સૌથી પહેલા તો આપણી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાન પ્રેરિત આતંવાદીઓના અડ્ડા અને તેમના એરબેઝને જે તબાહ કરી દીધા એના માટે આપણી સેનાના વીર જવાનોને સો સો સલામ... અને 12મી જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈને AI171 મેઘાણીનગરમાં આવેલા ઘોડા કેમ્પના IGP કમ્પાઉન્ડમાં ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું અને તેમાં પ્લેનમાં સવાર 242 પૈકી 241 યાત્રીઓ અને હોસ્ટેલમાં જે ડોક્ટર્સના મોત થયા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અને હા ખાસ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા તેમનું પણ દુઃખદ અવસાન થયું છે ત્યારે એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ અને જે લોકો ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના...
હવે મુદ્દાની વાત પર આવું.... છેલ્લાં કેટલાંક સમયથી એટલે કે લગભગ એક દાયકા જેટલો સમય ગણીએ તો પત્રકારત્વનું અધઃપતન થયું હોય એવું લાગી રહ્યું છે. પત્રકારત્વની સાચી પરિભાષા આજના પત્રકારો અને મીડિયા હાઉસના માલિકો ભૂલી ગયા હોય એવું લાગે છે. પહેલાના સમયમાં એટલે કે 1990 અને તેના પહેલાનું જે પત્રકારત્વ હતું તે એકદમ સંવેદનશીલ અને ગંભીર અને સમાજને ઉપયોગી પત્રકારત્વ હતું. પરંતુ આજનું પત્રકારત્વ અસંવેદનશીલ, ગંભીરતાના અભાવવાળું અને રાજકીય પક્ષોને માટે ઉપયોગી સાધન બની ગયું છે. રાજકીય પક્ષો માટે ઉપયોગી એટલા માટે આજે દેશના લગભગ તમામ મીડિયા હાઉસના માલિકો અને તંત્રીઓ સત્તાપક્ષ કે વિપક્ષની પીપૂડી વગાડવામાંથી ઊંચા આવતા નથી. જેમાં વિપક્ષોની પીપૂડી વગાડતા મીડિયા હાઉસ કે તંત્રીઓ આંગળીના વેઢે ગણાય એટલા રહી ગયા છે. કેમ કે લગભગ તમામ ન્યૂઝ ચેનલ્સ, અખબારો સત્તાપક્ષની તરફેણમાં અને એ કહે એ પ્રમાણે જ રીપોર્ટિંગ કરે છે. 90 અને તેના પહેલાના દાયકામાં પત્રકારો રાજકીય નેતાઓ અને તેમાં પણ સત્તાપક્ષના એટલે કે મુખ્યમંત્રી કે વડાપ્રધાનને સીધા સવાલ પૂછતા હતા. આજે મુખ્યમંત્રી કે વડાપ્રધાન સવાલોનો સામનો કરતા જ નથી. તેમના બદલે તેમની સરકારના પ્રવક્તા અથવા તેમના પક્ષના પ્રવક્તા આવીને પત્રકાર પરિષદને સંબોધીને જતા રહેશે અને આજનો પત્રકાર પણ મૂક પ્રેક્ષક બનીને જે બોલ્યા એ જ છાપવાનું કે પછી ન્યૂઝ ચેનલ પર ચલાવી દે છે. આ સાચ્ચું પત્રકારત્વ નથી અને પત્રકારત્વનો ધર્મ પણ નથી.
1990ના દાયકામાં હું જ્યારે આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે એક અસલી પત્રકારત્વ જોયું છે અને કર્યું છે. મારા પત્રકારત્વ પહેલાના સમયમાં પણ એટલે કે મારા પિતા સ્વ. તુષાર ભટ્ટના સમયમાં પણ મજબૂત પત્રકારત્વ હતું અને તેમની વિશ્વસનીયતા હતી. એ સમયમાં પણ આવી ઘણી ઘટનાઓ ઘટી હતી, પરંતુ અમે ક્યારેય આવા સમયે કોઈ પીડિતને આ પ્રકારે પ્રતાડિત નથી કર્યા. એક સ્વજન ગુમાવ્યાનું દુઃખ જ્યારે કોઈ વ્યક્તિને હોય ત્યારે અમે લોકોએ એ સમયે એક પત્રકાર તરીકે માનવતા અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને એવું પત્રકારત્વ ક્યારેય નથી કર્યું જેવું આજે પત્રકારત્વ કરવામાં આવી રહ્યું છે. એ સમયે પત્રકારત્વ એટલે સમાજ સુધી સાચી વાત પહોંચાડવાનો હેતુ હતો. પરંતુ આજે પત્રકારત્વ જો ન્યૂઝ ચેનલ હોય તો TRP તેમ જ સરકારી જાહેરખબરો અને અખબાર હોય તો સરકારી જાહેરખબરો માટે જ કરવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે. 90ના દાયકામાં પણ રાજકીય પક્ષો હતા, અને એ વખતે માત્ર અખબારો હતા, જાણીતા પત્રકારો અને જેમની કલમથી રાજકીય નેતાઓ તેમ જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનો પણ ફફડતા. એ સમયે ઈન્વેસ્ટિગેશન જર્નાલિઝમ થતું હતું. પરંતુ આજે સિન્ડિકેટ જર્નાલિઝમ અને ફટાફટ ન્યૂઝ આપવાની લ્હાયમાં ખોટા સમાચારોને પણ બ્રેકિંગ ન્યૂઝમાં આપી દેવામાં આવે છે અને પછી આ પ્રકારના સમાચાર આપીને જે તે પત્રકાર પોરસાય કે જોયું આપણે બ્રેકિંગ કરી દીધું. પણ એ પત્રકાર મિત્રને ખબર નથી કે ઉતાવળમાં કાચું કાપી દીધું હોય છે.
આનું ઉત્તમ ઉદાહરણ હાલમાં જ 22મી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલો થયો અને આપણા દેશના નિર્દોષ એવા 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને તેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર કર્યું, ત્યારે 6ઠ્ઠી મેની મોડી રાત્રે અને 7મી મેની વહેલી સવારે દેશની તમામ નામાંકિત દરેક ભાષાની ચેનલોના પોતાને તુર્રમખાં સમજતા એન્કર્સ ટીવી સ્ક્રિન્સ પર અને પત્રકારો મેદાનમાં આવી ગયા અને એ સમયે મોટાભાગના જે વિઝ્યૂઅલ્સ દરેક ચેનલોએ ચલાવ્યા એ જૂના અને ખોટા હતા. અને સાથે યુદ્ધની સાયરનો સાથે મોટા બ્રેકિંગ અને બરાડા પાડી પાડીને રજૂઆત કરતા હતા. સ્ટુડિયોમાં એન્કર્સ પત્રકારત્વ નહિ પણ પોતાની ચેનલનું TRP વધારવા માટે જ્ઞાન પણ પિરસવા લાગ્યા. આ ઉપરાંત ફિલ્ડના પત્રકારોએ આવા સમયે ખૂબ જ સંયમતા તેમ જ ગંભીરતાપૂર્વક રીપોર્ટિંગ કરવું જોઈએ એ ન કર્યું. આટલું ઓછું હોય એમ ઓપરેશન સિંદૂરના જવાબમાં પાકિસ્તાને બીજા દિવસે વળતો પ્રહાર કર્યો ત્યારે આપણી સેનાએ તેને નિષ્ફળ બનાવ્યા. એ સમયે પણ આ ચેનલ્સ દ્વારા પાકિસ્તાનના કરાચી, ઈસ્લામાબાદ પર હુમલો. કરાચી બંદરને ઉડાવી દેવાયું. ઈસ્લામાબાદ પર ભારતે કબ્જો મેળવી લીધો એવા સમાચારો આપી દીધા. હકીકતમાં જ્યારે બીજા દિવસે ભારતીય વિદેશ મંત્રાલયના વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું ત્યારે ખબર પડી કે રાત્રે ચેનલ્સ દ્વારા જે બતાવાયું તે તદ્દન ખોટું હતું. આટલું થયા પછી પણ લગભગ કોઈ ચેનલે માફી ન માંગી એક બે ને બાદ કરતાં.
હવે વાત, અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર 12 જૂને બપોરે 1.38 વાગ્યે ટેકઓફ કર્યાની બીજી જ મિનીટે બી. જે. મેડિકલ કોલેજની ડોક્ટર્સ હોસ્ટેલ પર ક્રેશ થયું. આ પ્લેનમાં 12 ક્રૂ મેમ્બર્સ સહિત 242 યાત્રીઓ સવાર હતા. જેમાંથી એકમાત્ર પ્રવાસનીનો ચમત્કારિક બચાવ થયો. આ ઘટનાના કારણે આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. પણ બીજી બાજુ દેશના મીડિયાએ પોતાની તમામ હદ પાર કરી દીધી. આ એટલા માટે લખવું પડે છે કે, જે લોકોએ પોતાના પરિજનને ગુમાવ્યા છે તેમની પાસે કે તેમના નિવાસસ્થાને જઈને તેમના મોંઢામાં માઈક ઠુંસી દઈને જે અસંવેદનશીલતા બતાવી છે તે એક પત્રકારને છાજે એવી વાત નથી. પત્રકારત્વનો ધર્મ આજના જમાનાના પત્રકારો, મીડિયા હાઉસીસના માલિકો ભૂલી ગયા હોય એવું લાગે છે.
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના ડ્રીમલાઈનરની. તો આ ઘટનામાં પ્લેનમાં સવાર 242 (ક્રૂ મેમ્બર્સ સહિત) 241 પ્રવાસીઓના મોત થયા. આ પ્લેન ટેકઓફ થયાની બીજી જ મીનિટે ક્રેશ થયું હોવાથી મોટા ભાગના પ્રવાસીઓ જે પ્લેનમાં સવાર હતા તેમના સ્વજનો અને પરિજનો હજુ તો એરપોર્ટના પાર્કિંગમાંથી બહાર પણ નહિ નીકળ્યા હોય અને આ મોકાણના સમાચાર આવ્યા. આ સમાચાર મળતાં જ પાનના ગલ્લાની માફક ફાટી નીકળેલી ન્યૂઝ ચેનલો પોતાના કેમેરા અને બૂમ માઈક લઈને પ્લેન ક્રેશ સાઈટ, એરપોર્ટ તેમ જ સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગયા અને પછી એ ઉછળકૂદ કરી કરીને પહેલા સમાચાર અને વિઝ્યૂઅલ્સ બતાવવાની હોડ શરૂ કરી દીધી. દરમિયાનમાં હજુ મુસાફરોની યાદી કે વિગતો આવી નહોતી પણ એરપોર્ટ પર પોતાના સ્વજનને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મૂકવા આવેલા પરિજનો પણ ભીની આંખે પોતાના સ્વજનની વાટ જોઈ રહ્યા હતા ત્યારે સ્થળ પર પહોંચેલા પત્રકારોએ પોતાના બૂમ માઈક ધરી ધરીને આ તમામ લોકોને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. અને એ લોકો ના પાડે તો પણ તેમને સવાલો પૂછી પૂછીને પરેશાન કર્યા. ત્યારે આ બધું જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું, અને મને પણ મારા પત્રકાર હોવા પર શરમ આવી. કેમ કે, 90ના દાયકામાં અમે કરેલું પત્રકારત્વ એ સાચા અર્થમાં સમાજોપયોગી હતું અને લોકો સુધી સાચી વાત પહોંચતી હતી. અને પત્રકાર તરીકે અમે પણ લોકોનો અવાજ બનીને સત્તા અને વહીવટીતંત્રને બેબાક સવાલો પૂછતા હતા. પણ આવી ઘટના સમયે અમે સંવેદનશીલતા દાખવીને એ પ્રકારે રીપોર્ટિંગ કરતા હતા કે, પીડિત વ્યક્તે કે પરિજનની લાગણી પણ ન દૂભાય. પણ પ્લેન ક્રેશમાં જે પ્રકારે પત્રકારોએ રીપોર્ટિંગ કર્યું એમાં તમામની લાગણી દૂભાતી હોય એવું એ તમામના ચહેરા પરથી ફલિત થતું હતું.
છેલ્લે એક પત્રકાર તરીકે એટલું જ કહેવાનું કે, આપણે આપણો સાચ્ચો ધર્મ નીભાવવાનો છે. આપણે પત્રકારત્વમાં આવ્યા છીએ તો આપણે સમાજને સાચી વાત પહોંચાડવાની છે અને સમાજને પડતી તકલીફો અને સમસ્યા માટે રાજકીય નેતાઓના કાન આમળવા પડે તો આમળવાના છે. અને આપણે એવું પત્રકારત્વ કરીએ છીએ ખરા, એ શાંતિથી વિચારવું જરૂરી છે. અને હા, પણ જો કોઈ રાજકીય પક્ષની ખુશામત કરવી હોય તો પત્રકારત્વ છોડીને જે તે પક્ષમાં જોડાઈ જવું જોઈએ એવી વણમાંગી સલાહ આપું છું. આજના પત્રકારો અને તંત્રીઓને કે પછી મીડિયા હાઉસના માલિકોને આ વાત કડવી જરૂર લાગશે પણ જે વાસ્તિવકતા છે તે આ જ છે અને તેનો સ્વીકાર કરવો જ પડશે.
- Abbijit
14-06-2025
Nicely written👍🏻
ReplyDelete