દર્શાવી, તો બીજી તરફ, ભાજપના ધારાસભ્યના આ નિવેદનથી લશ્કરી દળોના મનોબળ પર અસર થવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં, આ નિવેદન પર ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ વિપક્ષી પક્ષોએ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપનું મોવડીમંડળ આ નેતા સામે કોઈ કાર્યવાહી નહિ કરે. કેમ કે, તે પોતાની પાર્ટીનો છે ને....

મિત્રો, આ તો વાત થઈ વિવિધ કિસ્સાઓની જેમાં ભાજપની બેધારી નીતિના દર્શન થાય છે. ભાજપ પોતના પક્ષના નેતાઓને છાવરી રહી છે, તો સામાન્ય વ્યક્તિ કે વિપક્ષી નેતા સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને પરેશાન કરે છે. અને પોતાના પક્ષના નેતાઓને છાવરી રહ્યા છે. ભાજપના આ નેતાઓના નિવેદનો મામલે ન્યૂઝ ચેનલમાં બેસતા ભાજપના પ્રવક્તાઓ એવું કહે છે કે, આ નેતાઓએ માફી માંગી લીધી છે. તો શું સામાન્ય વ્યક્તિએ માફી માંગી લીધી હોવા છતાં તેને જેલમાં નાખી દેવામાં આવે એ યોગ્ય છે. આ બધું ચાલી રહ્યું છે ત્યારે આપણા દેશમાં અઘોષિત કટોકટી હોય એવું લાગે એ ખોટું નથી. દરેક વ્યક્તિને આપણા સંવિધાનના આધારે વાણી સ્વતંત્રતાનો હક્ક છે. હા, જો કોઈ એવી ટિપ્પણી કે નિવેદન હોય તો ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ. પણ તમામ માટે કાયદો સમાન છે તો એ પ્રમાણે જ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ભાજપની સરકાર સામાન્ય વ્યક્તિ કે વિપક્ષની સામે જ કાયદેસરની કાર્યવાહી કરે છે અને તેમના પક્ષના નેતાઓ સામે ભારતીય ન્યાયસંહિતાની કલમો પ્રમાણે કાર્યવાહી નથી કરતી. જો કાયદો તમામ માટે સમાન હોય તો કેન્દ્રીય ગૃહમંત્રાલય જે તે રાજ્યના DGPને આદેશ આપી જે નેતાઓએ કર્નલ સોફિયા કુરેશી, વિક્રમ મિસરી અને સૈન્યના મનોબળને તોડતાં નિવેદનો કરનાર ભાજપના આ નેતાઓ અને સડકછાપ ટ્રોલર્સ સામે પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152, 196 અને 197 લગાવીને કેસ કરીને જેલમાં ધકેલી દેવાના નિર્દેશ આપી શકે છે. પણ કેન્દ્ર સરકાર કે કેન્દ્રીય ગૃહમંત્રાલય એવું નહિ કરે, કેમ કે, આવા તમામ લોકો ભાજપ સાથે સંકળાયેલા છે. અને તેના કારણે અહીં કહેવું અતિશયોક્તિ નહિ હોય કે, ભાજપ એવું માને છે કે, પોતે કરે એ લીલા અને બીજા કરે એ પાપ...

- અભિજિત

30/05/2025



Monday, March 30, 2020

અમે પત્રકારો...


અભિની અભેરાઈમાંથી

ટાઢ, તડકો અને વરસાદ ન જુએ એ સાચ્ચો પત્રકાર. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા આ પત્રકારો પોતાની જાત જિંદગીભર ઘસી નાંખે છે અને એ પણ પોતાના માટે નહિ પરંતુ સુદ્રઢ સમાજના ઘડતર માટે. દુનિયાની ચોથી જાગીર કહેવાતા પત્રકારો પોતાના જીવના જોખમે પણ સમાજને સાચ્ચો રાહ હંમેશા ચીંધતા હોય છે. પત્રકારો એક સેતુ, નેટવર્ક બનીને પ્રજાનો અવાજ સરકાર સુધી અને સરકારની સારી ખરાબ વાતો પ્રજા સુધી પહોંચાડતી હોય છે. પરંતુ, કેટલીક વખત આ પત્રકારોને પ્રજા એટલે કે કેટલાંક રાજકીય પક્ષોના હાથા બની ગયેલા લોકો આ પત્રકારોને કોઈ પક્ષના પીઠ્ઠુ બની ગયાના લેબલ લગાવીને બદનામ કરે છે. તેમ છતાં પણ આ કર્મનિષ્ઠ પત્રકારો પોતાની કલમની તાકાત ઉપર આવા લોકોની સાથે પણ સારો વર્તાવ કરતાં હોય છે. જોકે, જે તે પક્ષના લોકો આવા પત્રકારો સાથે ખરાબ વર્તાવ જ કરતાં હોય છે. તેમ છતાં પણ પત્રકારો હસતા મોંઢે બધું સહન કરીને પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાતના પત્રકારોની વાત કરીએ તો વર્ષોથી ગુજરાતમાં કંઈકને કંઈક કુદરતી આપત્તિઓ આવી છે. અને આ આપત્તિઓમાં પણ ગુજરાતના પત્રકારોએ પોતાની ભૂમિકા એક સૈનિકની માફક નિભાવી જ છે. પછી તે ભલેને મચ્છુ ડેમની હોનારત હોય, વર્ષ 2001માં આવેલો વિનાશકારી ભૂકંપ હોય, દુષ્કાળ હોય કે પછી અતિવૃષ્ટિ અને છેલ્લાં બે ત્રણ વર્ષથી આવેલા વિવિધ પ્રકારના વાવાઝોડાં હોય. તમામ કુદરતી આપત્તિઓમાં પ્રજાના સાચ્ચા સેવક બનીને આ પત્રકારોએ પોતાની કામગીરી બજાવી છે. આ પ્રકારની કુદરતી હોનારતોમાં સરકારો દ્વારા અસરગ્રસ્તો માટે હંમેશા વિવિધ આર્થિક પેકેજની જાહેરાતો થાય છે. અને આ જાહેરાતોને પહેલાં માત્ર અખબારો હતા તો એ સમયે પોતાની કલમ દ્વારા લખીને અખબારોમાં પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ન્યૂઝ ચેનલો આવી છે ત્યારથી અખબારોના પત્રકારો લખીને અને ન્યૂઝ ચેનલના પત્રકારો કેમેરા સામે આવીને બોલીને રજૂ કરે છે. પરંતુ, શું ક્યારેય આ સરકારોએ પત્રકારો માટે કોઈ યોજના બનાવી છે ખરી? આવો સવાલ છેલ્લાં કેટલાંય વર્ષોથી મારા મનમાં ઘૂમરાયા કરે છે. પરંતુ ત્રીસ વર્ષની પત્રકારત્વની કારકિર્દીમાં ક્યારેય પત્રકારો માટે કોઈ વિશેષ યોજના કોઈપણ સરકારો દ્વારા જાહેર નથી કરાઈ અને કરાઈ હશે તો તે માત્રને માત્ર સરકાર માન્ય પત્રકારો માટે જ કરાઈ હશે. (આ લખું છું એમાં કોઈ પત્રકારોની ટિકા ટિપ્પણી નથી કરતો કે વિરોધ પણ નથી કરતો.) પરંતુ, આપણાં રાજ્યના સરકાર માન્ય પત્રકારોની સંખ્યા કરતાં એટલે કે એક્રિડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારો કરતાં આ પ્રકારનું કાર્ડ ન ધરાવતા પત્રકારોની સંખ્યા વધુ છે અને મોટાભાગના આવા પત્રકારો આવી કુદરતી આપદાઓમાં સતત દોડતા હોય છે. તો શું સરકારે આવા પત્રકારની વ્યથા ક્યારેય સાંભળી છે ખરી? ચાલો ત્યારે ફરી મૂળ મુદ્દા પર આવું તો પત્રકારો પોતાની ફરજ નિભાવવા માટે ગમે તેવા જોખમ પણ ઉઠાવી લેતા હોય છે. અને તેમાં તેમનો કોઈ સ્વાર્થ નથી હોતો પણ સમાજ માટે તે આ જોખમ ખેડતા હોય છે. આ બાબતના એક બે ઉદાહણ આપું તો, વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ ગુજરાત આખ્ખાને હચમચાવી નાંખનારો વિનાશકારી ભૂકંપ આવ્યો અને એનું એપિ સેન્ટર કચ્છ હતું. આ ભૂકંપ એટલો ભયાવહ હતો કે, તેમાં કચ્છમાં ભારે નુકસાની થઈ હતી. આ ભૂકંપની અસર રાજ્યના ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં થઈ હતી. એ વખતે નવી નવી રાષ્ટ્રીય હિન્દી ચેનલો હતી અને એ તમામ જે તે વખતે અમદાવાદ અને કચ્છ ઉમટી પડી હતી. ગુજરાતી ચેનલો બહુ જૂજ હતી અથવા તો નહોતી એમ કહીશ તો અતિશયોક્તિ નહિ હોય. અને એ વખતે ગુજરાતના તમામ અખબારોના પત્રકારો રાત દિવસ જોયા વગર સતત ભૂકંપને કારણે થયેલા નુકસાન અને અસરગ્રસ્તો તેમ જ અસરગ્રસ્ત વિસ્તારો કેવી રીતે બેઠા થશે એ અંગેના અખબારી અહેવાલો પોતાની કલમો દ્વારા રજૂ કરીને લોકોને સાચી માહિતી પૂરી પાડતાં હતાં. અને આ તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે મોટાભાગના અખબારનવીશો ભૂંકપ પીડિત કચ્છમાં ધામા નાંખીને બેઠા હતા અને એમાં હું પણ હતો. કચ્છ જતાં પહેલાં અમે તત્કાલિન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ દ્વારા રોજે રોજ યોજાતી પત્રકાર પરિષદ અને તેમની સરકાર તેમ જ કેન્દ્ર સરકાર અને વિશ્વના અન્ય દેશોએ ભૂકંપગ્રસ્ત વિસ્તારો માટે કયા પ્રકારની સહાય કરવામાં આવી છે તેની વિગતો લેતા હતા. ભૂકંપગ્રસ્ત કચ્છનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા ગયેલા પત્રકારોને ઘણાં અનુભવો થયા પણ તેઓ આવા કપરાં સંજોગોમાં પણ પોતાની ફરજ નહોતા ચૂક્યાં.

આ તો થઈ ભૂકંપની વાત આ ઉપરાંત અન્ય કેટલીક કુદરતી હોનારતોમાં પણ પત્રકારો (એન્કર્સ, ફિલ્ડ રિપોર્ટર્સ, ડેસ્ક રિપોર્ટર્સ) હંમેશા ખડેપગે પોતાની ફરજ નિભાવી હતી. તેમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન રાજ્યમાં આવેલા વિવિધ વાવાઝોડાંનો પણ સમાવેશ થાય છે. અને હવે વાત કરીએ દેશમાં અને ગુજરાતમાં આવેલા કાતિલ કોરોના વાઈરસની તો આ વાઈરસની ચૂંગાલમાં દેશ અને રાજ્ય જ્યારથી સપડાયું છે ત્યારથી તમામ ન્યૂઝ ચેનલ અને અખબારોના પત્રકારો પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર મોં પર માસ્ક અને હાથમાં સેનેટાઈઝર રાખીને ખડેપગે કોરોનાના અહેવાલો પ્રજા સુધી પહોંચાડે છે. આ માટે તેમને વિવિધ હોસ્પિટલોમાં પણ જવું પડે છે તેમ જ કોરોનાગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવી પડે છે. પણ તેમણે ક્યારેય આ વાઈરસની અસર થશે તો એવું વિચારીને તેનું કવરેજ કરવાનું માંડી વાળ્યું નથી. ઉલ્ટાનું સરકાર અને સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને સાચ્ચી માહિતી પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. આ વાઈરસનો કાળો કેર લગભગ એક મહિનાથી ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય અખબારો અને ચેનલો હોય કે પ્રાદેશિક અખબારો અને ચેનલો આ તમામના પત્રકારો આખ્ખો દિવસ કાર્યરત રહીને કોરોના સામેના જંગમાં લોકોને સાવચેત કરે છે. દેશમાં લોકડાઉન જાહેર થયું છે ત્યારથી આ પત્રકારો પોતાની ડ્યૂટી સતત નિભાવી રહ્યા છે અને સતત પ્રજાને અપડેટ કરી રહ્યા છે. કોરોનાને લઈને જે લોકડાઉન જાહેર થયું અને જે તકલીફો શ્રમજીવીઓને પડી તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિચાર્યું પણ જે પત્રકારો આવી આપદા સમયે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમના માટે કોઈએ વિચાર્યું નથી. દેશની સરહદોને સુરક્ષિત રાખવાનું કામ આપણાં સૈનિકો કરે છે, જે તે રાજ્યમાં સુરક્ષાનું કામ પોલીસ કરે છે એમ સમાજને દેશ દુનિયાની સાચ્ચી માહિતી પૂરી પાડવાનું કામ કરતાં પત્રકારોને સો સો સલામ...

- અભિજિત
30 માર્ચ 2020 

Sunday, March 8, 2020

દીર્ઘ દ્રષ્ટિ અને ટૂંકી દ્રષ્ટિ વચ્ચેનો ફરક

અભિની અભેરાઈમાંથી...

મિત્રો, થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 માર્ચે રાત્રે 8.56 વાગે એક ટ્વિટ કરીને એવો સંદેશો આપ્યો કે, ‘હું વિચારું છું કે, રવિવારે મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ આપી દઉં.’ એ દિવસે વિવિધ રાજકીય નેતાઓ અને મીડિયાએ તેમની આ વાતનો ઉંધો મતલબ કાઢ્યો હતો. અને લોકોએ આ મામલે પોતાના વિચારો રજૂ કરીને વણમાગી સલાહ પણ આપી દીધી. આટલું ઓછું હોય એમ આપણા દેશના સૌથી જૂના રાજકીય પક્ષ (જેને આઝાદી બાદ મહાત્મા ગાંધીએ વિખેરી નાંખવાની વાત કરી હતી) એ કોંગ્રેસના નેતા અને કેરલના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ તો હદ જ કરી નાંખી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વિટના પ્રત્યૂત્તરમાં એવું લખ્યું કે, ‘સોશિયલ મીડિયા નહિ, પણ નફરત છોડો.’ જોકે, એ રાત્રે હું મારા ટ્વિટર એકાઉન્ટ પર ખણખોદ કરતો હતો ત્યારે મારી નજર એક ટ્વિટ પર ગઈ. જે જાણીતા મહિલા વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટે કરેલી હતી. તેમણે આ ટ્વિટ 2 માર્ચે રાત્રે 10.29 વાગે કરી હતી, જેમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે, ‘વડાપ્રધાન કાર્યાલયમાં તેમના એક વરિષ્ઠ અધિકારી જે તેમના મિત્ર પણ છે તેમણે એવું કહ્યું હતું કે, રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને એ દિવસે તેઓ પોતાના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ કેટલીક એવી મહિલાઓને સોંપશે કે જેઓ દેશની અન્ય મહિલાઓ કે દેશ માટે પ્રેરણારૂપ સાબિત થઈ હોય.’ અને થયું પણ એવું જ, બીજા દિવસે એટલે કે 3 માર્ચે બપોરે 1.16 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિક કર્યું, અને તેમાં એમણે એવું લખ્યું કે, ‘આ રવિવારે મારા સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ એવી મહિલાઓને આપીશ કે જેઓ આપણે કંઈક પ્રેરણા આપે છે.’

 આ વાત એટલા માટે યાદ આવી કેમ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં એટલા સક્રિય છે કે, તેઓ ક્યારેય આ છોડી જ ન શકે. અને એ વાતનો પુરાવો અહીં આજે રજૂ કરું છું. હું જ્યારે 1995માં NDTVના ગુજરાતના પ્રતિનિધિ તરીકે કામ કરતો હતો, ત્યારે રાજદીપ સરદેસાઈ સાથે હું અમદાવાદમાં સ્ટોરી કરવા માટે ફરતો હતો અને એ સમયે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને એ અરસામાં હું અને રાજદીપભાઈ બન્ને ભાજપના તે સમયના પ્રદેશ કાર્યાલય ખાનપુર ગયા હતા. એ સમયે નરેન્દ્રભાઈ મોદી ભાજપના સંગઠન મંત્રી હતા અને તેઓ પ્રદેશ કાર્યાલયના ત્રીજા માળે એક રૂમમાં રહેતા હતા. ચૂંટણીની જાહેરાત થવાની હતી કે થઈ ગઈ હતી એ અત્યારે એટલું યાદ નથી પણ એ વાત નક્કી છે કે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેઓ સતત કાર્યરત રહેતા હતા. અને એ વખતે મને યાદ છે કે, ભારતમાં ઈન્ટરનેટની હજુ શરૂઆત થઈ હતી અને નરેન્દ્રભાઈએ ઈન્ટરનેટના માધ્યમથી વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાજપની નીતિ રીતિ અને તેમના પક્ષ તરફ આકર્ષવા માટેની શરૂઆત કરી દીધી હતી અને તેના ભાગરૂપે જ 1995માં ભાજપની સરકાર પ્રથમવાર એકલાહાથે સત્તા પર આવી હતી. અને આ માટેનો શ્રેય નરેન્દ્રભાઈને જાય કેમ કે, ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરીને તેમણે વિદેશમાં વસતા ગુજરાતીઓને પોતાના સ્વજનો જે ગુજરાતમાં છે તેમને ભાજપ તરફી મતદાન કરવા વિનંતિ કરી હતી. હવે, સવાલ એ થાય કે, જે વ્યક્તિ જ્યારે ઈન્ટરનેટની શરૂઆતના દિવસોનો લાભ લઈને જો ભાજપને સત્તા અપાવી શકતી હોય અને આજે તો સમગ્ર વિશ્વ લોકોની આંગળીઓના ટેરવે આવી ગયું છે ત્યારે અને સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરે ખરા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમ્પ્યૂટર અને સોશિયલ મીડિયાનો જેટલો ઉપયોગ કરે છે એટલો ઉપયોગ દેશના કોઈપણ રાજકીય પક્ષના નેતા નહિ કરતા હોય. અને તેમણે જ્યારથી દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ત્યારથી તેમણે એકપણ દિવસ એવો નથી ગયો કે નરેન્દ્ર મોદીએ તેનો ઉપયોગ ન કર્યો હોય. અને તેઓ સોશિયલ મીડિયામાં એટલા છવાયેલા છે કે, સમગ્ર વિશ્વના નેતાઓના સોશિયલ મીડિયાના ફોલોઅર્સની સરખામણી કરવામાં આવે તો તેઓ આજે વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયામાં ટોપ પર ચાલે છે. નરેન્દ્ર મોદીની જે દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ દેશના કોઈ નેતાની હોય એવું લાગતું નથી. કેમ કે, તેઓ સોશિયલ મીડિયા મારફતે એવા એવા સંદેશા આપે છે કે, તેમના ફોલોઅર્સની સંખ્યા દિનપ્રતિદિન વધી જ રહી છે. અને તેમના વહેતા કરાયેલી વાત સમગ્ર દેશના લોકો સરળતાથી ઉપાડી લે છે અને એ જ બતાવે છે કે તેમની સફળતા કેટલી છે. ત્યારે મારે અંતમાં એટલું જ કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોશિયલ મીડિયા પર કંઈ નવી વાત કરે અને એ પણ અટપટી હોય ત્યારે તેનો ક્યાસ કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ નહિ કે તેમની આ વાતને લઈને ખોટી ખોટી ટિપ્પણીઓ કરીને પોતાની હાંસી ઉડે એવું ન કરવું જોઈએ.

- અભિજિત
08 માર્ચ 2020 

Saturday, December 14, 2019

અભિની અભેરાઈમાંથી...

આમ તો હું છેલ્લાં 30 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં છું. આજે આ 30 વર્ષની સફરના કેટલાંક સંભારણાં પૈકીનો એક યાદગાર પ્રસંગ આજે મને મારી અભેરાઈમાંથી મળી આવ્યો. આજે હું મારા ખાનામાં ખોળાખંખોળા કરી રહ્યો હતો. એ સમયે મારા હાથમાં એક એપોઈન્ટમેન્ટ લેટર આવ્યો. જે હતો NDTVનો એપોઈન્ટમેન્ટ લેટર. આ લેટર એ સમયનો હતો જ્યારે દેશમાં ખાનગી ચેનલોનો રાફડો ફાટી નીકળ્યો નહોતો. આ વાત છે વર્ષ 1995ની જ્યારે મને પત્રકારત્વ ક્ષેત્રમાં આવ્યાને માત્ર પાંચ વર્ષ જ થયા હતા. આ પાંચ વર્ષમાંથી બે વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વની માસ્ટર ડિગ્રી લેવા ગયો તે બાદ કરી દઈએ તો કાયદેસરના ત્રણ જ વર્ષ થયા હતા. એ સમયે દિલ્હીમાં એક માત્ર ખાનગી ટીવી કંપની કામ કરતી હતી. અને એ હતી New Delhi Television Pvt. Ltd. (NDTV) અને એ સમયે ડો. પ્રણોય રોયની કંપનીનો અડધો કલાકનો સમાચારનો કાર્યક્રમ દૂરદર્શનની મેટ્રો ચેનલ પર શરૂ થવાનો હતો. આ માટે સમગ્ર દેશના દરેક રાજ્યમાંથી પ્રતિનિધિની નિમણૂંક કરવાની હતી. તે સમયે હું નવો નવો હતો એટલે આપણી એટલી પહોંચ પણ નહોતી. પરંતુ મારા પિતા સ્વ. તુષાર ભટ્ટ આ ક્ષેત્રમાં એક જાણીતું નામ હોવાના કારણે તેમને દિલ્હી અને મુંબઈના જાણીતા પત્રકારો ઓળખતા હતા અને મને તેમના કારણે લોકો ઓળખતા હતા. આ સંજોગોમાં તે સમયે ઈન્ડિયા ટૂડે (ગુજરાતી)ના તંત્રી શીલા ભટ્ટે ડો. રોયને મારું નામ સૂચવ્યું હતું. અને પછી તો તે સમયે દિલ્હીથી ફોન આવ્યો (લેન્ડલાઈન પર, કેમ કે તે સમયે મોબાઈલનો યુગ શરૂ થયો નહોતો.). અને મારો ટેલિફોનિક ઈન્ટર્વ્યૂ લેવામાં આવ્યો અને મારી પસંદગી કરી દેવાઈ. આમ ખાનગી ટીવી કંપનીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે મારી નિમણૂંક થઈ અને પછી શરૂ થઈ ઈલેક્ટ્રોનિક મીડિયાની સફર.


આ કામગીરી સંભાળ્યા બાદ મારે મહિનામાં જે સ્ટોરી કરવાની હોય તે માટે દિલ્હી સ્ટોરી આઈડિયા મોકલતો અને તેમાંથી સ્ટોરી આઈડિયા પસંદ થાય એટલે દિલ્હીથી રાજદીપ સરદેસાઈ અને કેમેરામેન ધનપાલ અમદાવાદની સફરે નીકળી પડે. આ સફર દરમિયાન અમારી ત્રિપૂટીએ ઘણી સ્ટોરી આપેલા આઈડિયા પ્રમાણે બનાવી તો ઘણી સ્ટોરી અચાનક જ બની ગઈ. આમને આમ આ સફરમાં બે મહિના પૂર્ણ થયા. ગુજરાતના મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલનું 17મી ફેબ્રુઆરી 1994માં અવસાન થયું હતું. અને તેમના મૃત્યુની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ હું, રાજદીપજી અને ધનપાલ અમદાવાદ-ગાંધીનગર ખાતે આવેલા તેમના સમાધિ સ્થળ નર્મદા ઘાટ ગયા હતા જ્યાં તત્કાલિન મુખ્યપ્રધાન છબીલદાસ મહેતા તેમ જ કોંગ્રેસ અને જનતાદલ (ગુ)ના નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. ત્યાંથી નીકળીને અમે તે સમયે ભાજપના પ્રદેશ કાર્યાલય જે ખાનપુરમાં આવેલું હતું ત્યાં પહોંચ્યા. તે સમયે નરેન્દ્રભાઈ મોદી ભાજપના સંગઠન મહામંત્રી હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમને મળવાનું થયું. આમ તો નરેન્દ્રભાઈ હું અમદાવાદનો પત્રકાર હોવાના નાતે તેમ જ વિવિધ અખબારોમાં ભાજપનું કવરેજ કરતો હોવાના કારણે ઓળખતા હતા. પરંતુ રાજદીપ સરદેસાઈને એટલા ન ઓળખે. અમે તેમની સાથે ઓળખાણની વિધિ પતાવ્યા બાદ ગુજરાતના રાજકારણની ચર્ચાની શરૂઆત કરી. જેમાં 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અને તેઓ પોતે ભાજપના સંગઠન મહામંત્રી હોવાના કારણે ભાજપની પ્રચારની નીતિ કેવી રહેશે તે વિશે વાત કરવાનું શરૂ કર્યું. અને અમારા કેમેરામેન ધનપાલે તેમની આ આખી વાતચીત (બાઈટ) તે સમયના બિટાકેમમાં રેકર્ડ કરી લીધી. આ બાઈટ લઈને તેમના કટ અવેસ બનાવ્યા અને ભાજપના ખાનપુર સ્થિત પ્રદેશ કાર્યાલયના વિઝ્યૂઅલ્સ પણ બનાવ્યા. અને પછી અમે નારણપુરા સ્થિત એડિટીંગ સેટઅપ પર ગયા અને ત્યાં અમે સ્ટોરી અંગ્રેજીમાં લખી અને તેનો વોઈસ ઓવર કરીને એડિટ કરી. આ આખી સ્ક્રિપ્ટ અને વિડીયો એડિટીંગ મેં કર્યું અને વોઈસ ઓવર રાજદીપજીએ કર્યો. અને આમ ભાજપની વિધાનસભા ચૂંટણીની તે સમયની રણનીતિ ઉપરની સ્ટોરી અમે તૈયાર કરી અને પછી અમારી ત્રિપૂટી અમદાવાદ એરપોર્ટ ગયા જ્યાં અમે દિલ્હી જતાં એક મુસાફરને અમારી ટેપ આપી અને દિલ્હી ખાતે અમારી ઓફિસમાં તે મુસાફરની અને ફ્લાઈટની વિગત વગેરે એસટીડી કોલ કરીને આપી દીધી. અને સાંજે સાતના ટકોરે ડીડી મેટ્રો પર NDTVના ન્યૂઝ ટૂનાઈટ કાર્યક્રમમાં તે સ્ટોરી પ્રસારિત થઈ જે નરેન્દ્રભાઈ મોદીએ જોઈ અને બીજા દિવસે બપોર થતાં અમે ફરી ભાજપના કાર્યાલય પર પહોંચ્યા ત્યારે તેમણે સહર્ષ અમારું સ્વાગત કર્યું અને અમારો ખૂબ ખૂબ આભાર માન્યો. અને પછી તેમની સાથે ચ્હાની ચૂસકીઓ અને નાસ્તાની મહેફિલ રોજ જામતી ગઈ અને આમ નરેન્દ્રભાઈ સાથે મિત્રતા થોડી મજબૂત થઈ. 1995માં ઈન્ટરનેટનો એટલો વ્યાપ નહોતો પરંતુ તે સમયે નરેન્દ્રભાઈ મોદીએ ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેઈલ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાજપ વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું અને તેમના આ પ્રયાસના કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓ ખૂબ જ પ્રભાવિત થતાં અને તેમને વળતો જવાબ પણ લખતા તે પણ નરેન્દ્રભાઈ અમને બતાવતા અને તે સમયે તેમની છાતી ગજગજ ફૂલતી હતી. તેમની અને તેમના પક્ષના અન્ય નેતાઓની મહેનત આખરે રંગ લાવી અને ગુજરાતમાં પ્રથમવાર 1995માં ભાજપની સરકાર સત્તા પર આવી. હા, અગાઉ પણ ભાજપની સરકાર હતી પણ કોઈ પક્ષને ટેકો આપીને સત્તામાં ભાગીદારી કરી હોય એવી હતી. પણ 1995માં એકલા હાથે સત્તા પર આવીને કોઈના પણ ટેકા વગર સરકાર બનાવી. આમ, નરેન્દ્રભાઈનું કદ પણ વધી ગયું અને માન પણ. પરંતુ આ માન અને કદ ભાજપના જ કેટલાંક અને ખાસ કરીને શંકરસિંહ વાઘેલાને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું.

1996માં શંકરસિંહ વાઘેલા જેમણે પણ ભાજપને આટલી ઊંચાઈ પર લઈ જવામાં કોઈ કસર બાકી નહોતી રાખી તેઓ નારાજ થયા અને તેમણે ભાજપના મોવડીમંડળને નરેન્દ્રભાઈ વિરૂદ્ધ ફરિયાદો કરવાનું શરૂ કર્યું અને તેમની ઉપેક્ષા કરાઈ રહી હોવાની ઉગ્ર રજૂઆતો કરતાં તે સમયે ભાજપના મોવડીમંડળ અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્રભાઈ મોદીના રાજકીય ગુરૂ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત ભાજપમાં ફેલાઈ રહેલા અસંતોષને ખાળવા માટે નરેન્દ્રભાઈ મોદીને દિલ્હી ખાતે કેન્દ્રીય ભાજપમાં બોલાવી લીધા અને તેમને હિમાચલ પ્રદેશના પ્રભારી બનાવી દેતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાથેનું એક મહિના દરમિયાનનું સંભારણું આજે પણ યાદ આવે છે ત્યારે લાગે છે કે રણનીતિ ઘડવામાં તેઓ બેતાજ બાદશાહ છે. હિમાચલ પ્રદેશથી જ્યારે તેઓ ગુજરાતમાં લાંબા સમય બાદ આવ્યા ત્યારે મારી સફર પણ જેમ ગુજરાત ભાજપ સાથે નરેન્દ્રભાઈ મોદીની પૂર્ણ થઈ હતી તેમ NDTV સાથેની મારી સફર પણ પૂર્ણ થઈ ગઈ હતી. અને હું ફરી પાછો જયહિન્દ અખબારમાં આવી ગયો હતો. જ્યારે નરેન્દ્રભાઈ મોદી હિમાચલ પ્રદેશથી ગુજરાત આવવાના હતા ત્યારે તેમના સ્વાગત માટે ભાજપના પ્રદેશ એકમે કાલુપુર રેલવે સ્ટેશન પર એક સ્વાગત કાર્યક્રમ રાખ્યો હતો. જેને જયહિન્દના પત્રકાર તરીકે કવર કરવા હું ગયો હતો. અને સ્ટેશન પર ભાજપના તે સમયના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહને હું ટપકાવી રહ્યો હતો. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ દૂરથી મને જોઈને તેમણે હાથ કોણીએથી વાળીને કેમેરો ક્યાં એવો સવાલ પૂછીને નજીક આવીને મારી સાથે વાતચીત કરવા લાગ્યા. આ જોઈને મને તેમની યાદશક્તિનો પરચો પણ મળી ગયો. આમ તો નરેન્દ્રભાઈ મોદી સાથે વર્ષ 2010 સુધી મારો સંપર્ક રહ્યો. પણ 2010માં મીડિયા છોડ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો અને જ્યારે હું કોર્પોરેટ કંપનીઓમાં જનસંપર્ક અધિકારી તરીકે કામ કરતો હતો ત્યારે વર્ષ 2014માં તેઓ દેશના વડાપ્રધાન તરીકે સ્થાન સંભાળી ચૂક્યા હતાં. હું વર્ષ 2016માં ફરી મીડિયામાં સક્રિય થયો છું. ત્યારે હવે એવી આશા રાખી રહ્યો છું કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને હું યાદ હોઈશ કે નહિ.

અભિજિત
14-12-2019

Monday, January 7, 2019

અનામતનું ભૂત દેશભરમાં ધૂણ્યું

દેશમાં વળી પાછું અનામત મામલે રાજકારણ ગરમાયું છે અને જે ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતું સિમિત હતું તે અનામતનું ભૂત હવે દેશભરમાં ધૂણવા માંડ્યું છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી. જેમાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ મામલે કેબિનેટે નિર્ણય લઈને હાલમાં ચાલી રહેલાં લોકસભાનાં સત્રમાં તે માટે સંશોધન લાવવાની જાહેરાત કરી. પરંતુ, જે જાહેરાત કરી છે તેને કેટલાંક લોકો મોદીનો માસ્ટરસ્ટ્રોક માની રહ્યાં છે. તો કેટલાંક લોકો તેને રાજકીય તિકડમ માની રહ્યાં છે. હકીકતમાં આ મોદી સરકારનું રાજકીય તિકડમ જ છે. કેમ કે, દેશની સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું છે કે, આર્થિક અનામત આપવાની હોય તો તે પણ 50 ટકાથી વધારે ન આપવી જોઈએ અને હાલની સ્થિતિને જોતાં 49.5 ટકા આર્થિક અનામત આપવામાં આવી છે. એટલે કે, .5 ટકા જ અનામત આપી શકાય એવું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે મોટા ઉપાડે કેન્દ્ર સરકારે 10 ટકા અનામત આપવાની જાહેરાત તો કરી દીધી. પણ સવર્ણોને આર્થિક અનામત આપશે કેવી રીતે? અને આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મેદાન મારવા માટે વર્તમાન કેન્દ્ર સરકારે બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે.

વડાપ્રધાને વધુ એક જુમલો કરીને દેશમાં પડી રહેલી ઠંડીમાં ગરમાવો લાવી દીધો
વડાપ્રધાન તરીકે વર્ષ 2014માં પદ ગ્રહણ કરનાર નરેન્દ્ર મોદી છેલ્લાં સાડા ચાર વર્ષથી આ પ્રકારે જુમલા કરીને લોકોને યેનકેન પ્રકારેણ ભાજપ તરફી રાખવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. અને તેમાં તેઓ સફળ પણ થઈ રહ્યાં છે. વર્ષ 2014ની ચૂંટણી પહેલાં મતદારોને રૂપિયા 15 લાખ ખાતામાં આવી જશે એવું કહ્યું, જે આજ દિન સુધી નથી આવ્યાં. હા, લોકોનાં ખાતામાંથી રૂપિયા ગાયબ થવા માંડ્યાં. નોટબંધી, જીએસટી, મોંઘવારી, વગેરેને કારણે દેશની જનતાનાં ખાતામાં પૈસા તો ન આવ્યાં પણ તેમનાં ખાતામાંથી પૈસા ઉડવા માંડ્યા અને તેમાં લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું. આમ વડાપ્રધાન દ્વારા આજે વધુ એક જાહેરાત કરાતાં સમગ્ર દેશમાં ઠંડીનાં જોર વચ્ચે રાજકારણમાં ગરમાવો આવી ગયો. વિવિધ રાજકીય પક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા  આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી અને કહ્યું કે, બંધારણની જોગવાઈ અનુસાર જે શક્ય નથી ત્યાં કેવી રીતે અનામત આપશે વર્તમાન સરકાર. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર પ્રજાની હથેળીમાં ચાંદ દેખાડી દીધો છે.

પાટીદારોને આર્થિક અનામત આપવાનાં નિર્ણય કેમ રદ્દ થયો ?
વર્ષ 2015થી ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા મામલે હાર્દિક પટેલ આણી કંપની દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. અને આ પાટીદારોની અનામતની માગણી સમયે રાજ્ય સરકારે પણ ઘસીને ના પાડી દીધી અને સુપ્રીમ કોર્ટની દૂહાઈ આપી દીધી. અને તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં મધ્ય પ્રદેશનાં મંત્રી આનંદીબહેન પટેલે પણ આજે જે રીતે કેન્દ્ર સરકારે સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી તેમ કરી હતી, પરંતુ જે તે સમયે ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ફગાવી દઈને આર્થિક અનામત આપવા બાબતે રાજ્ય સરકારને નનૈયો ભણી દીધો. જો ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર રાજ્યમાં પાટીદારોને આર્થિક અનામત આપવાનાં રાજ્ય સરકારનાં નિર્ણયને રદ્દ કરી શકતી હોય તો શું સુપ્રીમ કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરશે કે કેમ એ એક સવાલ પણ ઊભો થાય છે. જોકે, કાયદાનાં નિષ્ણાતોનું માનીએ તો આ મામલે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ ઈનકાર કરી શકે છે. કેમ કે, સુપ્રીમ કોર્ટનાં અગાઉનાં આદેશ મુજબ 50 ટકાથી વધારે આર્થિક અનામત નહિ આપવી. જો એ આદેશને ફોલો કરવામાં આવે તો ચોક્કસ આ નિર્ણય રદ્દ થવાને પાત્ર  છે. પરંતુ, કેબિનેટે જ્યારે આ નિર્ણયને બહાલી આપી છે ત્યારે એવી પણ જાહેરાત કરી છે કે, આ મામલે લોકસભાનાં ચાલી રહેલા સત્રમાં સંશોધન લાવવામાં આવશે. અને મંગળવારે લોકસભાનાં શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે, ત્યારે આ સંશોધન મંગળવારે રજૂ કરવામાં આવશે. આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામત અપાશે. 50% અનામતની મર્યાદા ઉપર આ અનામત હશે  એટલે સંવિધાનના આર્ટિકલ 15માં 15(6) જોડવામાં આવશે તથા આર્ટિકલ 16માં 16(6) જોડવામાં આવશે. આ પ્રકારનું સંવૈધાનિક સંશોધનનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. ટૂંકમાં હાલમાં તો સવર્ણોને અનામત આપવાની જાહેરાત માત્ર રાજકીય તિકડમ જ ગણી શકાય.

ગુજરાત સરકાર અને પ્રદેશ ભાજપે આવકાર્યો નિર્ણય
જોકે, કેબિનેટે લીધેલાં નિર્ણયને ગુજરાત સરકારે આવકારી અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ એકમે પણ આ નિર્ણયને આવકાર્યો છે. પ્રદેશ ભાજપનાં નેતાઓનાં કહેવા પ્રમાણે કેન્દ્રની મોદી સરકારે જે નિર્ણય કર્યો છે તેમનાં સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસને સાર્થક કરે છે. અને ભાજપે આપેલાં વચન પ્રમાણે દરેક સમાજનો વિકાસ કરવાની વાતને પણ આ નિર્ણય યોગ્ય છે. અને જો સમાજનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે એવો સૂર વ્યક્ત કર્યો છે.

પાસનાં નેતાઓએ પણ કેન્દ્ર સરકારનાં નિર્ણયને ગણાવ્યો જુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કરેલી જાહેરાતનાં પગલે છેલ્લાં ત્રણ વર્ષથી પાટીદારો માટે અનામતની માગણી કરી રહેલાં હાર્દિક પટેલે પણ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે અને આરોપ મૂક્યો છે કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટેની ભાજપની મેલી મુરાદ ઉઘાડી પડી છે. જે કેન્દ્ર સરકાર સવર્ણોને આર્થિક અનામત આપવાની વાત કરે છે તે શક્ય બનવાનું નથી. કેમ કે, સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ 50 ટકાથી વધારે અનામત આપી ન શકાય. ત્યારે આ સરકારે જે અનામત આપવાની વાત કરી છે તો એ ક્યાંથી આપશે?

અનામતની વર્તમાન સ્થિતિ પર એક નજર
દેશની કુલ વસ્તી અંદાજે 130 કરોડ જેટલી છે. વસ્તીની દ્રષ્ટિએ દલિતોને 15 ટકા, આદિજાતિને 7.5 ટકા અનામતની પહેલેથી જ જોગવાઈ છે. ત્યારબાદ માંડલ કમિશને સમાવેશ કરેલા નવા વર્ગ ઉમેરાતા ગયા. જેની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે ગણતરી કરવામાં આવી. દેશની કુલ વસ્તીમાં આ વર્ગની સૌથી વધુ સંખ્યા હોવાથી તેમને સૌથી વધુ એટલે કે, 27 ટકા અનામતની ફાળવણી કરવામાં આવી. આમ આ તમામ આંકડા જોઈએ તો કુલ 49.5 ટકા અનામત તો અપાઈ ચૂકી છે. હવે રહ્યાં માત્ર .5 ટકા તો આ સંજોગોમાં સવર્ણોને કેવી રીતે અનામત ફાળવવામાં આવશે એ એક યક્ષ પ્રશ્ન છે.

કેમ રાજકીય હેતુ?
કેન્દ્રની મોદી સરકાર અનેક નિર્ણયો જેવા કે, નોટબંધી, GST, સતત વધી રહેલી મોંઘવારી અને રાફેલનાં સોદામાં થયેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહી છે. જેમાં વિપક્ષ દ્વારા હંમેશા નોટબંધીની નિષ્ફળતા, GSTને કારણે વેપારીઓને પડેલી તકલીફોને લઈને હંમેશા વડાપ્રધાન મોદીને અને ભાજપને ઘેરવામાં આવી રહ્યાં છે. આટલું ઓછું હોય એમ હાલમાં જ દેશભરમાં રાફેલના સોદો કેન્દ્રની મોદી સરકારનાં ગળામાં હાડકું ફસાઈ ગયું હોય એમ અટવાયેલો છે. ત્યારે આ બધા મુદ્દાઓથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે સવર્ણોને અનામત આપવાનું હથિયાર ઉઠાવ્યું છે. અત્રે નોંધનીય છે કે અગાઉ વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ, બસપા સહિતનાં કેટલાંક પક્ષો દ્વારા સવર્ણોને આર્થિક અનામત આપવાનાં વચનો આપી ચૂક્યાં છે. અને આ મુદ્દાને ઉઠાવીને કેન્દ્રની ભાજપ સરકારે વિપક્ષોમાં તડાં પડાવવા અને પોતાની મતબેન્કને જાળવી રાખવા માટે આ રાજકીય નિર્ણય લીધો હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

આ નિર્ણય 2019ની ચૂંટણીમાં કેવો લાવશે રંગ?
2019નું વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. અને વર્તમાન ભાજપનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનાં નિર્ણયોથી પ્રજાને હાલાંકી ભોગવવી પડી છે ત્યારે સવર્ણોને અનામત આપવાની જાહેરાત કરીને વડાપ્રધાન મોદીએ મોકે પે ચોકા જરૂર મારી દીધો છે. અને આવનારી ચૂંટણીમાં નોટબંધી, GST, સતત વધી રહેલી મોંઘવારી અને રાફેલનાં સોદામાં થયેલાં ભ્રષ્ટાચારને વિપક્ષો પણ કોરાણે મૂકી આ મુદ્દાને ચૂંટણી મુદ્દો બનાવે એવી સ્થિતિનું ઊભી કરી દીધી છે. મોદીનાં આ નિર્ણયને કારણે ચોક્કસ એવું કહી શકાય કે આ વખતની લોકસભાની ચૂંટણીનો રંગ જ અલગ હશે.